મેટિની

ક્યારેક તળેટી તો ક્યારેક શિખર…

-હેન્રી શાસ્ત્રી
અજીત, ઈફ્તિખાર

ફિલ્મ ઈન્ડસ્ટ્રી રોલર કોસ્ટરરાઈડ જેવી છે. અનેક કલાકાર – કસબીઓએ એનો અનુભવ કર્યો છે. તળેટીમાંથી શિખર પર પહોંચવાનો રસ્તો ક્યારેક સરળ, ક્યારેક કપરા ચઢાણવાળો તો ક્યારેક ઊબડખાબડ હોય છે. ક્યારેક કોઈ કારણ તળેટીથી શિખર તરફ જવા માટે એક્સિલરેટર પણ સાબિત થતું હોય છે. મોટાભાગની સંઘર્ષ કથા જાણવા જેવી અને સમજવા જેવી હોય છે. એમાંથી જીવનના વિવિધ પાઠ શીખવા મળે છે.

‘મોના ડાર્લિંગ,’ ‘લીલી ડોન્ટ બી સિલી’ અને ‘સારા શહેર મુજે લોઈન કે નામ સે જાનતા હૈ’ જેવા ડાયલોગ જેમની પ્રમુખ ઓળખ બની ગઈ હતી એ હીરોમાંથી ચરિત્ર અભિનેતા અને વિલન બની ગયેલા હમીદ અલી ખાન ઉર્ફે અજીતની કારકિર્દીના સંઘર્ષકાળમાં પણ એવું બન્યું હતું.

1977ની આસપાસ અજીતે આપેલા ઈન્ટરવ્યૂમાં કરેલી વાતમાં આ મુદ્દો ઉડીને આંખે વળગે છે. 1949માં ‘બેકસૂર’ (હીરોઈન મધુબાલા)માં હીરો તરીકે ચમકેલા અજીતે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘શરૂઆતના મારા સંઘર્ષ કાળમાં અનેક વાર જયંત સાહેબને મળવાનું થયું.’ જયંત એટલે વિજય ભટ્ટની ગુજરાતી ફિલ્મ ‘સંસાર લીલા’થી અભિનય યાત્રાની શરૂઆત કરનારા આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા ઊંચા અને પડછંદ પઠાણી એક્ટર. લીડ રોલ, વિલન અને ચરિત્ર અભિનેતા તરીકે પ્રભાવ પાડનારા જયંતને આજની પેઢી ‘શોલે’ના ગબ્બરસિંહ અમજદ ખાનના પિતાશ્રી તરીકે ઓળખે છે એ વાત જુદી છે.

અજીતે જણાવ્યું હતું કે ‘સદનસીબે મને એમની સાથે ‘બડા ભાઈ’ અને ‘કાબુલી ખાન’ જેવી ફિલ્મોમાં કામ કરવાની તક મળી હતી. ઉંમરમાં મારાથી સાતેક વર્ષ મોટા હતા, પણ અમારી વચ્ચે મૈત્રીનો સરસ સેતુ રચાઈ ગયો. મારું રહેવાનું એમના ઘરની નજીક જ હોવાથી એમને ત્યાં આવરોજાવરો રહેતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો વધુ અનુભવ એમની ગાંઠે બંધાયો હોવાથી મને સલાહ સૂચન સાથે માર્ગદર્શન પણ આપતા,. નિર્ણય લેવામાં એમની વાતો મને ઘણી મદદરૂપ રહેતી હતી. જયંત સાહેબ એક કુશળ શિકારી પણ હતા. જંગલમાં અમને શિકાર કરવામાં આસાની રહેતી, કારણ કે પ્રાણીઓ પણ દેખાવે રૂપાળા અને આકર્ષક વ્યક્તિત્વને નિકટથી નિહાળવા ઊભા રહી જતા. કમનસીબે અંતિમ દિવસોમાં જયંત સાહેબ બોલવાની ક્ષમતા ગુમાવી બેઠા હતા. જે અવાજ સિનેમા ઘરોમાં દર્શકોને ધ્રુજાવતો હતો એ જ અવાજે એમને દગો દીધો. મારું દૃઢપણે માનવું છે કે આજે મેં જે પણ સિદ્ધિ – શોહરત હાંસલ કર્યા છે એનું કારણ જયંત સાહેબની માંદગી છે. લાંબી બીમારીએ એમને ફિલ્મોથી દૂર રાખ્યા અને પરિણામે જે રોલ એમને ઓફર કરવામાં આવ્યા હોત એ મને મળ્યા.’

નસીબ ક્યારે કેવું પડખું ફરી જાય અને તળેટીથી શિખરની યાત્રા શરૂ થઈ જાય એનો અંદાજ ન બાંધી શકાય.

