આંતરિક વિવાદોને કારણે શિવસેનાનું વિભાજન થયું, તેના માટે ફડણવીસને દોષ આપવો અયોગ્ય: ભાજપના વિધાનસભ્ય

મુંબઈ: ભાજપના વિધાનપરિષદના સભ્ય પરિણય ફુકેએ બુધવારે કહ્યું હતું કે શિવસેના 2022માં તેના નેતૃત્વ અને આંતરિક વિવાદોને કારણે વિભાજીત થઈ હતી અને દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમાં કોઈ ભૂમિકા ભજવી ન હતી.
રાજ્ય વિધાનસભા સંકુલ, વિધાન ભવનના પરિસરમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે એમ પણ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળના અવિભાજિત શિવસેનામાં નેતૃત્વની શૈલીએ તેના નેતાઓમાં અસંતોષ ફેલાવ્યો હતો.
આ પણ વાંચો: ઉદ્ધવના રાજને તાળી આપવાના પ્રયાસની રાણેએ ટીકા કરી, શિવસેનાના પતન માટે તેમને દોષી ઠેરવ્યા…
‘એકનાથ શિંદેના નેતૃત્વમાં બળવો તેમની અને પક્ષમાં અન્ય નેતાઓ સાથે કરવામાં આવેલા વર્તનનું પરિણામ હતું. તેના માટે દેવેન્દ્ર ફડણવીસને દોષ આપવો અયોગ્ય છે,’ ફુકેએ કહ્યું હતું.
તેઓ શિવસેના (યુબીટી) ના નેતા સંજય રાઉત દ્વારા દિવસની શરૂઆતમાં કરવામાં આવેલી ટિપ્પણીનો જવાબ આપી રહ્યા હતા, જેમણે મહારાષ્ટ્રમાં રાજકીય પુનર્ગઠનમાં ફડણવીસની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા હતા અને પૂછ્યું હતું કે, ‘પક્ષોને તોડવા સિવાય, ફડણવીસે શું સારું કર્યું છે?’
આ પણ વાંચો: ‘ખરી શિવસેના’ના અમિત શાહના નિવેદનની રાઉતે કાઢી ઝાટકણી
તેમના આરોપોનો જવાબ આપતા ફુકેએ કહ્યું હતું કે, ‘સત્ય એ છે કે, સંજય રાઉત જેવા નેતાઓએ પોતાના પક્ષમાં ગૂંગળામણભર્યું વાતાવરણ ઊભું કર્યું. તેમના વર્તનથી શિંદે જેવા વફાદાર નેતાઓને ભંગાણ તરફ ધકેલી દીધા. જે લોકો બીજાઓને ગદ્દાર કહે છે તેઓએ પોતાના વર્તન પર વિચાર કરવો જોઈએ.’
તેમણે ઉમેર્યું હતું કે, શિવસેનામાં ભાગલા પાડવામાં ફડણવીસની કોઈ ભૂમિકા નહોતી. ભાજપ પર આંગળી ચીંધવી એ અનુકૂળ છે, પરંતુ વાસ્તવિક કારણો (અવિભાજિત) શિવસેનાના પોતાના નેતૃત્વ અને આંતરિક વિવાદોમાં છે, એમ તેમણે કહ્યું હતું.