મેટિની

મૌસમ હૈ આશિકાના, એ દિલ કહીં સે ઉનકો

‘પાકિઝા’ ૧૯૬૪માં એવી ડબ્બામાં પુરાઈ ગઈ કે બીજા ચાર-પાંચ વરસ હવે તેનું કંઈ થાય એની શક્યતા નહીવત હતી

ફિલ્મનામા -નરેશ શાહ

આરાધ્યા પેટમાં હોવાથી ઐશ્ર્વર્યા રાય બચ્ચન મધુર ભંડારકરની ‘હીરોઈન’ ફિલ્મમાં ‘હિરોઈન નહોતી બની શકી પછી જે નાનકડો વિવાદ થયો એ તમને યાદ હશે. એ કારણે મધુર ભંડારકરની ફિલ્મ લેઈટ પણ થઈ હતી.

જો કે પોતાના નિર્માણમાં પંદર વરસ ખાઈ જનારી પાકિઝા’ ફિલ્મ વખતે આ પ્રેગનન્સીનો મુદો પણ ચગ્યો હતો, પણ એ ફિલ્મને નહીં, કમાલ અમરોહી અને મીનાકુમારી વચ્ચેના બોન્ડિંગને ડિસ્ટર્બ કરી ગયેલો. એમ કહેવાય છે કે, ‘પાકિઝા’ બનવાની શરૂ થઈ ત્યારે બે વખત (૧૯પ૭ અને ૧૯પ૯માં) મીનાકુમારી પ્રેગનન્ટ બન્યા હતાં, પણ બન્ને વખતે એમણે એબોર્શન કરાવી નાખ્યું હતું. કમાલ અમરોહીને આ વાતનો આઘાત લાગ્યો હતો, પણ ફિલ્મના માણસ હતા.એ ફિગરના મોહ, સામાજિક બંધનના છોછ અને ગ્લેમર વર્લ્ડની પ્રાથમિક શરતો જાણતાં હોવાથી મીનાકુમારી સાથેની એમની ગૃહસ્થી ચાલી રહી હતી. મીનાકુમારીને આજ દિવસોમાં શરદીની શિકાયતને કારણે બ્રાન્ડી નિયમિત લેવાની સલાહ મળી હતી, જે દવા પણ ધીમે ધીમે આદત બની રહી હતી, પણ આ બધા જેટલું જ અગત્યનું એ પણ હતું કે ૧૯૬૦-૬૧ સુધીમાં પાકિઝા’ પર પિસ્તાલીસ લાખ રૂપિયા લાગી ચૂક્યા હતા.

મીનાકુમારીની ઓપોઝિટ ધર્મેન્દ્ર કાસ્ટ થઈ ગયા. ઓ.પી. રાલ્હનની ‘ફૂલ ઔર પથ્થર’ તો એ પછી બનવાની હતી કે જે દરમિયાન ધર્મેન્દ્ર અને મીનાકુમારીના સંબંધો નવી પરવાન ચઢવાના હતા અને એ માટે મીનાકુમારી ગુલઝારસાહેબને પોતાના જીવનમાંથી ડિલિટ કરી દેવાના હતા. પાકિઝા બનતી હતી ત્યારે જ પરિચયમાં આવેલાં શાયર ગુલઝાર માટે શાયરાના મિજાજ ધરાવતાં મીનાકુમારી સોફટ કોર્નર ધરાવતાં થઈ ગયા હતા. ‘પાકિઝા’ની પેરેલલ-સમાંતારે એ બીજી ફિલ્મોમાં પણ કામ કરતાં.

આવી જ એક ફિલ્મ પિંજરે કે પંછી’ના સેટ પર મીનાકુમારીજીના મેકઅપ રૂમમાં બેઠેલાં ગુલઝારનું કમાલ અમરોહીના ખાસ માણસ બાકરે ઈન્સલ્ટ કરીને બહાર કાઢી મૂક્વાની વાતમાં ઝઘડો થઈ ગયો. મીનાકુમારીએ પતિ અમરોહીને સેટ પર બોલાવ્યાં, જેથી બાકરની ફરિયાદ કરી શકે. જો કે, અમરોહી ફજેતો થવાની બીકે આવ્યા નહીં.

     બસ.... પ માર્ચ, ૧૯૬૪ના એ દિવસે મીનાકુમારી પોતાના અને અને કમાલ અમરોહીના બાંદરાને  ઘેર જવાને બદલે બહેન મધુ અને એના પતિ (કોમેડિયન) મહેમુદના ફલેટ પર રહેવા ચાલ્યાં ગયાં એ પછી ક્યારેય અમરોહી સાથે રહેવા ગયાં જ નહીં.
                             ***

‘પાકિઝા’ જેવી કલાસિક ગણાયેલી ફિલ્મ આપનારાં કમાલ અમરોહીએ માત્ર ચાર ફિલ્મ જ (રાજેશ ખન્ના – રાખીની
મજૂન’નને ગણતરીમાં ન લીધી એ ક્યારય ફ્લોર પર ગઈ જ નહીં. ) ડિરેકટ કરી અને તેમાં સ્ટારપત્ની મીનાકુમારી સાથે બે હતી : ‘દાયરા’ અને ‘પાકિઝા’ . ૧૯પ૩માં રિલિઝ થયેલી દાયરા વખતે મંજુ- ચંદન (મીના-કમાલ) નિકાહ પઢીને સાથે રહેવા લાગ્યાં હતાં. ‘મોગલ-એ-આઝમ’ વખતે જ કમાલ અમરોહીએ અનારકલી’ ફિલ્મ બનાવવાની જાહેરાત કરેલી અને હિરોઈન તરીકે મીનાકુમારીને સાઈન કરેલાંં. ‘અનારકલી’ ફિલ્મ તો ન બની, પણ કમાલ અમરોહી મીનાજી માટે સલિમ બની ગયા. એ પછી નવી કાર લઈને મહાબલેશ્ર્વર ફરવા ગયેલાં મીનાકુમારીનો (પિતા અને બહેન સાથે) અકસ્માત થયો અને એમને પૂનાની સસુન હોસ્પિટલમાં દાખલ કરાયાંં.

