મહિલા કોન્સ્ટેબલની સગીર પુત્રીએ જીવન ટૂંકાવ્યું: આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ સંબંધીની ધરપકડ

છત્રપતિ સંભાજીનગર: ધારાશિવ જિલ્લામાં મહિલા કોન્સ્ટેબલની પંદર વર્ષની પુત્રીને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ તેના સંબંધીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ સગીરાને ત્રાસ આપવા સાથે તેને બદનામ કરવાની ધમકી આપી હતી, જેને કારણે સગીરાએ અંતિમ પગલું ભર્યું હતું, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
31 મેના રોજ આ ઘટના બની હતી અને પોલીસે તપાસ કર્યા બાદ મંગળવારે 20 વર્ષના ઓમકાર કાંબળેની ધરપકડ કરી હતી. આરોપી કાંબળે સામે ધાકધમકી અને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
આપણ વાંચો: નવી મુંબઈમાં નર્સિંગ કૉલેજના વિદ્યાર્થીની આત્મહત્યા: મહિલા પ્રિન્સિપાલ સામે ગુનો
ધારાશિવના તુળજાપુર વિસ્તારમાં પોલીસ ક્વાર્ટર્સમાં સગીરા તેની માતા સાથે રહેતી હતી. સગીરા અવારનવાર તેની માસીના ઘરે જતી હતી અને કાંબળેને ઓળખતી હતી, જે તેના માસાના કુટુંબનો હતો. સગીરાની માસી તેને કૉલ કરીને ઘરે બોલાવતી હતી અને કાંબળે સાથે વાત કરાવતી હતી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
31 મેના રોજ સગીરા માર્કેટથી પોતાના ઘરે પાછી જઇ રહી હતી ત્યારે કાંબળેએ તેને આંતરી હતી. પોતે તુળજાપુરનો ‘ડોન’ હોવાનો દાવો કરનારા કાંબળેએ સગીરાને કહ્યું હતું કે તે તેને પસંદ કરે છે.
આપણ વાંચો: વૈષ્ણવી આત્મહત્યા કેસ: સસરા રાજેન્દ્ર હગવણેની જુડિશિયલ કસ્ટડીમાં રવાનગી
આરોપીએ તેને બાઇક પર પોતાની સાથે આવવાનું કહ્યું હતું. જો તે ન આવે તો તેને બદનામ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી તેણે સગીરાને આપી હતી. સગીરાએ આની જાણ તેની માતાને કરતાં તેણે કાંબળેને ઠપકો આપ્યો હતો.
દરમિયાન 1 જૂને મહિલા કોન્સ્ટેબલ ડ્યૂટી પતાવી ઘરે પાછી ફરી ત્યારે તેની પુત્રી ઘરમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. તુળજાપુર પોલીસે આ પ્રકરણે એડીઆર દાખલ કરીને તપાસ આદરી હતી. તપાસ બાદ પોલીસે કાંબળે અને સગીરાની માસી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને બાદમાં કાંબળેની ધરપકડ કરી હતી. (પીટીઆઇ)