સ્ટાર-યાર-કલાકાર: યુદ્ધ ને કલા ‘ગોડ ઇઝ ગિલ્ટી’ કહેનારો વિદ્રોહી નાટ્યકાર!

-સંજય છેલ
એકવાર માનવપ્રેમે અને બીજીવાર શબ્દપ્રેમે આ નાટ્ય લેખકને કેદમાંથી ભાગી જતો અટકાવ્યો!
તાનાશાહ હિટલરના જમાનામાં જંગના માહોલમાં એક જર્મન લેખકે કહેલું, ‘ઓરડાની ભીંત પર સૂર્યપ્રકાશનાં બે અંડાકાર પ્રતિબિંબ પડતાં હતાં અને એને તાકતાં અચાનક મને વિચાર આવ્યો કે યુદ્ધમાં જો માણસ નપુંસક થઈ ગયો હોય એને દુનિયા કેવી દેખાય? ખાલી ઇંડા જેવી! આપણે તંદુરસ્ત અને નોર્મલ આંખે ઘણુંબધું બરાબર જોઈ નથી શકતા. એ માટે ઝિંદગીને મોતનાં ચશ્મા લગાડી જોવી પડે છે.’ આ શબ્દો અર્નસ્ટ ટૉલર નામના જર્મન કવિ-નાટ્યકાર, ક્રાંતિકારી વિચારકના છે.
આજકાલ આપણાં દેશમાં અને હવે તો આખા જગતમાં મહાયુદ્ધનાં ભણકારાનો માહોલ છે. યુદ્ધની ભયાનકતા સામે એ પણ સત્ય છે કે જો મહાભારતનું યુદ્ધ ના થયું હોત તો આપણને ભગવદ્ ગીતા જેવો મહાગ્રંથ ના મળ્યો હોત, ટોલ્સ્ટોયની ‘વોર એંડ પીસ’ જેવી અદ્ભુત નવલકથા ના મળી હોત. ‘પ્લેટૂન’ કે ‘શિંડલર્સ લિસ્ટ’ જેવી હોલિવૂડની અદ્ભુત ફિલ્મ્સ ના મળી હોત કે અર્નસ્ટ ટૉલર જેવો નાટ્યકાર ના થયો હોત….
22 મે 1929ના રોજ આત્મહત્યા કરનાર અર્નસ્ટ ટૉલર, જન્મે યહૂદી, કર્મે કવિ ને નાટ્યકાર… નવમા વર્ષે કવિતાઓ લખવાની શરૂ કરી, બાપનું કેન્સરમાં મૃત્યુ થયું પછી ટૉલરે લશ્કરમાં દાખલ થવું પડ્યું. યુદ્ધમાં તોપખાનાની કામગીરી અને ઘાતકી અનુભવો જોઈને, જૂઠ્ઠી ને ઘાતકી દેશભક્તિથી એને નફરત થઈ ગઈ.
આ પણ વાંચો: સ્ટાર-યાર-કલાકાર: મતવાલા અલગારી અદાકાર મોતીલાલ
આજન્મ યુદ્ધને, જૂઠા રાષ્ટ્રવાદને એ ધિક્કારતો રહ્યો. હજારોની મેદનીને સંબોધીને જર્મન સરકાર અને યુદ્ધ વિરુદ્ધ બોલવા બદલ વાંરવાર એણે જેલમાં જવું પડ્યું. મંચ પર પથ્થરો ખાધા અને હદ તો ત્યારે થઇ ગઇ કે જયારે ટૉલરની સગી માએ સરકારને કહ્યું કે ‘મારો દીકરો પાગલ છે, એની માનસિક તપાસ કરાવો!’
એ પછી માત્ર ચાર જ દિવસ પાગલખાનામાં ગુજારીને જગતને જોવાની ટૉલરની દૃષ્ટિ જ બદલાઈ ગઈ. યુદ્ધે ટૉલરની અનુભૂતિઓને હચમચાવી નાખી હતી અને એટલે જ એ ક્રૂર હિટલર વિરુદ્ધ સતત જાહેરમાં ભાષણો આપતો. અર્નસ્ટ ટૉલરે ‘મેન એન્ડ માસીઝ’ નાટક જ્યારે 1921માં બર્લિન ખાતે રજૂ કર્યું ત્યારે વિચિત્ર ચહેરાઓ વાળું વિશાળ ભયાનક ટોળું ધીમે ધીમે ચાલીને હાથકડીથી બંધાયેલા એક માણસ તરફ નજીક આવે છે..એ માણસ ટોળાને પૂછે છે:
‘તમે કોણ છો? ઓ ચહેરા વિનાનાં આકારો? કોણ છો?’