(આ અકસ્માતમાં જ મીનાકુમારની ડાબા હાથની ટચલી આંગળી કપાઈ ગઈ હતી, જે એ હંમેશા કેમેરાથી છૂપાવતાં રહેતાં.)
હોસ્પિટલમાં મીનાજીને મળવા માટે કમાલ અમરોહી નિયમિત જતાં. મીનાકુમારીના પિતા અલી બક્સને હવે અણસારો આવી ગયો હતો. પરંતુ પાની સર કે ઉપર પહોંચ ગયા થા. મુંબઈ આવ્યા પછી મંજુ-ચંદને ૧પ ફેબ્રુઆરી, ૧૯પરના દિવસે નિકાહ કરી લીધા, પણ એ જાહેર નહોતાં ર્ક્યાં.
મને ખબર છે કે આપણે ‘પાકિઝા’ ની વાત કરી રહ્યા છીએ પણ એના નિર્માણની જેમ વિલંબમાં પણ મીનાકુમારી-કમાલ અમરોહીનું પતિ-પત્ની હોવું મોટું નિમિત્ત હોવાથી એ ફલેશબેકને જરા યાદ કરી લેવો જરૂરી છે.

પ્રેમના પાગલપનના એ દિવસોમાં મીનાકુમારીએ પિતાની જાણ બહાર કમાલસાબની ‘દાયરા’ સાઈન કરી લીધી હતી. એટલું જ નહીં, મહેબુબ ખાનની ફિલ્મ ‘અમર’ માટેની તારીખોમાં પણ એ દાયરાનું શૂટિંગ કરવા માટે ચાલ્યા જતાં હતાં. આ મુદ્દે ઝઘડો થયો અને મીનાકુમારી પિતાનું ઘર છોડીને કમાલ અમરોહીના ફલેટ પર આવી ગયાં.

(કમાલ અમરોહીના પ્રથમ પત્ની અને બાળકો વતન અમરોહામાં જ હતાં અને બાળકોનું બચપણ વતનમાં જ વીત્યું હતું )
મીનાકુમારીએ ઘર છોડી દીધું એટલે નાછૂટકે કમાલ અમરોહીને મીનાજી સાથેના નિકાહની સત્તાવાર જાહેરાત કરવી પડી હતી.

    એ વખતે એવી વાત  ચર્ચાતી વાત હતી  કે નિકાહ પછી મીનાકુમારી ફિલ્મોમાં કામ નહીં કરે એવું પતિ- પત્ની વચ્ચે નક્કી થયું હતું, પણ જેવો પ્રેમ અને રોમાંસનો ખુમાર ઓસર્યો કે સર્ચલાઈટ અને સેલ્યુલોઈડનો વિરહ કણસવા લાગ્યો.
    મીનાકુમારી -અમરોહી પર પુસ્તક લખનારાં અનિતા પાધ્યેના લખ્યાં પ્રમાણે, બિમલ રોયએ ‘દેવદાસ’માં પારોની ભૂમિકા માટે અપ્રોચ ર્ક્યો ત્યારે અમરોહીએ ઈન્કાર કરી દીધી હતો. આ વાતની ખબર પડતાં મીનાકુમારી-કમાલ અમરોહી વચ્ચે ખટરાગનો પ્રથમ તિખારો ખર્યો હતો. જો કે એ પછી કેટલીક શરતો સાથે અમરોહીએ મીનાકુમારીજીને ફિલ્મો કરવાની મંજૂરી આપી અને આ વાતમાં વજન એટલે લાગે છે કે મીનાકુમારીની ફિલ્મના કોન્ટ્રાકટ અમરોહીની કંપની સાથે કરવામાં જ આવતા હતા. અમરોહીના ખાસ વ્યક્તિ બાકર જ મીનાકુમારીનું બધું કામ જોતા હતા અને એ રીતે લપસણી ફિલ્મી આલમમાં રોમાન્ટિક મીનાકુમારી પર અમરોહી વતી નજર પણ રાખતા હતા. આ જ હેસિયતથી ‘પિંજરે કે પંછી’ના સેટ પર ગુલઝારની હાજરીને લઈને એમની અને મીનાકુમારી વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ ગઈ. 

પછી તો મીના કુમારીએ અમરોહીનું ઘર છોડી દીધું અને સ્વજનો તેમ જ શરાબના સહારે રોમાન્સની રઝળપાટે ચઢી ગયાં.

દર વખતે કોઈને કોઈ કારણસર હરીફરીને ઝિરો પર પહોંચી જતી ‘પાકિઝા’ ફિલ્મ ૧૯૬૪માં એવી ડબ્બામાં પૂરાઈ કે બીજા ચાર-પાંચ વરસ હવે તેનું કશું થવાનું ન હતું.
ફિલ્મજગતના આ તોરિલા મિયાં-બીબી વચ્ચે સમજૂતી થાય તેના ઈંતેઝારમાં પડી ગઈ હતી પાકિઝા…
(વધુ આવતા શુક્રવારે)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો