મરાઠા આરક્ષણ આંદોલન બન્યું હિંસક, વિધાન સભ્યના ઘરને આગ લગાવવામાં આવી
![Maratha reservation movement turns violent](https://bombaysamachar.com/wp-content/uploads/2023/10/Mumbai-Samachar-by-Dhiraj-2023-10-30T154409.211.jpg)
મુંબઇઃ મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ આંદોલન હિંસક બની રહ્યું છે. આક્રમક આંદોલનકારીઓને મરાઠઆ આરક્ષણથી ઓછું કંઇ નથી ખપતું. આક્રમક આંદોલનકારીઓએ NCP ધારાસભ્ય પ્રકાશ સોલંકેના ઘર અને ઓફિસને સળગાવી દીધી છે. પ્રદર્શનકારીઓએ ડઝનેક બાઇક અને કારને પણ આગ ચાંપી દીધી હતી. પ્રકાશ સોલંકે અજિત પવાર જૂથના ધારાસભ્ય છે.
આ ઘટના વિશે માહિતી આપતા પ્રકાશ સોલંકેએ જણાવ્યું હતું કે હુમલા સમયે તેઓ તેમના ઘરની અંદર જ હતા. જોકે, હુમલાને કારણે તેમને, તેમના પરિવારજનોને કે કર્મચારીઓને કોઇ ઈજા થઈ નથી. જોકે, જાનમાલને ભારે નુકસાન થયું છે.
તાજેતરમાં જ એનસીપીના વિધાન સભ્ય પ્રકાશ સોલંકેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તેઓ મરાઠા આરક્ષણની માગ કરી રહેલા નેતા મનોજ જરાંગે વિરુદ્ધ બોલી રહ્યા હતા. મનોજ જરાંગે મરાઠઆ મોરચાના સંયોજક છે, તેથી એમ માનવામાં આવે છે કે વીડિયોમાં સોલંકે દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓથી ઉશ્કેરાઇને આંદોલનકારીઓએ તેમના ઘર અને ઑફિસ પર હુમલો કર્યો હતો.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે સરકાર મરાઠા સમુદાયને અનામત આપવા માટે પ્રતિબદ્ધ છે. મનોજ જરાંગેએ એ બાબત પર ધ્યાન આપવું જોઇએ કે તેમનો વિરોધ હિંસક વળાંક લઇ રહ્યો છે. આંદોલન ખોટી દિશામાં જઇ રહ્યું છે.