ફ્લૅશ બૅક : `હર હર મહાદેવ’થી ધાર્મિક ચિત્રપટનો દસકો

- હેન્રી શાસ્ત્રી
બરાબર 75 વર્ષ પહેલાં બનેલી માઈથોલોજિકલ ફિલ્મ પછી 10 વર્ષમાં આ પ્રકારમાં જબરો ઉછાળો જોવા મળ્યો હતો
1950ના ચિત્રપટમાં ત્રિલોક કપૂર -નિરુપા રોય (ડાબે) અને 1974ની ફિલ્મમાં જયશ્રી ગડકર અને દારા સિંહ
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બોલપટનો દોર શરૂ થયો `આલમ આરા’ (1931)થી. એ પહેલા મૂંગી ફિલ્મો બનતી હતી. 1920 અને 1930ના દાયકામાં નિર્માણ થયેલી ફિલ્મોની યાદી પર નજર નાખતા માઈથોલોજિકલ ફિલ્મ્સ (પૌરાણિક ચિત્રપટ)ની -ભીષ્મ પ્રતિજ્ઞા બોલબાલા હતી. અલબત્ત, પૌરાણિક ઉપરાંત ભક્તિ ચિત્રપટ (ડિવોશનલ ફિલ્મ) – ભક્ત અંબરીષ અને ધાર્મિક ચિત્રપટ (રિલિજિયસ ફિલ્મ) – શંકર અને પાર્વતી વગેરે ફિલ્મોની પણ હાજરી હતી. આ દાયકામાં ધાર્મિક ચિત્રોની ટકાવારી એટલી વધારે હતી કે એ દર્શાવવામાં આવતા હતા એ થિયેટર હતા કે મંદિર એવો સવાલ થયો હશે. જોકે, બોલપટના નિર્માણ સાથે અન્ય પ્રકારની ફિલ્મોનું ચલણ વધ્યું અને ધાર્મિક ચિત્રપટોમાં ઓટ આવી. 1947માં આઝાદી મળ્યા પછી ફિલ્મ નિર્માણમાં વેગ આવ્યો અને સોશિયલ અને એક્શન ફિલ્મો વધુ બનવા લાગી. ધાર્મિક ચિત્રપટ બનતા હતા, પણ એ જોવા માટે કે નિર્માણ માટે વિશેષ ઉત્સાહ નહોતો.
એ પછી બરાબર 75 વર્ષ પહેલા જૂન 1950માં રિલીઝ થઈ હર હર મહાદેવ’. ત્રિલોક કપૂર અને નિરુપા રોયની મુખ્ય ભૂમિકાવાળા આ ચિત્રપટને બોક્સ ઓફિસ પર આનંદદાયક આવકાર મળ્યો. 1950ની ટોપ ટેન સફળ ફિલ્મોના લિસ્ટમાંહર હર મહાદેવ’ પાંચમા સ્થાને હતી. અશોક કુમાર-નલિની જયવંતની સમાધિ’, દિલીપ કુમારનીબાબુલ’ અને જોગન’ તેમજ રાજ કપૂરનીદાસ્તાન’ એની આગળ હતી. જ્યારે પી. એલ. સંતોષીની સરગમ’ (રાજ કપૂર), શાહિદ લતીફનીઆરઝૂ’ (દિલીપ કુમાર – કામિની કૌશલ), દેવેન્દ્ર ગોયલની આંખેં’ (મધુબાલા – ભારત ભૂષણ) તેમજસંગ્રામ’ (અશોક કુમાર) અને બેકસૂર’ (મધુબાલા – અજીત) એની પાછળ હતી. ભોળાનાથની કૃપા કહો, આશીર્વાદ કહો કે બીજું કોઈ નામ આપો, પણહર હર મહાદેવ’ની સફળતાને લીધે ધાર્મિક ચિત્રપટના નિર્માણમાં નવો સંચાર થયો, પ્રાણ ફૂંકાયો અને 1960 સુધીના દસકામાં 125 સવાસો પૌરાણિક, ભક્તિ અને ધાર્મિક ચિત્રપટ બન્યા. એક આખો દસકો એ પ્રકારના ચિત્રપટને સમર્પિત રહ્યો. બોલો હર હર મહાદેવ!
