સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, મહારાષ્ટ્રમાં 27 ઓબીસી અનામત સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે

નવી દિલ્હી : મહારાષ્ટ્રના મુંબઈ અને થાણે સહિતની તમામ મહાનગરપાલિકાઓ અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. જેમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામત લાગુ કરવામાં આવશે. તેમજ નવી વોર્ડ રચનાના આધારે જ ચૂંટણી યોજવામાં આવશે.
નવી વોર્ડ રચના મુજબ ચૂંટણી યોજવામાં આવશે
સુપ્રીમ કોર્ટમાં નવી વોર્ડ રચના અને ઓબીસી અનામત અંગે અરજી દાખલ કરવામાં આવી હતી. જેમા ચૂંટણી પંચની કાર્યવાહી અટકાવવા અને વર્ષ 2022 મુજબ ચૂંટણી કરવાની માંગ કરી હતી. જયારે સુપ્રીમ કોર્ટે તમામ અરજીઓને રદ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, 6 મે 2024ના આદેશ અનુસાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામત લાગુ રહેશે. તેમજ કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે 11 માર્ચ 2022ની જુની વોર્ડ રચનાના આધારે ચૂંટણી નહી યોજાય. પરંતુ નવી વોર્ડ રચના મુજબ ચૂંટણી યોજવામાં આવશે.
ચુકાદાને લીધે રાજ્ય સરકારને મોટી રાહત મળી
આ અંગે સુપ્રીમ કોર્ટે રાજ્ય ચૂંટણી પંચને ચાર સપ્તાહની અંદર ચૂંટણી અંગે પરિપત્ર જાહેર કરવા અને ચાર મહિના અંદર
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા હતા. આ ચુકાદાને લીધે રાજ્ય સરકારને મોટી રાહત મળી છે. તેમજ ઓબીસી સમાજમાં પણ ઉત્સાહ છે. તેમજ હવે રાજ્યમાં 29 નગર પાલિકા, 290 નગર પરિષદ, 32 જીલ્લા પરિષદ અને 335 પંચાયત સમિતિની ચૂંટણી પ્રક્રિયામાં તેજી આવશે. તેમજ ચૂંટણીની તારીખોની જાહેરાત પણ જલદી કરવામાં આવશે. જેના લીધે મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો જોવા મળશે.
આ પણ વાંચો…સુપ્રીમ કોર્ટે 27 ટકા ઓબીસી ક્વોટા સાથે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજવાનો માર્ગ ખુલ્લો કર્યો: ભુજબળ…