મહારાષ્ટ્ર

પોલીસ કર્મચારીઓ પણ ક્યારેક ગુનાઓમાં સંડોવાયેલા જોવા મળે છે: મહારાષ્ટ્રના પ્રધાનનું ચોંકાવનારું નિવેદન

છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રના પ્રધાન અને શિવસેનાના નેતા સંજય શિરસાટે ગુરુવારે એવું ચોંકાવનારું નિવેદન કર્યું હતું કે પોલીસ કર્મચારીઓ પણ ક્યારેક ગુનાઓમાં સંડોવાયેલા જોવા મળે છે.

છત્રપતિ સંભાજીનગરમાં પત્રકારો સાથે વાત કરતા પાલક પ્રધાન શિરસાટે એમ પણ કહ્યું હતું કે જો પોલીસને મુક્ત રીતે કામ કરવાની તક આપવામાં આવે તો તેઓ એક જ દિવસમાં સમાજમાં ગુનાહિત પ્રવૃત્તિઓનો અંત લાવી શકે તેમ છે.

આપણ વાંચો: વિપક્ષીનેતાનું પદ મેળવવા સંખ્યાબળ જોઈએ, ઉદ્ધવને ખબર હોવી જોઈએ: સંજય શિરસાટ

પોલીસ વિભાગ રાજ્યના ગૃહ મંત્રાલય હેઠળ આવે છે, જે હાલમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળ છે.
સામાજિક ન્યાય ખાતાનું પ્રધાનપદ સંભાળતા શિરસાટ ઔરંગાબાદ (પશ્ર્ચિમ) વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. શહેરના એક ઉદ્યોગપતિના ઘરેથી લૂંટારુઓની ટોળકીએ 5.5 કિલોગ્રામ સોનું અને 32 કિલોગ્રામ ચાંદી લૂંટી લીધાના પખવાડિયા બાદ તેમનું આ નિવેદન આવ્યું છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું પોલીસ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી છે, ત્યારે શિરસાટે કહ્યું હતું કે, ‘કેટલીકવાર અમને પોલીસ કર્મચારીઓ ગુનાઓમાં સંડોવાયેલા જોવા મળે છે.

ડાકુઓ બીજા રાજ્યોમાંથી આવતા નથી અને પોલીસ પાસે તેમના વિશે ઓછામાં ઓછી કેટલીક માહિતી તો હોય જ છે. જો પોલીસ નક્કી કરે અને તેમને છૂટ આપવામાં આવે, તો તેઓ માત્ર 24 કલાકમાં ગુનાનો અંત લાવી શકે છે.’

આપણ વાંચો: શિવસેના (યુબીટી) અને ભાજપ એક થવાની કોઈ શક્યતા નથી: શિરસાટે કર્યો દાવો

‘જ્યારે આપણે નેતાઓ છૂટો દોર આપીએ ત્યારે આવી ઘટનાઓ ન થવી જોઈએ, પરંતુ જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે આપણે કહી શકીએ છીએ કે તેમની (પોલીસ) સંડોવણી હોઈ શકે છે,’ એમ તેમણે કહ્યું હતું.

શિરસાટે કહ્યું કે પોલીસે અત્યાર સુધીમાં ઉદ્યોગપતિના ઘરમાંથી લૂંટાયેલું 320 ગ્રામ સોનું જપ્ક કર્યું છે. ‘બાકીનું સોનું ક્યાં ગયું?’ એવો સવાલ તેમણે કર્યો હતો.

આ દરમિયાન, વિપક્ષ શિવસેના (યુબીટી)એ શિરસાટના પુત્ર દ્વારા અહીં એક હોટલ ખરીદવામાં સામેલ નાણાંના સ્ત્રોત પર ઉઠાવેલા સવાલના જવાબમાં તેમણે કહ્યું કે 67 કરોડ રૂપિયાની મિલકત 75 ટકા લોનથી ખરીદવામાં આવી રહી છે.

આપણ વાંચો: લાડકી બહેન યોજના માટે વિવિધ વિભાગોના ભંડોળમાં કાપ

આ પહેલાં શિવસેના (યુબીટી)ના નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે દાવો કર્યો હતો કે, ‘એક પ્રધાનના પુત્ર દ્વારા એક મુખ્ય સ્થાન પરની મિલકત 67 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી હતી.’ તેઓ દેખીતી રીતે નામ લીધા વગર પ્રધાન શિરસાટના પુત્ર સિદ્ધાંતનો ઉલ્લેખ કરી રહ્યા હતા.

તેમણે આ સોદામાં સામેલ નાણાંના સ્ત્રોત પર પણ સવાલ ઉઠાવ્યો હતો કે ‘પૈસા ક્યાંથી આવ્યા?…’
બુધવારે મહારાષ્ટ્ર વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેએ ફડણવીસને પત્ર લખીને એવો આરોપ લગાવ્યો હતો કે હોટલની હરાજીમાં ફક્ત ત્રણ કંપનીઓએ ભાગ લીધો હતો અને ત્રણેય કંપનીઓ દ્વારા ટાંકવામાં આવેલી રકમનો તફાવત ખૂબ જ ઓછો હતો. તેમણે પત્રમાં એવો પણ આરોપ લગાવ્યો હતો કે તે કોઈના દબાણને કારણે થઈ રહ્યું છે.

આરોપોનો જવાબ આપતા મંત્રી શિરસાટે કહ્યું, ‘હોટલનો ખર્ચ 67 કરોડ રૂપિયા છે અને 75 ટકા રકમ બેંક પાસેથી લોન દ્વારા ઉભી કરવામાં આવશે. આ લોનની રકમ 50 કરોડથી 55 કરોડ રૂપિયા હતી. સોદાના ભાગ રૂપે પાંચ ભાગીદારોએ 3 કરોડથી 3.5 કરોડ રૂપિયા દરેક ચૂકવવાના રહેશે. તેમણે 10 વર્ષ માટે રકમ ચૂકવવાની રહેશે અને પછી તેઓ નફો કરવાનું શરૂ કરશે.’

ભાગીદારોએ આગામી 15 દિવસમાં તેમનો હિસ્સો ચૂકવવાનો રહેશે. ત્યારબાદ બેંક લોનનું વિતરણ કરશે અને પછી ખરીદદારોને (હોટેલનો) કબજો મળશે, એમ પણ તેમણે કહ્યું હતું.

તેમણે કહ્યું કે આ આરોપો તેમને બદનામ કરવા માટે તેમના પર લગાવવામાં આવી રહ્યા છે.
‘શું અમારા બાળકોએ વ્યવસાય ન કરવો જોઈએ…?’ એમ તેમણે પૂછ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button