ટોળું કહે છે: જનતા… જનતા… અમે જનતા છીએં!
ગુજરાતી ભાષાનાં ‘સુંદરમ’ જેવા મહાકવિ-સાહિત્યકારે ટૉલરનાં નાટકોનાં ‘કાયાપલટ’, ‘જન અને જનતા’, ‘હિન્કમાન’ અને ‘હોપ્લા, ‘ઐસી હૈ જિન્દગી!’ જેવાં અદ્ભુત અનુવાદો આપ્યા છે..
આ પણ વાંચો: સ્ટાર-યાર-કલાકાર : વડા પ્રધાન પાસે પણ નાટક કરાવનાર એક અલગારી કલાકાર હબીબ તન્વીર
જોકે, એ વિશે કેટલાંને ખબર છે? આપણને તો માત્ર ધોતિયા ફાડીને રૂમાલ બનાવતી કોમેડીઓમાં રસ પડે છેને? ટૉલરનાં નાટકોને જર્મનીના એ.સી. હોલમાં નહીં પણ મજૂરોએ ખુલ્લા મેદાનોમાં ભજવ્યાં હતાં. નાઝીઓએ લગાવેલી આગમાંથી પોતાનાં નાટકોની કોપીઓને બચાવતો બચાવતો એ સતત લખ્યા જ કરતો અને બિન્દાસ સભાઓમાં વિદ્રોહ કરતો. ટૉલરની આત્મકથા : ‘આઈ વોઝ જર્મન’નો એક કિસ્સો તો એને વ્યક્તિ તરીકે પણ ઊંચાઈ પર મૂકી દે છે.
એકવાર એણે જેલમાંથી ભાગી જવાનો પ્લાન કર્યો હતો, પણ આખા પ્લાનમાં જેલના વોર્ડનનું ખૂન થવાની શક્યતા હોવાની ખબર પડી ત્યારે છેલ્લી ઘડીએ એણે ભાગી જવાનું માંડી વાળ્યું ને બદલામાં એણે પાંચ વર્ષ જેલમાં રિબાઈને કાઢ્યા! પછી થોડા દિવસ પછી પેલો વોર્ડન સાથે ટૉલર અને એનો કેદી મિત્ર પાસેના શહેરમાં દવાખાને જઈ રહ્યા હતા. સાંકડી, નિર્જન ગલીમાં વોર્ડનને ધક્કો મારીને ભાગીને ઓસ્ટ્રિયા પહોંચી શકયા હોત. પણ આ દરમિયાન ટૉલરે ‘હિન્કમાન’ નાટક લખવાનું શરૂ કર્યું હતું.
જોકે, એનો મિત્ર થોભી શકે એમ નહોતો. ટોલરનું નાટક છેલ્લાં દૃશ્ય સુધી પહોંચ્યું હતું. મિત્રએ એને એક દિવસની મોહલત આપી. બીજે દિવસે ભાગવાનું હતું. ટોલરે આખી રાત વિચાર્યું કે નાસી જવું કે નાટક પૂરું કરવું? એણે ભાગવાને બદલે નાટક લખવાનું પસંદ કર્યું! ટૉલરનો મિત્ર નાસી છૂટ્યો. આમ, એકવાર માનવપ્રેમે અને બીજીવાર શબ્દપ્રેમે ટૉલરને કેદમાંથી ભાગી જતો અટકાવ્યો!
આ પણ વાંચો: સ્ટાર-યાર-કલાકાર : ‘સુપર હીરો’ની ‘સુપર કથા’…
આપણા સાહિત્યકારોની જેમ એ હિંચકે બેસીને મોર કે કોયલને સાંભળતાં સાંભળતાં ઠાલી ફિલોસોફીઓ નહોતો હાંકતો, ટૉલરનાં વિચાર-વાણી-વર્તનમાં કોઈ જ ફરક નહોતો. એના ‘હિન્કમાન’ નાટકમાં એક હેન્ડસમ સૈનિકનું ગુપ્તાંગ છેદાઈ જતાં એ કેવી અસહાય હાલત માં, જીવનની વંધ્યતામાં ગરક થઈ જાય છે એની વાત ટોલરે કરી હતી.
