સમસ્યાઓ ઉકેલવા માટે લોકોને મનસે યાદ આવે છે, મતદાન કરતી વખતે ભૂલી જાય છે: રાજ ઠાકરે

મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ બુધવારે કહ્યું હતું કે, લોકો કોઈપણ સમસ્યાનું સમાધાન ઇચ્છે ત્યારે તેમના પક્ષને યાદ કરે છે, પરંતુ ચૂંટણીના દિવસે તેની અવગણના કરે છે.
નવા વર્ષ નિમિત્તે એક્સ પરની એક પોસ્ટમાં, રાજ ઠાકરેએ પક્ષના કાર્યકરોને ચૂંટણી પરિણામો પાછળ મૂકીને આગળ વધવા અપીલ કરી હતી, એમ કહીને કે તેઓ ટૂંક સમયમાં તેમની સાથે વાત કરશે અને ભવિષ્યની કાર્યવાહી પર વ્યાપક દિશા આપશે.
આ પણ વાંચો: કશું રાજકીય નથી: ઉદ્ધવ અને રાજ ઠાકરેના કૌટુંબિક કાર્યક્રમમાં હાજરી આપવા પર સંજય રાઉતની ટિપ્પણી…
‘… ચોક્કસ કેટલીક બાબતો બદલાઈ નથી… લોકો દરેક સમસ્યાના ઉકેલ માટે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને યાદ કરે છે, પરંતુ મતદાન કરતી વખતે તેને અવગણે છે, એમ તેમણે કહ્યું હતું.
20 નવેમ્બરની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મનસેએ 288 વિધાનસભા બેઠકોમાંથી 125 બેઠકો પર ચૂંટણી લડી હતી, પરંતુ એક પણ બેઠક મળી નહોતી. રાજના પુત્ર અમિત ઠાકરે પણ મુંબઈની માહિમ બેઠક પર હારી ગયા હતા.
ઠાકરેએ એવો પણ દાવો કર્યો હતો કે ચૂંટણી પરિણામોના થોડા અઠવાડિયા પછી, રાજ્યમાં મરાઠી ભાષીઓ સામે ‘જુલમ’ શરૂ થયો હતો. તેમણે ઉમેર્યું હતું કે લોકોને અપેક્ષા હતી કે મનસે આ કેસોમાં કાર્યવાહી કરશે અને તેવું જ થયું હતું. મનસેના વડાએ કહ્યું કે, ‘મરાઠી માણુસ’ (મૂળ મહારાષ્ટ્રીયન) નો ઉપયોગ ફક્ત મત માટે થઈ રહ્યો છે તે સ્પષ્ટ થઈ ગયું છે. (પીટીઆઈ)