પુણેકર અને એરલાયન્સ માટે ફરી નિરાશાઃ પુણે એરપોર્ટના શિડ્યુઅલમાં એકપણ નવી ફ્લાઈટ નથી…

પુણેઃ પુણે હવે મુંબઈની જેમ વિકસી રહ્યું છે અને મુંબઈને કોમ્પિટિશન આપી રહ્યું છે. શહેર અને જિલ્લાનો સતત વિકાસ થતો રહે છે આથી સ્વાભાવિક છે કે વિવિધ સુવિધાની જરૂર પડે. એર કનેક્ટિવિટી પણ એક મહત્વની સુવિધા છે. જોકે તેમ છતાં પુણેથી અન્ય શહેરો અને દેશોમાં જતી ફ્લાઈટ્સનું પ્રમાણ ઓછું છે.
તાજેતરમાં જ જાહેર થયેલા વિંટર શિડ્યુઅલ-2025એ પુણેથી ફ્લાઈટ્સમાં જવા આવવા ઈચ્છતા પ્રવાસીઓ અને સેવા આપતી એરલાઈન્સને નિરાશ કર્યા છે. એકપણ નવું ડોમેસ્ટિક કે ઈન્ટરનેશનલ ડેસ્ટિનેશન ઉમેરાયું નથી.
આ પ્રકારનું છે સમયપત્રક
આ સમયપત્રક મુજબ, એર ઇન્ડિયા એક્સપ્રેસ અને ઇન્ડિગો એરલાઇન્સ પુણેથી બેંગકોક સુધીની ફ્લાઇટ્સ શરૂ કરશે. એર ઇન્ડિયા એક્સપ્રેસ બેંગકોક માટે રેગ્યુલર સેવા આપશે, ત્યારે ઇન્ડિગોની ફ્લાઇટ્સ અઠવાડિયામાં ત્રણ દિવસ, એટલે કે બુધવાર, શુક્રવાર અને રવિવારે રહેશે. સ્પાઇસજેટ અને ઇન્ડિગો બંને એરલાઇન્સ દુબઈ માટે દૈનિક ફ્લાઇટ્સનું સંચાલન કરશે.
ડોમેસ્ટિક ફ્લાઇટ્સની વાત કરીએ તો, મુસાફરો પુણે એરપોર્ટથી દેશના 34 શહેરોમાં સીધા મુસાફરી કરી શકશે. આમાં દિલ્હી, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા, ગોવા, અમદાવાદ, જયપુર, ચંદીગઢ, ઈન્દોર, નાગપુર, વડોદરા, અમૃતસર, ભોપાલ, ભુવનેશ્વર, રાંચી, ગુવાહાટી, કોચી, કોઈમ્બતુર, દહેરાદૂન, રાજકોટ, હુબલી, જલગાંવ, કિશનગઢ, સુરત વગેરેનો સમાવેશ થાય છે.
આ કારણે નથી વધતી ફ્લાઈટ્સ
હાલમાં પુણે એરપોર્ટ પર 220 ફ્લાઈટ્સના સ્લોટને મંજૂરી મળી છે, પરંતુ 208 ફ્લાઈટ્સ જ ઓપરેટ થાય છે કારણ કે શિડ્યુઅલમાં ઘણા અવરોધ આવી રહ્યા છે. એરલાઈન્સ વધારે ડેસ્ટિનેશન એડ કરવા માગે છે, પરંતુ એરપોર્ટની મર્યાદાને લીધે થઈ શકતું નથી. સ્લોટ ન મળતા હોવાથી અને મર્યાદિત એપ્રોન સ્પેસને કારણ પુણેથી વધારાની ફ્લાઈટ્સ ઉડી શકતી નથી.
આ પણ વાંચો…પુણેમાં ટ્રેનિંગ વિમાનના ટાયરમાં સર્જાઈ ખામી, બારામતી એરપોર્ટ નજીક ક્રેશ લેન્ડિંગ



