શું છે મહારાષ્ટ્રના પિંપરીના ચમત્કારીક વૃક્ષનું રહસ્ય?

પૂણેના પિંપરી વિસ્તારમાં એક વૃક્ષના થડમાંથી અચાનક પાણી વહેવા લાગતાં લોકોમાં વિચારવિમર્શનો દોર શરૂ થયો. શ્રદ્ધાળુઓએ આ ઘટનાને ચમત્કાર માનીને પૂજા-અર્ચના શરૂ કરી, પરંતુ આ થવા પાછળની હકીકત તો કઈક અલગ જ નીકળી. ઘણા લોકો એ ચમત્કારને નમસ્કાર કર્યો તો, ઘણા લોકો આ થવા પાછળનું વિજ્ઞાન શોધવા લાગ્યા. આ ઘટનાએ જોર ત્યારે પકડ્યું જ્યારે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વહેતો થયો.
વાસ્તવમાં આખી વાત એમ છે કે, ગત શુક્રવારે પિંપરીના પ્રેમલોક પાર્ક વિસ્તારમાં એક વૃક્ષના થડમાંથી પાણી નીકળતું હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા. સ્થાનિક લોકોએ આને પવિત્ર જળ ગણીને વૃક્ષને હળદર-કંકુ લગાવી, ફૂલહાર ચઢાવ્યા અને પૂજા શરૂ કરી. કેટલાકે દાવો કર્યો કે આ પાણી ઔષધીય ગુણ ધરાવે છે અને રોગોને મટાડી શકે છે. ટૂંક સમયમાં જ લોકોની ભીડ વૃક્ષના દર્શન માટે ઉમટી પડી.
પિંપરી-ચિંચવડ મહાપાલિકાએ તાત્કાલિક તપાસ હાથ ધરી. ખોદકામ દરમિયાન જાણવા મળ્યું કે ભૂગર્ભ પાઈપલાઈનમાં ભંગાણને કારણે વૃક્ષના થડમાંથી પાણી નીકળી રહ્યું હતું. આ ઘટનામાં કોઈ ચમત્કાર ન હોવાનું સ્પષ્ટ થયું. મહાપાલિકાએ લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી.
આ ઘટનાએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી. ઘણા લોકોએ અંધશ્રદ્ધા પર સવાલ ઉઠાવ્યા, જ્યારે કેટલાકે લખ્યું કે 21મી સદીમાં આવી માનસિકતા દેશની પ્રગતિમાં અવરોધરૂપ છે. એક નેટીઝને ટિપ્પણી કરી કે જો આપણે વિજ્ઞાન અને શિક્ષણને અનુસરીએ તો જ દેશ આગળ વધી શકશે. આ ઘટના અંધશ્રદ્ધા સામે જાગૃતિની જરૂરિયાત દર્શાવે છે.