સરકસમાં એ નપુંસક હીરો ‘જીવતા ઉંદરને ખાઈ જવાનો’ મર્દાના ખેલ કરી બતાવે છે… ઓડિયન્સમાં યુવાન છોકરીઓ એના પડછંદ કાયાને જોઈ સિસકારાં બોલાવે છે, તાળીઓ પાડે છે અને આ બાજુ એ સૈનિકની પત્ની કોઈ બીજા જ પુરુષની સાથે એ જ ખેલ જોવા આવી હોય છે. એની પત્ની સાથેનો પુરુષ કહે છે :
‘સાલ્લું, આવું તૂત તેં કયારેય જોયું છે? જીવતા ઉંદર ખાનારો વીર નર! અરે, એ તો હિજડો કહેવાય તેવો છે!’ ત્યારે હિન્કમાન કહે છે, ‘દુનિયાનો આત્મા નાશ પામ્યો છે, જેમ મારી ઇન્દ્રિય નાશ પામી છે!’
આ પણ વાંચો: સ્ટાર-યાર-કલાકાર: ગરવા ગુજરાતી એવા મહારથી ફિલ્મકાર મેહબૂબ ખાન
એકવાર એનાં એક શોમાં હુલ્લડ થયું. હિટલરના ભાડૂતી માણસોએ એના વિરોધમાં ખૂબ બૂમાબૂમ કરી, આ ધમાલમાં ઓડિયન્સમાં બેઠેલો એક માણસ હાર્ટએટેકથી મરી ગયો પણ કોઈનું એ મરતા માણસ પર ધ્યાન જ ના ગયું. સૌ આવેશથી દેશપ્રેમનાં ગીતો લલકારવા માં મસ્ત હતાં. પછી એક માણસે લાશ પાસે નીચે ઝૂકીને મરનારનું નાક તપાસ્યું અને બોલ્યો: ‘છીઇઇઇ! આ તો યહૂદી છે, ગંદો સાલો!’
ટૉલરે આ સામૂહિક હિંસા અને નફરતી ઝેર સામે ખૂલ્લેઆમ લખ્યું હતું. ટૉલરે ઘણાંય ખેલ ખેલેલા. ફ્રાંસ, જર્મની, ઇંગ્લેન્ડ, અમેરિકા વચ્ચે એ ફંગોળાતો રહ્યો. હોલિવૂડમાં ફિલ્મ માટે વાર્તાઓ લખી પણ વેચાઈ નહીં, પછી સ્પેન જઈ આંતરવિગ્રહમાં મજૂરીનું કામ કર્યું અને છેવટે ત્યાં જ એણે માનવતાવાદી ચળવળ અધૂરી મૂકવી પડી.
કારકિર્દીને અંતે ‘હોપ્લા!’ (ઐસી હૈ જિંદગી!’) નાટક લખ્યું, જેમાં હીરો કાર્લ લેખક ટૉલરનું જ પ્રતિબિંબ છે. ક્રાંતિકારીઓ પોતે જોયેલા સારા સમાજના સ્વપ્નને કઈ રીતે નજર સામે તૂટતું જુએ છે એની કરુણતા એમાં છે. પોતાની સગી માતાને પોતાનામાં જે પાગલપણું દેખાયેલું એની વાત પણ એમાં આવે છે.
આ પણ વાંચો: સ્ટાર-યાર-કલાકાર: દેશભક્ત નાઝીર હુસૈન: ‘ટિપિકલ બાપ’ની બહાદુરીની વાત…
નાટકનો હીરો રજાઈમાંથી એક ચીંથરું ફાડીને આત્મહત્યા કરે છે. કહે છે કે ટૉલરે એ જ રીતે પાછળથી જીવનનો અંત આણેલો! કારમી નિરાશામાં એનાં બધાં જ મૂલ્યો 22 મે -1939માં મોત સામે ઓગળી ગયાં અર્નસ્ટ ટૉલરના જીવનનાં કરુણ અંતને જોતાં એના જ નાટકનું પાત્ર યાદ આવે છે, જે ગુસ્સામાં બરાડતું રહે છે:
‘ગિલ્ટી, ગિલ્ટી, ગોડ ઇઝ ગિલ્ટી – દોષી છે, અપરાધી છે, ઈશ્વર દોષી છે!’