ફિલ્મનામા: ઓન સ્ક્રીન આમ આદમી… ઓફ સ્ક્રીન એગ્રી યંગમેન!

- નરેશ શાહ
પરદા કે સ્ટેજ પર ભજવાતાં કિરદારથી બંધાતી ઈમેજ જેવા કલાકાર હોતા નથી એ હવે બધા જાણે છે. ખાસ કરીને ફિલ્મોમાં ગબ્બરસિંહ, મોગેમ્બો, શાકાલ બનતા અમજદખાન, અમરીશ પૂરી, કુલભૂષણ ખરબંદા કે પ્રાણ કે પ્રેમચોપરા કે રણજીત વાસ્તવિક જીવનમાં ખૂબ સરળ તેમજ સજ્જન વ્યકિત જ રહ્યા છે. જોકે, અમિતાભ બચ્ચન અને અમોલ પાલેકરની ઓન સ્ક્રીન/ઓફ સ્ક્રીન ઈમેજમાં જબરદસ્ત વિરોધાભાસ રહ્યો છે.
એંગ્રી યંગમેનની ઈમેજ ધરાવતાં અમિતાભ બચ્ચન વાસ્તવમાં તો ઠરેલ, શાંત અને ડરપોક કિસ્મના લાગે તેવા સંસ્કારી છે.
બીજી બીજી તરફ, જયારે છોટી સી બાત, રજનીગંધા, ચિત્તચોર- બાતોં બાતોં મેં જેવી ફિલ્મથી ‘નેકસ્ટ ડોર બોય’ જેવી ઈમેજ અમોલ પાલેકરની રહી છે. સ્ક્રીન પર એમનામાં કયારેય સ્ટારનો ઓરા પથરાયો નથી. ઊલ્ટું એમ જ લાગે કે આપણી આસપાસ રહેતા બેન્કના કલાર્ક એવો કહ્યાગરા કર્મચારી જેવો જ ભાસતો આ અભિનેતા છે, પણ…વાસ્તવિકતા જુદી છે.
પરદા પર ઢબ્બુ અને આત્મવિશ્વાસની ઊણપ ધરાવતી વ્યક્તિની ઈમેજ ધરાવતાં અમોલ પાલેકર વાસ્તવિક જીવનમાં ‘એંગ્રી યંગ મેન’ જેવું જ વ્યક્તિત્વ ધરાવે છે. ફિલ્મોમાં આપણે કાયમ સરળ અથવા સજ્જન યા લાચાર વ્યકિત લાગતા અમોલ પાલેકર પોતાની નૈતિકતા, નિયમો, માન્યતા તેમજ આગ્રહો માટે કયારેય બાંધછોડ કરનારા રહ્યાં નથી. જરૂરી લાગે ત્યાં સામે શિંગડા ભરાવવાનું અમોલ પાલેકર ચૂકયા નથી.
1974માં ‘રજનીગંધા’ ફિલ્મથી અમોલ પાલેકરનું નામ જાણીતા થવું શરૂ થયું, પણ પાંચ જ વરસ પછી એમણે દિગ્ગજ પ્રોડયુસર-ડિરેકટર બી. આર. ચોપરા સામે ફરિયાદ કરીને લડાઈ વહોરી લીધેલી. અમોલ પાલેકરને ‘અગ્નિ પરીક્ષા’ ફિલ્મમાં કામ કરવાના મહેનતાણાંનો આખરી હપ્તો ચોપરા કેમ્પે ચૂકવ્યો નહોતો. ઉઘરાણી કરતાં બી.આર. ચોપરાએ ધમકી પણ આપેલી : ‘હું તને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી ખતમ કરી નાખીશ!’
આવી ધમકી છતાં અમોલ પાલેકર લડેલાં અને જીતેલાં પણ ખરાં.