અજીતની જેમ હીરો તરીકે ફિલ્મો કર્યા પછી ચરિત્ર અભિનેતા અને ખાસ તો પોલીસ ઓફિસરના રોલમાં ટાઈપકાસ્ટ થઈ ગયેલા ઈફ્તિખારએ પણ રોલર કોસ્ટર રાઈડનો અનુભવ કર્યો છે. શિખર પરથી સડસડાટ તળેટીમાં કેમ પહોંચી જવાય એ જોયું છે. અમિતાભ બચ્ચનનો ઓલટાઈમ હિટ ડાયલોગ ‘ડોનકો પકડના મુશ્કિલ હી નહીં, નામુમકિન હૈ’ પડદા પર જે પોલીસ ઓફિસર સામે બોલાય છે એ પોલીસ અધિકારી ડીસીપી ડિસિલ્વાનો રોલ ઈફ્તિખારે કર્યો હતો. એમનો સંવાદ ઓછો ચબરાકિયો હતો, પણ અલગ અંદાજમાં પેશ થયો હતો :

‘ભાગને કી કોશિશ મત કરના. હમને તુમ્હે ચારોં તરફ સે ઘેર લિયા હૈ. ભલાઈ ઈસી મેં હૈ કે તુમ અપને આપ કો કાનૂન કે હવાલે કર દો.’

આ પણ વાંચો….ભારત-પાક તણાવ મુદ્દે કેટલાક બોલિવૂડ સ્ટાર્સ શું કામ મૌન છે?

અમિતાભ બચ્ચન પર સમગ્રપણે કેન્દ્રિત આ ફિલ્મમાં પોતાની છાપ છોડી જવી એ મોટી સિદ્ધિ કહેવાય. હવે જો તમને ખબર પડે કે ઈફ્તિખાર એક સારા પેઈન્ટર અને અચ્છા ગાયક સુધ્ધાં હતા તો ચોંકી જવાય ને! ઈફ્તિખારને બાળપણથી જ સિંગીંગનો શોખ હતો. ચિત્રકલા શીખવા ખાસ લખનઉ આવેલા ઈફ્તિખારએ એક કાર્યક્રમમાં કુંદનલાલ સાયગલ અને પંકજ મલિકનાં ગીતો ગાયા અને લોકોએ એમને બિરદાવ્યા. ગાયકી સાથે અભિનયનો કીડો પણ મનમાં સળવળતો હતો. ‘કલકત્તા જઈ નસીબ અજમાવો’ એવી
સલાહ કોઈએ આપી અને જનાબ પહોંચી ગયા બંગાળની ભૂમિ પર. કલકત્તામાં ‘એચએમવી’ કંપનીએ એમના સ્વરમાં બે ગીત પણ રેકોર્ડ કર્યા. અલબત્ત, ઈફ્તિખારને તો કેમેરા સામે ચમકવું હતું.

‘1940ના દાયકામાં કલકત્તા હિન્દી ફિલ્મોનું એક ધમધમતું કેન્દ્ર હતું,’ ઈફ્તિખાર સાહેબે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું :

‘1943થી 1947 દરમિયાન મેં સાત હિન્દી ફિલ્મમાં લીડ રોલ કર્યા હતા. જમુના દેવી સાથે ‘તકરાર’ અને ‘ઘર’, અફલાતૂન સિંગર – એક્ટ્રેસ કાનનદેવી સાથે ‘તુમ ઔર મૈં’ અને ‘રાજલક્ષ્મી’ (‘રાજલક્ષ્મી’માં તલત મહેમૂદ પહેલીવાર સિંગર- એક્ટર તરીકે નજરે પડ્યા હતા), પારો દેવી સાથે ‘ઘરાના’ અને ઉર્મિલા દેવી સાથે ‘ઐસા કયૂં’ ફિલ્મોમાં મેં કામ કર્યું હતું. જોકે, એ સમયે ફિલ્મસ્ટારના નામના વાજા નહોતા વાગતા. ફિલ્મ કંપનીઓની બોલબાલા હતી. આ કારણસર જ મને કોઈ સ્ટારડમ મળી નહીં.
જોકે, દેશના ભાગલા અને કલકત્તામાં ફિલ્મ નિર્માણમાં ઓટ આવવાથી હું મુંબઈ પહોંચ્યો. એ સમયે બિમલ રોય સહિત અનેક પ્રતિભાશાળી લોકોએ મુંબઈની વાટ પકડી હતી.’

અલબત્ત, મુંબઈ પહોંચવાથી કંઈ કામ મળી નહોતું જવાનું. સોનેરી સપના સાથે માયાનગરીમાં આવેલા અસંખ્ય લોકોની જેમ ઈફ્તિખારે પણ રઝળપાટ કરવો પડ્યો હતો.

‘મુંબઈમાં હું કોઈને ઓળખતો પણ નહોતો,’

ઈફ્તિખાર સાહેબે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું :

‘આંટાફેરા કરતા કરતા અનાયાસે ફિલ્મમેકર એચ. એસ. રવૈલ સાથે મુલાકાત થઈ. એમણે મને ‘જૂઠી કસ્મે’ નામની ફિલ્મમાં રોલ તો આપ્યો, પણ સાવ નગણ્ય ભૂમિકા હતી. સમયનું ચક્ર ફરી ગયું હતું. કલકત્તામાં લીડ રોલ કરનાર હવે એક્સ્ટ્રાના રોલ કરી રહ્યો હતો.’

આમ આ શિખરથી તળેટી તરફ ધકેલાઈ જતા વાર નથી લાગતી.

આ પણ વાંચો….ફિલ્મનામા : હમ સે મત પૂછો કૈસે, મંદિર તૂટા સપનોં કા લોગો કી બાત નહીં હૈ, યે કિસ્સા હૈ અપનોં કા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button