મેટિની

આજની ટૂંકી વાર્તા : નવા સંબંધનો સૂરજ

એક દિવસ માધુરી માતાના ખભા ઉપર માથું ઢાળી રડી પડી. તેનું રુદન માતાને અકળાવી ગયું. પાંચ-પાંચ વર્ષનાં વહાણાં વાઈ ગયાં, છતાં માધુરીનો ખોળો ખાલી હતો. ઘરમાં ખાસ ઉત્સાહ નહોતો. માધુરી ખૂબ જ ઉદાસ રહેતી હતી. તે સાવ નંખાઈ ગઈ હતી. તેને ઊંડે-ઊંડે દિલમાં માતૃત્વની અતૃપ્ત ઝંખના સતાવ્યા કરતી હતી. અનુરાગ પણ થાકેલો દેખાતો હતો. બંને વચ્ચે હવે સ્નેહભર્યા સંવાદો થતા ન હતા. વાતો ઓછી થઈ ગઈ હતી. જાણે ખામોશીની એક દીવાલ ઊભી ન હોય!

માધુરી સ્કૂલમાં ભણતી ત્યારથી જ ચંચળ અને હસમુખી હતી. આકર્ષક આંખો, તેનો ચહેરો જાણે ચાંદ જ જોઈ લ્યો! સમજુ પણ એટલી જ હતી. માધુરી માતાપિતાનું એકનું એક સંતાન તેથી અનહદ લાડપ્યારમાં ઊછરી હતી. સ્કૂલમાંથી કોલેજમાં પ્રવેશેલી રમતિયાળ અને ક્ષણેક્ષણ આનંદમાં રહેતી માધુરી અન્યાય, અત્યાચાર, ભ્રષ્ટાચાર, વ્યભિયાર, વ્યસન જેવાં દૂષણો સામે કવિતા, વાર્તા રચીને રોષ પ્રગટ કરતી.

કોલેજમાં સૌ કોઈ માધુરીના મિત્રો હતા. નાનાં બાળકો સાથે ઓત-પ્રોત થઈ જતી માધુરી પૈસાદાર મા-બાપની દીકરી છે એવું અભિમાન કર્યા વિના ક્યારેક તો કોઈને કહ્યા વિના બહેરાં-મૂંગાં, અંધ, અપંગ અને નિરાશ્રિત બાળકોની શાળામાં જઈને ફળ, બિસ્કિટ, ચોકલેટ આપતી. કાલી-ઘેલી વાતો, ન્ૃાત્ય, સરસ મજાની વાર્તા કરતી માધુરી બાળકોને બહુ ગમતી.

કોલેજમાં માધુરીના ક્લાસમાં અનુરાગ નામનો એક શાંત અને ગંભીર સ્વભાવનો છોકરો ભણતો હતો. તેના શાંત સ્વભાવથી માધુરી તેના તરફ આકર્ષાઈ હતી.

એક દિવસ કોલેજની કેન્ટીનમાં તેમની મુલાકાત થઈ. હિંમત એકઠી કરી માધુરીએ અનુરાગ પાસે તેની નોટબુક માગી અને કાલે પાછી આપીશ, એમ કહી જતી રહી.

રાત્રે માધુરી સૂઈ શકી નહીં! આખી રાત અનુરાગના વિચારો કરતી હતી: `અનુરાગ, ભલે તમે ગુલાબ હો, હું પણ ખીલતી કળી છું. મેં પ્રતીક્ષા કરી છે, મારા દિલને મનાવવા, મુજને ખબર છે કે તમે જરૂરથી આવશો.’ આમ ને આમ રાત પસાર થઈ ગઈ. બીજે દિવસે માધુરીએ અનુરાગની નોટબુકમાં પત્ર મૂક્યો અને પાછી આપી. પત્રમાં માધુરીએ અનુરાગને મળવાનો સમય લખ્યો હતો. બંનેની મુલાકાત થઈ.

માધુરીએ અનુરાગનો હાથ પકડીને કહ્યું: `અનુરાગ, હું તમારા અસ્તિત્વને પ્રેમ કરું છું! તમારા સહવાસથી મારા જીવનની વસંત ખીલવા માંડી છે. સ્નેહનાં વાદળો વરસવા લાગ્યાં છે ત્યારે તમારા વિના હું એકલી ભીંજાવા માગતી નથી. મેં કોઈ આવેશમાં આવીને આ નિર્ણય નથી લીધો. કોઈને દિલોજાનથી ચાહવું એટલે ગમે ત્યાં કૂદી પડવું એવું મેં લેશમાત્ર વિચાર્યું નથી.’

