ટોલ ટેક્સ પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું….

નાગપુરઃ કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ કહ્યું છે કે સરકાર ટૂંક સમયમાં ટોલ ટેક્સ કલેક્શન સિસ્ટમને સંપૂર્ણપણે બદલવા જઈ રહી છે. હવે ટોલ પ્લાઝા પર ટેક્સ ભરવાને બદલે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ કરવામાં આવશે. હાઈવે પર મુસાફરી કરનારાઓને આ નવી સિસ્ટમનો ફાયદો થશે. કારણ કે તેઓ જેટલા કિલોમીટરની મુસાફરી કરશે તે પ્રમાણે તેમને પૈસા ચૂકવવા પડશે.
લોકસભાની ચૂંટણીને લઇને નાગપુર પ્રવાસે ગયેલા નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ લાગુ કરવામાં આવશે, જેમાં પૈસા સીધા તમારા બેંક ખાતામાંથી કપાઇ જશે. તમે જે રસ્તાઓ પર મુસાફરી કરો છો. તે મુજબ ફી વસૂલવામાં આવશે. આનાથી સમય અને પૈસા બંનેની બચત થશે.
તેમણે ભારતમાલા પ્રોજેક્ટ વિશે પણ વાત કરી હતી અને જણાવ્યું હતું કે, ભારતમાલા-1 પ્રોજેક્ટ 34 હજાર કિલોમીટરનો પ્રોજેક્ટ છે અને ભારતમાલા-2 લગભગ 8500 કિલોમીટરનો પ્રોજેક્ટ છે… 2024ના અંત સુધીમાં આ દેશનું ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ જશે. નેશનલ હાઈવેનું રોડ નેટવર્ક અમેરિકા જેવું બનાવવાનો મારો પ્રયાસ છે અને મને ખાતરી છે કે હું સફળ થઇશ.
નીતિન ગડકરીએ અગાઉ પણ કહ્યું હતું કે મોદી સરકાર આગામી પાંચ વર્ષમાં ઈ-બસ ચલાવશે. તમામ ભારતીય શહેરોમાં અને મુંબઈ-પુણે, દિલ્હી-સિમલા, દિલ્હી-ચંદીગઢ જેવા કેટલાક લાંબા રૂટ પર ઇલેક્ટ્રિક બસો શરૂ કરવાની યોજના છે. તેમણે કહ્યું હતું કે બેટરીના ભાવમાં ઘટાડો થવાથી મુસાફરો માટે બસ ભાડામાં 30% ઘટાડો થશે અને પ્રદૂષણ ઘટાડવામાં પણ મદદ મળશે.