દોષીઓ સામે સદોષ મનુષ્યવધનો ગુનો નોંધો: સપકાળ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના વડા હર્ષવર્ધન સપકાળે સોમવારે પુણે જિલ્લામાં એક દિવસ પહેલા પુલ ધરાશાયી થવાના બનાવની ઉચ્ચ સ્તરીય તપાસની માગણી કરી હતી અને પૂછ્યું હતું કે જો તે અસુરક્ષિત હતો તો તેને જાહેર જનતા માટે કેમ ખુલ્લો રાખવામાં આવ્યો હતો.
રવિવારે બપોરે માવળ તાલુકાના કુંડમાલા વિસ્તારમાં ઈન્દ્રાયણી નદી પરનો 32 વર્ષ જૂનો લોખંડનો પુલ તૂટી પડ્યો હતો.
ભાજપ મહાયુતિ સરકાર અકસ્માત પછી જ કેમ જાગે છે? ચોમાસા દરમિયાન સેંકડો પ્રવાસીઓ કુંડમાલાની મુલાકાત લે છે તે જાણીતી બાબત હોવા છતાં ખતરનાક પુલ કેમ ખુલ્લો રાખવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે જવાબદારી નક્કી કરવી જોઈએ અને સંબંધિત અધિકારીઓ સામે સદોષ મનુષ્યવધનો કેસ દાખલ કરવો જોઈએ, એમ સપકાળે કહ્યું હતું.
સપકાળે પ્રશ્ર્ન કર્યો હતો કે સરકાર હવે કહી રહી છે કે એક વર્ષ પહેલા નવા પુલ માટે ભંડોળ મંજૂર કરવામાં આવ્યું હતું, પરંતુ તે સમયગાળામાં તે કેમ બનાવવામાં આવ્યું નહીં.
‘પ્રશાસન કહી રહ્યું છે કે તે પુલ પર બોર્ડ લગાવવામાં આવ્યું હતું, પરંતુ પ્રશાસનના બેદરકાર વલણને કારણે પંચાવન લોકો તણાઈ ગયા. તેમાંથી ઘણાને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ ચારના મોત થયા હતા. મૃતકોના પરિવારને વળતર તરીકે પાંચ લાખ રૂપિયા આપવાનો અર્થ એ નથી કે સરકારની જવાબદારી સમાપ્ત થઈ ગઈ છે,’ એમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
આ પણ વાંચો - ચાર સ્કૂલને બૉમ્બ બ્લાસ્ટની ધમકી આપતા ઈ-મેઈલ મળતાં ખળભળાટ
સપકાળે નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના તમામ ખતરનાક પુલોનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરવાના નિર્દેશને પણ એક મજાક ગણાવ્યો હતો.
‘અકસ્માત થાય છે, લોકો મૃત્યુ પામે છે અને સરકાર તેમના પર થોડા પૈસા ફેંકે છે અને તે ભૂલી જાય છે. આ દુષ્ચક્રનો અંત આવવો જોઈએ,’ એમ તેમણે કહ્યું હતું.