મેટિની

સ્ટાર-યાર-કલાકાર: મતવાલા અલગારી અદાકાર મોતીલાલ

સંજય છેલ

1960ના દાયકામાં મુંબઈનાં કોઇ ખાલી ફ્લેટમાં મોતીલાલ નામનો એક્ટર, એક જમાનાનાં સ્ટાર ચંદ્રમોહન સાથે બેઠો છે. આજે ચંદ્રમોહન પાસે પૈસો કે કામ નથી. એક જમાનાના બેઉ સ્ટાર્સ પોતપોતાની વેદનાનાં તાપણાં પાસે બેઠાં છે. આવી ઉદાસ સાંજ એમનું રોજનું રૂટીન છે, પણ આજે ચંદ્રમોહન ‘વેટ-69’ નામની મોંઘી શરાબ એકલો એકલો પી રહ્યો છે.
આ જોઇને મોતીલાલને નવાઈ લાગે છે કે, આજે એનો દિલદાર મિત્ર ચંદ્રમોહન એને એક પેગ પણ ઓફર કેમ નથી કરી રહ્યો? પછી મોડી રાત્રે મોતીલાલ જ્યારે ઘરે જવા નીકળે છે ત્યારે ચંદ્રમોહન બારણે આવીને એને ભેટીને કહે છે, ‘સોરી યાર, આજે મેં તને એક પણ પેગ ઓફર ન કર્યો. કારણ કે સાચું કહું? ‘વેટ-69’ની પેલી વિદેશી શરાબની બોતલમાં હું દેશી દારૂ ભરીને પી રહ્યો હતો! એ હું તને ઓફર કઈ રીતે કરું? તું મારો મિત્ર ભલે છે પણ મારાથી મોટો સ્ટાર અને મહાન અભિનેતા છે, મારે એ વાતની આમન્યા તો જાળવવી જ જોઇએ ને?! ’

થોડા દિવસો પછી એ ચંદ્રમોહન, ખિસ્સામાં એક પણ રૂપિયા વિના સડક પર મરી જાય છે. ‘ઝિંદગી ખ્વાબ હૈ. ખ્વાબ મેં જૂઠ ક્યા ઔર ભલા સચ હૈ ક્યા?’ ગીત ગાનારો મોતીલાલ પણ નિર્માતા બનીને, નુકસાન ઝીલીને ઝિંદગીને ખ્વાબની જેમ જીવીને, દેવાદારની હાલતમાં મૃત્યુ પામે છે, પણ બેઉની દોસ્તીની કસ્મો આજે પણ લેવાય છે.
મોતીલાલ રાજવંશ 1930થી 1960 સુધીનો એ ચમકતો સિતારો. હિન્દી સિનેમાના શરૂઆતના દિવસોમાં જ્યારે પારસી ઉર્દૂ નાટકોને લીધે કલાકારો એક્ટિંગ કરતા ત્યારે મોતીલાલે નેચરલ એક્ટિંગનો ટ્રેન્ડ શરૂ કરલો. મોતીલાલ એક્ટિંગ વિશે કહેતા, એક્ટિંગ ન કરો, રોલને જીવો. દર્શક એનો ખુદબખુદ અનુભવ કરશે’.

દિલિપ કુમાર, રાજેશ ખન્ના, નસીરુદ્દીન શાહ જેવા મોટામોટા કલાકારો પણ એમના ફેન હતા. સૌ સ્ટારને સદા ધિક્કારતા નસીરુદ્દીન કહે છે, ‘મોતીલાલની એક્ટિંગ એવી હતી કે તમે ભૂલી જાઓ કે એ એક્ટિંગ કરે છે.’ ફિલ્મ લાઇનમાં મોતીલાલની એન્ટ્રી એકદમ ફિલ્મી સ્ટાઇલથી થયેલી. દિલ્હીમાં કોલેજ પૂરી કર્યા પછી નૌકાદળમાં જોડાવા મુંબઈ આવ્યા. બીમાર પડી જવાથી એંટ્રેંસની પરીક્ષા આપી શક્યા નહીં.

એકવાર સરસ તૈયાર થઈને શૂટિંગ જોવા માટે ‘સાગર સ્ટુડિયો’ ગયા. ત્યાં દિગ્દર્શક કાલીપ્રસાદ ઘોષ કોઇ સામાજિક ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા. એમની નજર મોતીલાલ પર પડી અને બસ, અચાનક જ એમણે આગામી ફિલ્મ ‘શહેર કા જાદુ’ (1934)માં મેન રોલ આપી દીધો.

‘દેવદાસ’ (1955)માં એમનો ચુન્ની બાબુનો રોલ, જેમાં એ ચંદ્રમુખીના પ્રેમી હતા એટલો દમદાર હતો કે એમને ‘ફિલ્મફેર’ બેસ્ટ સપોર્ટિંગ એક્ટર એવોર્ડ મળ્યો હતો. એક સીનમાં, જ્યાં એ ચંદ્રમુખીને શાંતિથી જોઈ રહે છે ત્યારે એમની આંખો બધું કહી દે છે એવી એક્ટિંગ એ વખતે કોઈ નહોતું કરતું. ડિરેક્ટર બિમલ રોય એમને બહુ ઓછું સમજાવતા. એમને ખબર હતી કે મોતીલાલ રોલને પોતાની રીતે જ જીવંત કરી મૂકશે.