અનુરાગ થોડી વાર વિચારોના વમળમાં ખોવાઈ ગયો. બહુ વિચાર કરી તેણે માધુરીને કહ્યું: `માધુરી, હું મારો નિર્ણય આવતી કાલે કહીશ.’

રાત્રે પથારીમાં સૂતાં-સૂતાં અનુરાગ વિચારતો હતો કે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ કરવાનો છે. આર્ટિકલશિપ બાકી છે. ખૂબ નામ, દામ કમાવાં છે. મંઝિલ દૂર છે. ત્યારે હું માધુરીનાં અને મારાં સ્વપ્નાં પૂરાં કરી શકીશ?’ ફિલ્મોમાં અને સિરિયલમાં પ્રદર્શિત થતી યુવાનોની જીવનની અવાસ્તવિકતાથી અનુરાગ હજારો માઈલ છેટો હતો.

માધુરીએ મનોમંથન કર્યું હતું: `અનુરાગ નિર્વ્યસની છે. તેનામાં કંઈક મેળવવાની તાલાવેલી દેખાય છે. અભ્યાસમાં તેજસ્વી તો છે, પણ ઈત્તર પ્રવ્ૃાત્તિમાંય અવ્વલ નંબર જ હોય છે. કારકિર્દી માટે ચિંતા કરતો આ યુવાન જેવો છે તેવો જ દેખાય છે.’ આ બધા ગુણોથી માધુરી અનુરાગ ઉપર આફરીન હતી.

બીજે દિવસે કોલેજમાં બંને મળ્યાં. ફાઈનલ વર્ષ હતું એટલે પરીક્ષાઓ પૂરી થઈ જાય પછી જ મળવું એવું નક્કી કરીને છૂટાં પડ્યાં. સમય સમયનું કામ કરે છે. પરીક્ષા પૂરી થઈ ગઈ અને પરિણામમાં બંને સારા માર્કે પાસ થયાં હતાં.
માધુરીના પિતા ગરમ સ્વભાવના હતા. તેમની ઈચ્છા એવી હતી કે માધુરીનાં લગ્ન કોઈ સારા કુટુંબના ડૉક્ટર કે એન્જિનિયર છોકરા સાથે થાય. માતા-પિતાની આ ગ્રંથિ હતી એવું માધુરીને લાગતું હતું. દુનિયામાં ડૉક્ટર, એન્જિનિયરની જેમ અન્ય ક્ષેત્રમાં પણ પ્રતિભાઓ હોય જ છે, પછી મા-બાપ આવું કેમ વિચારતાં હશે? એવો વિચાર માધુરીના મનમાં સતત ઘોળાયા કરતો હતો. આવા વિચારોની ગડમથલ વચ્ચે માધુરીએ પોતાની તમામ તાકાત ભેગી કરી. માતાપિતાને અનુરાગ વિશે વાત કરી. પિતા નારાજ થયા, પણ માતાએ માધુરીને અનુરાગને ઘેર બોલાવવા કહ્યું.
અને એક દિવસ અનુરાગને લઈ માધુરી ઘેર આવી. માધુરીનાં માતા-પિતા અનુરાગને જોઈ મોંમાં આંગળાં નાખી ગયાં. માધુરીના પિતા ખુશ થઈ બોલ્યા: `માધુરી, તારી પસંદગી પણ મારા જેવી સુંદર છે, પણ…!’ માધુરીના પિતા બોલતાં- બોલતાં અટકી ગયા.

અનુરાગ-માધુરી એક સાથે બોલ્યાં: `પણ, એટલે શું?’

`મારે અનુરાગ-માધુરીને એક પ્રશ્ન પૂછવો છે કે ઘર અને મકાનમાં શું તફાવત હોય છે?’

પ્રશ્ન સાંભળી માધુરી તો મૂંઝાઈ ગઈ, પણ અનુરાગે તરત જ જવાબ આપ્યો, `મકાન ઈંટ, ચૂના અને પથ્થરથી બને છે, જ્યારે એમાં મનુષ્ય સંપ, સ્નેહથી રહીને ઘર બનાવે છે. સુખી ઘર બનાવવું મનુષ્યના હાથમાં હોય છે.’

માધુરી-અનુરાગની સગાઈ થઈ ગઈ. અનુરાગ સી.એ. થઈ ગયો. પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી. એક વર્ષ પછી લગ્ન કરવાનો અનુરાગનો પ્રસ્તાવ માધુરીનાં માતા-પિતાએ સ્વીકાર્યો હતો. કારણ, એક વર્ષમાં અનુરાગ પોતાના વ્યવસાયમાં સ્થિર થયા પછી સંસારયાત્રાના શ્રીગણેશ કરવા માગતો હતો.

સમય પસાર થતો હતો. બંનેનાં માતા-પિતા હરખથી મળતાં હતાં. ખોટા ખર્ચા અને રીતિ-રિવાજોમાં તણાયા વિના લગ્ન કરવાનું નક્કી થયું. વ્ૃાક્ષારોપણ, રક્તદાન, વ્ૃાદ્ધાશ્રમમાં દાન, શિક્ષણ ઉત્કર્ષ માટે પણ કંઈક કામ કરવું. હરખ ખરો પણ સાદાઈથી લગ્ન કરવાનું નક્કી થયું. માધુરી-અનુરાગ પણ સંમત હતાં.

લગ્નને હવે મહિનો જ બાકી હતો. માધુરીને ઘેર અનુરાગનો પરિવાર આયોજન અર્થે આવ્યો. ભોજન લઈ બંને પરિવારો રાત્રિના સમયે ઘરના ફળિયામાં મંદ-મંદ શિયાળુ પવનનો આનંદ લેતા હતા. ચર્ચા શરૂ થઈ. અનુરાગના પિતાએ પહેલ કરી, આગળ આપણે નક્કી કર્યા મુજબ અમે ઘરેણું શુકન પૂરતું તૈયાર કરાવ્યું છે. બાકીની રકમમાંથી અનાથ આશ્રમની દીકરીઓનાં લગ્નમાં ઘરેણાં માટે દાન કરશું.' અનુરાગના પિતાની વાત સાંભળી માધુરીનાં માતાપિતાએ રાજી થઈ કહ્યું કે,અમે પણ માધુરીને થોડું સોનું આપશું અને બાકીની રકમમાંથી. અંધ, અપંગ વિદ્યાલયમાં, રક્તપિત્તથી પીડાતા લોકોને અને વૃદ્ધાશ્રમમાં માધુરીના હસ્તે દાન આપશું.’

માતા-પિતાને સાંભળ્યા પછી અનુરાગ-માધુરી બોલ્યાં: `અમે અમારાં લગ્ન નિમિત્તે પાંચ વ્ૃાક્ષોનું રોપણ કરવાનાં છીએ અને દસમા ધોરણમાં અભ્યાસ કરતા એક ગરીબ તેજસ્વી વિદ્યાર્થીને મદદ કરશું.’

માધુરી-અનુરાગના ઉમદા વિચારો સાંભળી બંનેનાં માતા-પિતાએ મનોમન ઈશ્વરનો આભાર માન્યો અને નિર્ણય કર્યો કે બંને પરિવારોએ અનાથ બાળકોને જમાડી પછી જ લગ્નપત્રિકાનું વિતરણ કરવું. બધા ખુશખુશાલ હતા.

અનુરાગ-માધુરીનાં લગ્નની બધે વાહ વાહ થવા લાગી. શિમલા-મસૂરી જેવાં મોંઘાં હિલ-સ્ટેશને ફરવા જવાને બદલે ગુજરાતમાં જ ફરવાનું નક્કી કર્યું.

અઠવાડિયું ફરીને બંનેએ પોતાના નાના બંગલામાં રહેવા આવી દામ્પત્ય જીવનનો પ્રારંભ કર્યો. ઉમંગની છોળ ઊડતી હતી. અનુરાગ પરમાત્માનો મનોમન આભાર માનતો હતો તો માધુરી પણ ઈશ્વરની કરામતનાં વખાણ કરતાં થાકતી નહોતી.

સમય ક્યાં પસાર થઈ જાય છે તેની કોઈને ખબર પડતી નથી. અનુરાગ-માધવીનાં લગ્નને જોતજોતામાં પાંચ વર્ષ થઈ ગયાં.

એક દિવસ માધુરી માતાના ખભા ઉપર માથું ઢાળી રડી પડી. તેનું રુદન માતાને અકળાવી ગયું. પાંચ-પાંચ વર્ષનાં વહાણાં વાઈ ગયાં, છતાં માધુરીનો ખોળો ખાલી હતો. ઘરમાં ખાસ ઉત્સાહ નહોતો. માધુરી ખૂબ જ ઉદાસ રહેતી હતી. તે સાવ નંખાઈ ગઈ હતી. તેને ઊંડે-ઊંડે દિલમાં માતૃત્વની ઝંખના સતાવ્યા કરતી હતી. અનુરાગ પણ થાકેલો દેખાતો હતો. બંને વચ્ચે હવે સ્નેહભર્યા સંવાદો થતા ન હતા. વાતો ઓછી થઈ ગઈ હતી. જાણે ખામોશીની એક દીવાલ ઊભી ન હોય!

