પોતાની જ કાર પર ગોળીબાર કરાવ્યો: પુણેમાં શિવસેનાના યુવા પાંખના નેતાની ધરપકડ

પુણે: પુણેમાં પોતાની જ કાર પર ગોળીબાર કરાવવાના આરોપસર શિવસેનાની યુવા પાંખના નેતા નીલેશ ઘારેની ધરપકડ કરવામાં આવી હતી. આવું કરવા પાછળનું કારણ પોલીસે જાહેર કર્યું નથી, પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે પોતાના જીવને જોખમ હોવાનું બતાવી નીલેશ ઘારે પોલીસ સુરક્ષા અને રિવોલ્વરનું લાઇસન્સ મેળવવા માગતો હતો.
પુણેના વાર્જે વિસ્તારમાં નીલેશ ઘારે 19 મેના રોજ પોતાની કાર પાર્ક કરી બહાર નીકળી રહ્યો હતો ત્યારે બે જણે ગોળીબાર કર્યો હતો, એવું ફરિયાદમાં જણાવાયું હતું.
આપણ વાંચો: અમેરિકાના કનેક્ટિકટ મોલમાં ગોળીબાર: પાંચ ઘાયલ, શંકાસ્પદની શોધખોળ
વાર્જે પોલીસ સ્ટેશનમાં શરૂઆતમાં આ પ્રકરણે અજાણ્યા શખસો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો. 25 મેએ ત્રણ જણને તાબામાં લેવામાં આવ્યા હતા અને તેમની પૂછપરછમાં ઘારેએ પોતે જ કાર પર ગોળીબાર કરાવ્યો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મુખ્ય આરોપી સાથે કાવતરું ઘડવાના આરોપમાં બુધવારે ઘારેની ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રકરણે તપાસ ચાલી રહી છે.
ઘારેની ઓફિસ વાર્જે વિસ્તારમાં જ છે. ઘારેની કાર પર ગોળીબાર કરવામાં આવ્યો હોવાની માહિતી પોલીસને મળી હતી. ગોળીબારમાં સંડોવાયેલા ત્રણ આરોપીની અગાઉ ધરપકડ કરાઇ હતી અને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ઘારેની ઘટનાની જાણ હતી, પણ તેને પોલીસને તેની જાણ કરી નહોતી. ઘારેએ પોતાની કાર પર ગોળીબાર કરાવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.