થાણે જિલ્લાના ગામડામાં 78 વર્ષે વીજળી પહોંચી

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: મહારાષ્ટ્રના થાણે જિલ્લાના આદિવાસી પ્રભુત્વ ધરાવતા શાહપુર તાલુકાના એક અંતરિયાળ ગામડામાં પહેલી વાર વીજળી પહોંચી છે, જેનાથી આઝાદી પછીના 78 વર્ષના અંધકારનો અંત આવ્યો છે અને તેના રહેવાસીઓમાં આનંદની ઉજવણી શરૂ થઈ છે.
મહારાષ્ટ્ર રાજ્ય વીજળી વિતરણ કંપની લિમિટેડ (મહાવિતરણ), કલ્યાણ પ્રદેશના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે વારસવાડી ગામડામાં 63 કેવીએનું નવું ટ્રાન્સફોર્મર સ્થાપિત કરવામાં આવ્યું છે અને તે ગુરુવારે (18 સપ્ટેમ્બર)થી કાર્યરત થયું છે, જેનાથી તેના રહેવાસીઓના ઘરોમાં વીજળી અને પહેલી વાર સ્ટ્રીટ લાઇટનો પુરવઠો પૂરો પાડવામાં આવ્યો છે.
આ પણ વાંચો : વલસાડ પેસેન્જર ટ્રેનના એન્જિનમાં આગ: પ્રવાસીઓ રખડી પડ્યાં, જાનહાનિ નહીં
વીજળી આવતાની સાથે જ મુખ્યત્વે આદિવાસી રહેવાસીઓમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. ફક્ત 60 રહેવાસીઓ ધરાવતી નાની વસાહત વારસવાડી તેના મુખ્ય ગામ ફુગલેથી 3.5 કિમી દૂર છે.
‘આજે, અમારા ગામમાં પહેલીવાર વીજળી આવતાં નવો ઉત્સાહ આવ્યો છે. અંધકાર દૂર થયો છે અને હવે અમારા બાળકોના શિક્ષણની સાથે ગામનો વિકાસ પણ ઝડપી બનશે,’ એમ સ્થાનિક રહેવાસી રામા અઘાને જણાવ્યું હતું.
રહેવાસીઓએ એક આદિવાસી સંગઠનનો આભાર માન્યો, જેના પદાધિકારીઓ અને સભ્યોએ 2020માં વસાહતની મુલાકાત લીધી હતી અને વીજળી જોડાણો મેળવવા માટે સતત ઝુંબેશ શરૂ કરી હતી.