અનુરાગ-માધુરીના મેડિકલ ટેસ્ટમાં, તપાસમાં ધાર્યા બહાર ખર્ચ થઈ ગયો હતો. મુંબઈમાં જસલોક, ટાટા જેવી મોટી હોસ્પિટલના વરિષ્ઠ અને વિદ્વાન તબીબોએ એક જ વાત કરી હતી કે માધુરી ક્યારેય મા નહીં બની શકે. માત્ૃાત્વની ઝંખનાને લીધે અનુરાગ અને માધુરી જાણે કે સૂકી નદીના સામ-સામેના કિનારા ઉપર ઊભાં રહી જિંદગી જીવતાં હોય તેવું લાગતું હતું.

સમય પસાર થતો હતો. મુંબઈથી અનુરાગનો કોલેજકાળનો મિત્ર મયૂર ધંધાર્થે આવવાનો હતો. તેણે અનુરાગને મળવાનું જણાવ્યું હતું.

માધુરી બારીની બહાર ખુલ્લા આકાશમાં ઊડતા પંખીને નિર્જીવ નજરે તાકી રહી હતી. ફળિયાના વ્ૃાક્ષ ઉપર ચકલીએ માળો કર્યો હતો. તેમાં ચકલી બચ્ચાને વહાલ વરસાવતી હતી. તે દ્શ્ય પણ માધુરીએ જોયું હતું. અનુરાગ હીંચકા પર બેઠો છાપું વાંચતો હતો. ત્યાં જ કાર અનુરાગના બંગલાના ફાટક પાસે આવી ઊભી રહી. મયૂરે કારમાંથી બહાર નીકળતાં જ બૂમ પાડી: એય અનુરાગ, ક્યાં છો?' મયૂરનો અવાજ સાંભળી અનુરાગ પણ દોડ્યો. મયૂરને આવકારવા ફાટક ભણી ગયો અને માધુરીને બૂમ પાડી:માધુરી, માધુરી… જો કોણ આવ્યું છે?’ માધુરી બહાર આવી ન હતી.

પાંચ વર્ષ બાદ મયૂર- અનુરાગ મળ્યા હતા. ભોજન લઈ ફળિયામાં ખુલ્લી હવા લેતાં-લેતાં વાતોએ વળગ્યા. કેમ ભાભી, શું ખબર છે? કેમ મૂડ નથી? આટલાં ઉદાસ કેમ લાગો છો?' મયૂર તેમની સમસ્યાથી સાવ અજાણ હતો. તે પ્રશ્ન ઉપર પ્રશ્ન પૂછ્યે જતો હતો. અનુરાગ વચ્ચે બોલી વાત બદલી નાખે અને કહેતો,મયૂર, તારી ભાભીને એકલા હાથે કામ કરવું પડે છે. કામકાજ બહુ રહે છે માટે થાકેલી લાગે છે. તેને આરામ કરવા દઈએ. ચાલ, આપણે બેસીએ. માધુરી તું આરામ કર.’

અનુરાગે માધુરીને સૂવડાવી, પ્રેમથી માથે હાથ ફેરવી કહ્યું: `તું શાંતિથી સૂઈ જા. કોઈ વિચાર કર્યા વિના આરામ કર. ઈશ્વર બધાં સારાંવાનાં કરશે.’

અનુરાગે મયૂરને ધીમા સ્વરે બધી વિતક કથા સંભળાવી. મયૂરે અનુરાગને મુંબઈ આવવા કહ્યું. માધુરીને બે દિવસ પિયરે મૂકી, ઓફિસના કામે મુંબઈ જાઉં છું', તેમ કહી અનુરાગ મુંબઈ ગયો. મયૂર અનુરાગને એક અનાથ આશ્રમમાં લઈ ગયો. જ્યાં કૂદતાં-નાચતાં ભૂલકાંઓને અનુરાગ જોતો જ રહ્યો. આશ્રમની બધી જ કાર્યવાહી પૂરી કરી, ત્રણ વર્ષના સૂરજને લઈ અનુરાગ મુંબઈથી અમદાવાદ જવા નીકળ્યો. મયૂરની મિત્રતાને અનુરાગ મનોમન વંદી રહ્યો. અનુરાગ અમદાવાદ ઘેર પહોંચ્યો. તેણે કોઈને કહ્યું નહોતું કે આજે માધુરીનો જન્મદિવસ છે. માત્ર મયૂરને જ ખબર હતી. સવારના આઠ વાગ્યા હતા. ટેક્સી ફાટક પાસે આવી ઊભી રહી. અનુરાગે માધુરીને બોલાવી,માધુરી… માધુરી?’
માધુરી ઘરમાંથી બહાર આવી.