‘જાગતે રહો’ (1956)માં એમનો રોલ એક ગરીબ માણસનો છે, જે શહેરમાં ભટકે છે. એ ફિલ્મનો એક સીન છે જ્યાં મોતીલાલ ભૂખ્યા-તરસ્યા રસ્તા પર ઊભા છે, એ સીન એટલો વાસ્તવિક લાગે છે કે એ જોઈને દર્શકો રડી પડતાં. એ વખતના વિવેચકોએ લખેલું કે ‘મોતીલાલે આ રોલમાં એક કોમન-મેનની લાચારીને જીવાડી દીધી.’ આ ફિલ્મે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ નામ કમાયું અને મોતીલાલની એક્ટિંગ એનું મોટું કારણ હતું.

આ પણ વાંચો…સ્ટાર-યાર-કલાકાર : વડા પ્રધાન પાસે પણ નાટક કરાવનાર એક અલગારી કલાકાર હબીબ તન્વીર

આ ફિલ્મનું ગીત ‘ઝિંદગી ખ્વાબ હૈ. ખ્વાબ મેં જૂઠ ક્યા ઔર ભલા સચ હૈ ક્યા?’ માં મોતીલાલે એક મસ્ત શરાબીની એવી અદાકારી કરેલી કે દર્શકો પણ ઝૂમી ઊઠેલા. પાછળથી રાજેશ ખન્નાએ ‘અમર પ્રેમ’માં ‘યે ક્યા હુઆ, કૈસે હુઆ’ ગીતમાં મોતીલાલનું જ અનુકરણ કરેલું.

મોતીલાલનો ચાર્મ ફક્ત સ્ક્રીન પર જ નહોતો. એમની પર્સનલ લાઇફ પણ એટલી જ રંગીન હતી. પહેલાં નાદિરા નામની હીરોઈન સાથે અફેર હોવાનું કહેવાય છે, પછી એમનું નામ શોભના સમર્થ સાથે જોડાયું. શોભના સમર્થ એટલે નૂતન અને તનૂજની મા અને આજની અભિનેત્રી અને અજય દેવગનની પત્ની કાજોલની નાની. મોતીલાલ અને શોભના સમર્થ ‘સાગર ફિલ્મ કંપની’ની ફિલ્મોમાં કામ કરતા ત્યારે બેઉ માત્ર મિત્ર હતા. જ્યારે શોભના સમર્થના છૂટાછેડા થયા ત્યારે મોતીલાલે શોભનાને પરણવાનો પ્રસ્તાવ મૂકેલો. ત્યારે તો શોભનાએ ના પાડેલી પણ પાછળથી એમના પ્રેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. શોભના સમર્થ અને મોતીલાલે ક્યારેય લગ્ન તો નહોતા કર્યા, પણ એમનો એક અનામી સંબંધ હતો. નૂતન અને તનૂજા એમની જ પુત્રી છે એ વાત બોલિવૂડમાં સ્વીકારાયેલું સત્ય છે. એમાંયે ફિલ્મ ‘અનાડી’માં મોતીલાલ નૂતનની સામસામી અદાકારી ખૂબ યાદગાર છે.

મોતીલાલ બહુ મોટા સ્ટાર હતા, પણ એમના અભિનય જેટલા જ સરળ પણ હતા. એક દિવસ એક ફિલ્મના સેટ પર એક નાનો મજૂર એમની પાસે ઓટોગ્રાફ માગવા ગયો. મોતીલાલે ફક્ત સાઇન જ ન કરી પણ એ છોકરાને પાસે બેસાડીને એની સાથે સિગરેટ શેર કરી અને શિમલાના જૂના દિવસોની વાતો કરી. મોતીલાલને ઘોડાની રેસ અને જુગારનો ખૂબ શોખ. એક વખત એમનો ‘ટ્રેટર’ નામનો ઘોડો, રેસમાં ફિનિશ લાઈન પાસે આવીને પાછો વળીને મોતીલાલને જોવા ગયો અને રેસમાં હારી ગયો! પછીથી મોતીલાલે રેસકોર્સમાં રમવાનું તો છોડી દીધું, પણ જુગારની લતે એમને પાયમાલ કરી મૂક્યા હતા.

1960ના દાયકામાં એમની પાસે લગભગ કશું ન રહ્યું. ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ ‘છોટી છોટી બાતેં’ (1965) રિલીઝ થાય એ પહેલાં જ એ ગરીબીમાં ગુજરી ગયા. મોતીલાલજીને આ ફિલ્મ માટે મરણોત્તર બે રાષ્ટ્રીય પુરસ્કારો પણ આપવામાં આવ્યા હતા.

એક બેપરવા અને કોઇજાતના અપરાધભાવ વિના મસ્તીથી જીવનારા મોતીલાલ ફક્ત એક્ટર નહોતા, એક આગવી ખુશ્બૂ જેવા ઇંસાન હતા વેદના-સંવેદના, સ્ટાઇલ અને વિદ્રોહીતાનો સંગમ. મોતીલાલે જીવનમાં ખૂબ શોહરત કમાઇ, ખૂબ દોલત કમાઈને ગુમાવી, ખૂબ રોમાંસ કર્યો ને અભિનયમાં ખૂબ સચ્ચાઇ દેખાડી. મોતીલાલનું જીવન ભલે પર્ફેક્ટ નહોતું, પણ રીઅલ, દંભ વિનાનું સાચુકલું હતું. એક સાચુકલા કલાકારને છાજે એવું! બાય ધ વે, હમણાં 17મી જૂને મહાન અભિનેતા મોતીલાલજીની 65મી પુણ્યતિથિ હતી.

આ પણ વાંચો…સ્ટાર-યાર-કલાકાર: ગરવા ગુજરાતી એવા મહારથી ફિલ્મકાર મેહબૂબ ખાન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button