1971 થી 2023 વચ્ચે શાહરુખ ખાનની ‘પહેલી’ ફિલ્મ સહિત 15 ફિલ્મ અને 4 ટીવી સિરિયલ ડિરેકટ કરનારા અને પચાસ વરસમાં માત્ર સાઈઠ ફિલ્મોમાં અભિનય કરનારા અમોલ પાલેકર ખરેખર તો નાટયકાર છે. અત્યારે બયાંસી વરસના છે, પણ એંસી વરસની ઉંમરે પણ ‘કુસુર’ નામનું નાટક સફળતાપૂર્વક મહારાષ્ટ્રનાં વિવિધ શહેરોમાં એ ભજવી ચૂક્યા છે. પ્રથમ પત્ની ચિત્રાથી અલગ થયા પછી એ એડવોકેટ-રાઈટર સંધ્યા ગોખલે સાથે (હવે) પૂનામાં રહે છે. એની વે, આપણે અમોલ પાલેકરની ઈમેજ અને રિયલ પર્સનાલિટી પર આવીએ….
બહુ ઓછા લોકોને આ વાત ગળે ઊતરશે કે છોડી એ પહેલાં અમોલ પાલેકર દરરોજ 72 જેટલી સિગારેટ પીતા હતા. રજનીગંધા, છોટી સી બાત અને ચિત્તચોર પછી તેમની ડિમાન્ડ એવી નીકળેલી કે અમોલ પાલેકર કહે છે, ‘એ સમયે સાઈનિંગ અમાઉન્ટ લઈ લીધી હોત તો તેમાંથી હું આખી જિંદગી એશથી જીવી લેત!’
… પણ એકના એક રોલ કરીને સ્ટારડમ મેળવવાને બદલે એમણે ‘ખામોશ’ અને ‘તિસરા કોન’ જેવી ફિલ્મમાં વિલન બનવાનું પસંદ કર્યું. અમિતાભ બચ્ચનની જેમ કાયમ સેટ પર સમયસર પહોંચનારા અમોલ પાલેકરને (મોડા સેટ પર આવતા) દાદામુનિ અશોક કુમારે પૂછેલું ‘તું આટલો વહેલો કેમ આવી જાય છે?’
‘હું વહેલો નહીં, સમયસર આવું છું, સર…!’ અમોલ પાલેકરે આવો જવાબ અશોક કુમારને આપી દીધેલો. જવાબ આપવામાં અને સવાલ કરવામાં અમોલ પાલેકર કયારેય ખચકાયા નથી. અભિનેતા પ્રકાશ રાજની જેમ જરૂર જણાય ત્યારે મોદી સરકાર કે ભાજપ વિશે પણ સ્પષ્ટ વાત કરી દેતા અમોલ પાલેકરને કદાચ એટલે જ ભારત સરકારના એકેય એવોર્ડ અપાયા નથી, પરંતુ નાટક અને સિનેમાને સમર્પિત આ એક્ટર-ડિરેક્ટર વેગળા નાટક અને વેગળી ફિલ્મો બનાવતાં રહ્યા છે. ‘પરિંદા’ ફિલ્મ સુપર હિટ ગઈ ત્યારે અમોલ પાલેકર એક કાવ્યમય શૈલીની (હિર રાંઝા) જેવી ફિલ્મ બનાવી રહ્યા હતા. એ જાણીને નાના પાટેકરે એમની પાસે જઈ જીદ લીધી અને એમના ઘેર જ રોકાઈને ફિલ્મના પાત્રને આત્મસાત કરીને ભજવી બતાવ્યું. આખરે અમોલ પાલેકરે નાના પાટેકરને લઈને જ ‘થોડાસા રૂમાની હો જાએ! ફિલ્મ બનાવી હતી.
આપણ વાંચો: ફિલ્મ એવોર્ડ ફંક્શનમાં વિવિધ ભવાડા!
અમોલ પાલેકર કહે છે કે, ‘મેં વિદેશી નહીં પરંતુ ભારતીય સાહિત્યને જ ધ્યાનમાં રાખીને નાટકો તેમજ ફિલ્મો બનાવી છે અને તેનું મને ગૌરવ છે. શાહરુખ ખાન – અમિતાભ બચ્ચન – રાની મુખરજીની સાથે મેં રાજસ્થાની સાહિત્યકાર વેજયદાન દેથાની
વાર્તા પરથી ‘પહેલી’ ફિલ્મ બનાવી. તેના વિષે ભલે ગમે તે બોલાતું હોય, ફિલ્મ મારે બનાવવી હતી, તેવી જ મેં બનાવી છે. મોટા સ્ટારના કારણે લોકોની અપેક્ષા ઊંચી થઈ જાય તો એ મારો પ્રોબ્લેમ નથી!