બે જૂથોના વિલીનીકરણ અંગે એનસીપી (એસપી)માં કોઈ ચર્ચા નથી: અનિલ દેશમુખ

નાગપુર: એનસીપી (એસપી)ના વરિષ્ઠ નેતા અનિલ દેશમુખે બુધવારે શરદ પવાર અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નેતૃત્વ હેઠળના જૂથો વચ્ચે સંભવિત વિલીનીકરણ અંગેની અટકળોને નકારી કાઢી હતી, ભારપૂર્વક જણાવ્યું હતું કે એનસીપી (એસપી)માં આવી કોઈ ચર્ચા થઈ નથી.
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના નેતૃત્વ હેઠળના એનસીપી અને તેમના કાકા શરદ પવારના નેતૃત્વ હેઠળના એનસીપી (એસપી) વિશેની અટકળો થોડા દિવસો પછી ઝડપથી વધી ગઈ જ્યારે બાદમાં અહેવાલ મુજબ એનસીપી (એસપી)ના કાર્યકારી પ્રમુખ સુપ્રિયા સુળે અને અજિત પવારને પુન:મિલન અંગે નિર્ણય લેવાનું કહ્યું હતું. જુલાઈ 2023માં અવિભાજિત એનસીપી વિભાજીત થયું હતું.
‘સંભવિત વિલીનીકરણ અંગેની અટકળો ફક્ત મીડિયામાં થતી ચર્ચા છે. એનસીપી (એસપી)માં કોઈ બેઠક કે ચર્ચા થઈ નથી,’ એમ દેશમુખે જણાવ્યું હતું.
એક પત્રકાર પરિષદને સંબોધતા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાને નાગપુર જિલ્લામાં સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની કથિત બોગસ ભરતીની તપાસ માટે નિવૃત્ત હાઇકોર્ટના ન્યાયાધીશ હેઠળ તપાસ સમિતિની રચના કરવાની માગણી કરી હતી.
તેમણે આરોપ લગાવ્યો કે હજારો શિક્ષકોએ બોગસ પ્રમાણપત્રો દ્વારા રોજગાર મેળવ્યો હતો. દેશમુખે કહ્યું કે આ કૌભાંડ ફક્ત નાગપુર જિલ્લા પૂરતું મર્યાદિત ન હોઈ શકે, પરંતુ મહારાષ્ટ્રને આવરી લેતા વ્યાપક સ્તરે હોઈ શકે છે.
‘આ કૌભાંડ મધ્યપ્રદેશના કુખ્યાત વ્યાપમ કૌભાંડ કરતાં પણ મોટું છે,’ એવો ગંભીર આરોપ તેમણે લગાવ્યો હતો.