`માધુરી, જો કોણ આવ્યું છે? આ છે સૂરજ. આજે હું તારા જન્મદિવસ પર સૂરજ તને ભેટ આપું છું.’ માધુરી સ્તબ્ધ બની સૂરજ સામે જોતી જ રહી. બંનેની આંખો મળી. સૂરજનો સુંદર ચહેરો, નાની-નાની કાળી આંખો જોઈ માધુરીની હૃદય-સરિતામાં માત્ૃાત્વનું ઝરણું વહ્યું. વર્ષો પછી માધુરીના હૃદય સાગરમાં કોઈ બાળક માટે પ્રેમની ભરતી આવી હોય તેમ બે ડગલાં આગળ વધી અને સૂરજને ઊંચકી પોતાની છાતીએ ચાંપી દીધો. સૂરજ પણ માધુરીને મમ્મી કહી વળગી પડ્યો.

અનુરાગ બંનેને થોડી વાર જોતો રહ્યો પછી તેની આંખોમાંથી પણ હર્ષનાં બે અશ્રુ ટપકી પડ્યાં. અનુરાગ અને માધુરી ફરી એક વાર નજીક આવી ગયાં. સૂરજ ખૂબ જ ચંચળ સ્વભાવનો હતો. બંને સૂરજને લઈ ફરવા જવા લાગ્યાં. આમ, બંને વચ્ચેની તિરાડ સંધાઈ ગઈ. દિવસો પસાર થતા જાય છે.

સૂરજ હવે પાંચ વર્ષનો થઈ ગયો હતો. સવારે અનુરાગ અને માધુરી વહેલાં ઊઠી-પરવારી ગયાં. કારણ, આજે સ્કૂલમાં સૂરજના એડમિશન માટે જવાનું હતું.

માધુરીની આંગળી પકડીને ચાલતો સૂરજ બંગલાની બહાર આવે છે. સૂર્યનાં કિરણો ત્રણેયના ચહેરા ઉપર પડતાં હોય છે. માધુરીએ સૂરજને છાતીએ વળગાડી અનુરાગને કહ્યું: લાગે છે કે આજે કોઈ નવા સંબંધનો સૂરજ ઊગ્યો!' અનુરાગે કહ્યું,સૂરજ તો રોજ એનો એ જ ઊગે છે અને આથમે છે.’

ત્યારે માધુરીએ કહ્યું: `ના, આ તો મારા જીવનમાં ઊગેલા નવા સંબંધના નવા સૂરજની હું વાત કરું છું.’

ત્રણે જણ ધીમે ધીમે સૂર્યના પ્રકાશમાં પડતા પડછાયાને ઓળંગતાં ઓળંગતાં એડમિશન માટે સ્કૂલમાં જાય છે.

`અનુરાગ, ભલે તમે ગુલાબ હો, હું પણ ખીલતી કળી છું. મેં પ્રતીક્ષા કરી છે, મારા દિલને મનાવવા, મુજને ખબર છે કે તમે જરૂરથી આવશો’

આપણ વાંચો:  ફટા પોસ્ટર, નિકલા… : મોટા સ્ટાર્સની સાચી-ખોટી `સંઘર્ષ’ કથા!

અનુરાગ-માધુરી બોલ્યાં: `અમે અમારાં લગ્ન નિમિત્તે પાંચ વ્ૃાક્ષોનું રોપણ કરવાનાં છીએ અને દસમા ધોરણમાં અભ્યાસ કરતા એક ગરીબ તેજસ્વી વિદ્યાર્થીને મદદ કરશું’

માત્ૃાત્વની ઝંખનાને લીધે અનુરાગ અને માધુરી જાણે કે સૂકી નદીના સામ-સામેના કિનારા ઉપર ઊભાં રહી જિંદગી જીવતાં હોય તેવું લાગતું હતું.

વર્ષો પછી માધુરીના હૃદય સાગરમાં કોઈ બાળક માટે પ્રેમની ભરતી આવી હોય તેમ બે ડગલાં આગળ વધી અને સૂરજને ઊંચકી પોતાની છાતીએ ચાંપી દીધો.(સમાપ્ત)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button