ફિલ્મી કથા અનુસાર માતાનું ઇન્દ્રએ કરેલા અપમાનનો બદલો લેવા અસુરોના રાજા તારકાસુર દેવતાઓની ભૂમિ પર આક્રમણ કરે છે. તારકાસુર યુદ્ધ જીતી જાય છે અને ઈન્દ્ર સહિત તમામ ભગવાનને કેદમાં રાખવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા જાણતા છે કે કેવળ ભગવાન શિવ જ તારકાસુરને પરાજિત કરી શકે એમ છે. જોકે, ત્યારે શિવજી તપશ્ચર્યા કરી રહ્યા હોવાથી તેમને ધ્યાનભંગ કરવા કામદેવને મોકલવામાં આવે છે. આ કોશિશથી મહાદેવ કોપાયમાન થાય છે અને ત્રીજી આંખ ખોલી કામદેવને ભસ્મ કરી નાખે છે. હવે માત્ર રાજા હિમાલયની પુત્રી ઉમા (પાર્વતી) જ વિશ્વને ઉગારી શકે છે. ઉમા (નિપા રોય) શિવ (ત્રિલોક કપૂર)ને પ્રસન્ન કરવા માટે તપસ્યા શરૂ કરે છે. ઉમાની નિષ્ઠા અને બેજોડ ભક્તિથી શિવજી નમતું જોખે છે અને ધ્યાનમાંથી બહાર આવે છે. શિવ અને ઉમા વિવાહબદ્ધ થાય છે અને પછી ભગવાન શિવ તારકાસુરનો નાશ કરી તમામ દેવતાઓને મુક્ત કરે છે.
આ ફિલ્મ જોયા પછી ત્રિલોક કપૂર અને નિરુપા રોયની શિવ – પાર્વતીની જોડી માટે દર્શકોમાં જાણે કે અનેરો ભક્તિભાવ જાગ્યો અને ફિલ્મમેકરોના ધ્યાનમાં આ વાત આવી. પરિણામે પછી ત્રિલોક કપૂર અને નિરુપા રોયે છ ફિલ્મમાં શંકર – પાર્વતીની ભૂમિકા કરી – શિવ શક્તિ',
શિવ ક્નયા’ `શિવરાત્રી’ વગેરે. એટલું જ નહીં, આ જોડી કુલ દોઢ ડઝન ફિલ્મોમાં લીડ પેર તરીકે ચમકી ગઈ જેમાંની મોટાભાગની ધાર્મિક હતી.
ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક જયંત દેસાઈ હતા. સુરતમાં ફિલ્મ એક્ઝિબીટર તરીકે શરૂઆત કરનારા જયંતભાઈએ ચંદુલાલ શાહની કંપની રણજીત મુવિટોન' માટે ફિલ્મ મેકિગની શરૂઆત કરી હતી. કે. એલ. સાયગલની
તાનસેન’ ફિલ્મના દિગ્દર્શક તરીકે જયંતભાઈ મશહૂર થયા હતા. 1950ના દાયકામાં એમણે સ્વતંત્રપણે ફિલ્મ નિર્માણ કર્યું હતું અને આધારભૂત માહિતી અનુસાર `હર હર મહાદેવ’ ફિલ્મથી એમની તિજોરી છલકાઈ ગઈ હતી. ફિલ્મના શૂટિગ દરમિયાન શિવજીના (ત્રિલોક કપૂરના) ગળામાં સાચુકલો નાગ રાખવામાં આવશે એવી વાત વહેતી થઈ હતી. ઉમાનો રોલ કરનારાં નિરુપા રોયને સાપની બહુ બીક લાગતી હતી. શૂટિગમાં સમસ્યા ઊભી ન થાય એટલે નકલી સાપનો ઉપયોગ કરી દ્રશ્યો ફિલ્માવવામાં આવ્યા હતા.
આપણ વાંચો: સાત્વિકમ્ શિવમ્ : માફી ભૂલ કરનારને મળે… ચાલાકી કરવાવાળાને નહીં…
ધાર્મિક ચિત્રપટમાં ગીત – સંગીતનું પ્રમાણ ખાસ્સું હોય છે. આ ફિલ્મના સંગીતકાર હતા અવિનાશ વ્યાસ. એકંદરે ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક, હીરોઈન અને સંગીતકાર ગુજરાતી હતા. ફિલ્મમાં શિવજીની સ્તુતિ સહિત 10 ગીત હતાં જેમાંથી છના ગીતકાર હતા રમેશ શાસ્ત્રી. રાજ કપૂરની બરસાત'નું
હવા મેં ઉડતા જાયે મેરા લાલ દુપટ્ટા મલમલ કા’ ગીત શાસ્ત્રીજીએ ફિલ્મો માટે લખેલું પ્રથમ ગીત હતું. હર હર મહાદેવ' માટે એમણે લખેલાં ગીતોમાંથી ગીતા દત્તના સ્વરમાં રજૂ થયેલું
કંકર કંકર સે મૈં પૂછું, શંકર મેરા કહાં હૈ’ હિટ થયું હતું.
મુખ્યત્વે પંજાબી ફિલ્મોનું નિર્માણ કરનારા પ્રોડ્યુસર-ડિરેક્ટર ચંદ્રકાંતે હિન્દીમાં કેટલીક ધાર્મિક ફિલ્મો બનાવી હતી. એ યાદીમાં એક ફિલ્મ હતી `હર હર મહાદેવ’. 1974માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં શિવ – પાર્વતીના રોલમાં હતા દારા સિંહ અને જયશ્રી ગડકર. અન્ય પ્રમુખ કલાકારોમાં શાહુ મોડક અને પદ્મા ખન્નાનો સમાવેશ હતો. સંગીતકાર હતા કલ્યાણજી – આનંદજી.