મહારાષ્ટ્રમાં ભારે વરસાદ: રત્નાગિરિ-સિંધુદુર્ગ જળબંબાકાર, જનજીવન અસ્તવ્યસ્ત

મુંબઈ: મૉન્સૂનનો વ્યાપ સંપૂર્ણ કોંકણમાં ફેલાયો છે ત્યારે વિદર્ભ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગમાં પણ ચોમાસાની એન્ટ્રી થઇ ગઇ હોવાનું જણાઇ રહ્યું છે. રવિવારથી પડી રહેલા વરસાદને કારણે કોંકણની મોટાભાગની નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ ગઇ હતી. રત્નાગિરી અને સિંધુદુર્ગમાં 100 મિલિમીટર કરતા વધુ વરસાદ પડ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પુણેમાં અતિવૃષ્ટિની આગાહી
વિદર્ભના અમરાવતી, ગોંદિયા, ભંડારા અને નાગપુરમાં કેટલાક વિસ્તારોમાં મુસળધાર વરસાદ તથા સાતારા અને પુણેના ઘાટ વિસ્તારમાં અતિવૃષ્ટિની આગાહી કરવામાં આવી છે. રત્નાગિરીમાં સોમવારે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: દેશના આ રાજ્યોમાં હવામાન વિભાગે આપ્યું વરસાદનું રેડ એલર્ટ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના…
સિંધુદુર્ગમાં પંદરેક ગામનો સંપર્ક તૂટ્યો
સિંધુદુર્ગમાં કણકવલી આચરા રાજ્ય માર્ગ પર પાણી ભરાઇ જવાને કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો જેને કારણે 15થી વીસ ગામનો સંપર્ક તૂટ્યો હતો. સમુદ્રમાં પણ હાઇટાઇડ દરમિયાન ત્રણથી 3.5 મીટર જેટલા ઊંચા મોંજા ઉછળ્યા હતા જેને કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.
કરાડ-ચિપલુણ હાઇવે પર ભેખડ ધસી પડી
સાતારા જિલ્લાના પશ્ચિમ ઘાટ વિસ્તારમાં કોયના નગરમાં રવિવાર રાતથી જોરદાર વરસાદ પડ્યો હતો. કરાડ ચિપલુણ હાઇ-વે પર બાંધકામ ચાલી રહેલાપુલની બાજુમાં માર્ગ ડુંગર પરથી પસાર થતો હતો જ્યાં ભેખડ ધસી પડી હતી. તેથી કરાડ-ચિપલુણ હાઇવે પર વાહન વ્યવહાર બંધ પડી ગયા હતો.
આ પણ વાંચો: કલેક્ટરે ઈન્દ્રાયણી નદીના પુલને ખતરનાક જાહેર કર્યો હતો, સ્થાનિકોએ ચેતવણીનાં બોર્ડ પણ લગાવ્યા હતા: ફડણવીસ
પાટણ તાલુકાના કોયનાનગર-તોરણે માર્ગ પર પણ ભેખડ ધસી પડી હતી.
હવામાન વિભાગ તરફથી રાયગઢ જિલ્લા માટે આગામી 24 કલાક રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. રાજ્યમાં 16મી જૂને સવાર સુધી રત્નાગિરીમાં 112.7 મિમી, સિંધુદુર્ગ જિલ્લામાં 110.7 મિમી, રાયગઢમાં 72.1 મિમી, પુણે 22.1 મિમી, સાતારામાં 17.1 મિમી, કોલ્હાપુરમાં 51.4 મિમી વરસાદ નોંધાયો હતો.