પાંચમા અને આઠમા ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા પ્રક્રિયા માટે લેવામાં આવ્યો આ નિર્ણય

પુણે: મહારાષ્ટ્ર રાજ્યમાં ધોરણ ૫ અને ૮ માટે વાર્ષિક પરીક્ષા, પુનઃપરીક્ષા અને મૂલ્યાંકન માટેની પ્રક્રિયાઓ નક્કી કરવામાં આવી છે. આ મુજબ પાંચમા ધોરણમાં દરેક વિષય માટે ૫૦ માર્ક્સ અને આઠમા ધોરણમાં દરેક વિષય માટે ૬૦ માર્ક્સની પરીક્ષા શાળા કક્ષાએ લેવામાં આવશે. નાપાસ થયેલા વિદ્યાર્થીઓને જૂનમાં ફરીથી પરીક્ષા આપવાની તક આપવામાં આવશે અને જો તેઓ પુનઃ પરીક્ષામાં નાપાસ થશે તો તેમને તે જ વર્ગમાં મૂકવામાં આવશે. આ પ્રક્રિયા આ વર્ષથી જ લાગુ કરવામાં આવશે.
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટની કલમ ૧૬ મુજબ કોઈ પણ બાળકને પ્રાથમિક શિક્ષણ પૂરું ન થાય ત્યાં સુધી તેને એક જ વર્ગમાં રાખી શકાતા નથી અથવા તેને શાળામાંથી બહાર કાઢી શકાતું નથી. જો કે કેન્દ્ર સરકારે કલમ ૧૬માં સુધારો કરીને પાંચમા અને આઠમા માટે વાર્ષિક પરીક્ષા ફરજિયાત બનાવી છે.
જો વિદ્યાર્થી વાર્ષિક પરીક્ષામાં નાપાસ થાય તો, પરીક્ષાના પરિણામ પછીના બે મહિનામાં વધારાના પૂરક માર્ગદર્શન સાથે પુનઃપરીક્ષા લેવામાં આવશે. જો તેઓ પુનઃપરીક્ષામાં નાપાસ થશે તો સંબંધિત વિદ્યાર્થીઓને માત્ર પાંચમા કે આઠમા ધોરણમાં જ મૂકવામાં આવશે. આ ઉપરાંત ધોરણ પાંચ માટે દરેક વિષયમાં ઓછામાં ઓછા ૧૮ ગુણ (૩૫%), ધોરણ આઠ માટે દરેક વિષયમાં ઓછામાં ઓછા ૨૧ ગુણ (૩૫%) ફરજિયાત રહેશે.