શિવસેનાના પ્રધાન ભરત ગોગાવલેએ ભાજપના સાંસદ નારાયણ રાણે પર ગંભીર આરોપો લગાવ્યા

સિંધુદુર્ગઃ મહારાષ્ટ્ર શિવસેનાના પ્રધાન ભરત ગોગાવલેએ એક વિવાદાસ્પદ દાવો કર્યો છે કે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના સાંસદ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે તેમના વર્તમાન કદ સુધી એટલી સરળતાથી પહોંચ્યા નથી. તેમણે અનેક ફોજદારી કેસોનો સામનો કર્યો, જેલમાં ગયા તથા અનેક ઝઘડા અને “હત્યા” માં સામેલ થયા.
આ ટિપ્પણીનો જવાબ આપતા નારાયણ રાણેના પુત્ર અને રાજ્યના ભાજપ પ્રધાન નિતેશ રાણેએ કહ્યું હતું કે તેમના પિતા સામે કોઈપણ હત્યા સંબંધિત કોઈ પોલીસ રેકોર્ડ નથી અને તેઓ ગોગાવલેને મળશે અને ચોક્કસ તથ્યોની “તેમની સમજણ” વિસ્તૃત કરશે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાં શરૂ થયો રૂમાલ વિવાદ! ભરત ગોગાવલે અને સુનીલ તટકરે આકરા પાણીએ
સિંધુદુર્ગમાં એક કાર્યક્રમમાં એક સભાને સંબોધતા, ગોગાવલેએ કહ્યું હતું કે આજે જિલ્લામાં નિલેશ રાણેના રૂપમાં આપણને શક્તિ મળી છે. અમારા (શિવસેનાના સાવંતવાડીના ધારાસભ્ય) દીપક કેસરકર સાહેબ વિવાદમાં માનતા નથી. જો કોઈ શિવસૈનિક હંગામો ન કરે, તો તે શિવસૈનિક નથી.” તેમણે આગળ ઉમેર્યું હતું કે એક સમયે મહારાષ્ટ્રમાં રાણે અને અન્ય ઘણા નેતાઓ આ સ્તરે પહોંચવા પોતાના પર કેસનો સામનો કર્યો, હંગામા કર્યા, જેલમાં ગયા, ઝઘડા કર્યા, હત્યા કરી… બધું જ થયું.
નારાયણ રાણે હાલમાં રત્નાગિરિ-સિંધુદુર્ગ મતવિસ્તારથી લોકસભા સભ્ય છે. તેમણે રાજ્યના માલવણ અને કુડાળ વિધાનસભા મતવિસ્તારનું પણ પ્રતિનિધિત્વ કર્યું હતું. ૧૯૯૧માં સિંધુદુર્ગ કોંગ્રેસના કાર્યકર્તા શ્રીધર નાઈકની હત્યાના કેસમાં તેમના પર કેસ દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. શ્રીધર નાઈક શિવસેના (તે સમયે અવિભાજિત) ધારાસભ્ય વૈભવ નાઈકના કાકા હતા જેમણે ૨૦૧૪ની રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં નારાયણ રાણે, જે તે સમયે કોંગ્રેસમાં હતા, તેમને હરાવ્યા હતા.
આ પણ વાંચો: શું ભરત ગોગાવલેએ બંગાળી બાબા પાસે અઘોરી પૂજા કરાવી? વીડિયો વાયરલ થતા ખળભળાટ
ગોગાવલેની ટિપ્પણી વિશે પૂછવામાં આવતા, નિતેશ રાણેએ કહ્યું, તેમણે ગોગાવલેનું ભાષણ સાંભળ્યું નથી. પરંતુ નારાયણ રાણે મુખ્યપ્રધાન તરીકે સેવા આપી ચૂક્યા છે, અને તેમની સામે કોઈપણ હત્યા સંબંધિત કોઈ પોલીસ રેકોર્ડ નથી. નિતેશ રાણેએ ઉમેર્યું કે તેઓ ગોગાવલેને મળીને ‘તેમની સમજણનો વિસ્તાર’ કરશે.
તેમણે પત્રકારોને જણાવ્યું કે, નારાયણ રાણે શિવસેના માટે મહેનત કરનારા અને પક્ષના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારાઓમાંથી એક હતા. વધુમાં કહ્યું કે આ વાતચીત (ગોગાવલેની ટિપ્પણી અને તેના પર પ્રતિક્રિયા) રાજકીય ઝઘડામાં ફેરવાઈ શકી હોત, પરંતુ તેમણે હકીકતો સ્પષ્ટ કરવાનું પસંદ કર્યું.
(પીટીઆઈ)