એકનાથ ખડસે ક્યારે ભાજપમાં પાછા ફરશે, જાણો શું કહ્યું રક્ષા ખડસે?

મુંબઈ: કેન્દ્રીય પ્રધાન રક્ષા ખડસેએ ગુરુવારે કહ્યું હતું કે તેમના સસરા અને એનસીપીના વિધાન પરિષદના ભૂતપૂર્વ સભ્ય એકનાથ ખડસે ભારતીય જનતા પક્ષમાં ફરી જોડાવવા અંગેની તેમની યોજનાનો તેઓ જ ખુલાસો કરી શકે છે.
એક સમયના ભાજપના દિગ્ગજ નેતા એકનાથ ખડસેને ભ્રષ્ટાચારના કથિત આરોપોને કારણે 2016માં દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં પ્રધાનપદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. 2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેમને ઉમેદવારી નહોતી આપી.
ત્યાર બાદ ખડસેએ 2020માં પક્ષત્યાગ કર્યો હતો અને શરદ પવારના નેતૃત્વવાળી એનસીપી (અવિભાજિત)માં જોડાયા હતા. આ વર્ષે એપ્રિલમાં તેઓ ફરીથી ભાજપમાં જોડાઈ રહ્યા હોવાની પ્રબળ અટકળો વચ્ચે વિધાન પરિષદમાંથી ખડસેએ રાજીનામું આપી દીધું હતું. જોકે, ત્યાર બાદ કશું જ બન્યું નથી.
આ પણ વાંચો: બોમ્બે હાઇ કોર્ટમાં મરાઠા અનામત પર સુનાવણી, OBC કમિશનના રિપોર્ટ પર સવાલ
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન રક્ષા ખડસેએ પોતાના સસરાની ભવિષ્યની યોજનાઓ વિશે સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘માત્ર અને માત્ર નાથાભાઉ (એકનાથ ખડસે આ નામથી વધુ જાણીતા છે) જ ભાજપમાં ક્યારે પાછા ફરશે એ વિશે ફોડ પાડી શકે છે.’
અન્ય પછાત વર્ગોના અગ્રણી નેતા એકનાથ ખડસેને મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારમાં ભાજપના પ્રભાવને વિસ્તારવાનો શ્રેય આપવામાં આવે છે અને કાયદાકીય પ્રક્રિયાઓમાં તેમની નિપુણતા માટે તેમને ઘણી વાર બિરદાવવામાં આવે છે.
(પીટીઆઈ)