ટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

પડઘા ભારતનો ભાગ નહીં: સ્લીપર સેલના ઓડિયો એ પોલીસની ઊંઘ હરામ કરી

મુંબઈ: પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતમાં આતંકવાદ વિરોધી અભિયાન વધુ ઝડપી અને સઘન બનાવવામાં આવ્યું છે. વિવિધ એજન્સીઓને સક્રિય કરવામાં આવી છે. મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS Maharashtra) એ સોમવારે મુંબઈ અને થાણે જિલ્લામાં 22 સ્થળોએ દરોડા પાડ્યા હતાં, જેમાં શંકાસ્પદ આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા 20 થી વધુ શખ્સોની વિગતવાર પૂછપરછ કરવામાં આવી હતી. દરોડા દરમિયાન અધિકરીઓને એક ચોંકાવનારી જાણકારી મળી, કેટલાક આરોપીઓએ ઠાણેના બોરીવલી-પડઘા(Borivali-Padgha)ને ભારત દેશથી અલગ એક મુક્ત ક્ષેત્ર જાહેર કર્યું હતું.

દરોડા દરમિયાન 2002-03 માં મુંબઈમાં થયેલા સિરીયલ બ્લાસ્ટ ભૂમિકા માટે દોષિત ઠેરવવામાં આવેલા અને હાલમાં ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા (ISIS) સાથે તેના કથિત સંબંધો માટે જ્યુડીશીયલ કસ્ટડી હેઠળ રહેલા 63 વર્ષીય સાકીબ અબ્દુલ હમીદ નાચનના સાત સંબંધીઓનો અટકાયતમાં લેવામાં આવ્યા હતાં.

કોણ છે નાચન?

સાકિબ નાચન વિરુદ્ધ આતંકવાદને લગતા 10થી વધુ કેસ નોંધાયેલા છે અને તેને બે વાર દોષિત ઠેરવવામાં આવ્યો છે. વર્ષ 1997માં, સુપ્રીમ કોર્ટે તેને ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે મળીને ભારતમાં આતંકવાદી હુમલાઓનું આયોજન કરવા બદલ દોષિત ઠેરવ્યો હતો. વર્ષ 2016માં મુંબઈની એક અદાલતે તેને ફરી એક વાર આર્મ્સ એક્ટ હેઠળ દોષિત ઠેરવ્યો હતો. બંને મામલામાં સજા ભોગવીને તે વર્ષ 2017માં જેલમુક્ત થયો હતો.

9 ડિસેમ્બર, 2023 ના રોજ NIA દ્વારા ATS સાથે સંયુક્ત રીતે હાથ ધરેલા ઓપરેશનમાં મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં 44 સ્થળોએ શોધખોળ બાદ 15 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં નાચન અને હસીબ મુલ્લાનો સમાવેશ થાય થતો હતો.

એક સાથે 22 સ્થળોએ દરોડા:


આ દરોડા અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું, “ATSના મુંબઈ, થાણે અને નવી મુંબઈ યુનિટ્સના લગભગ 100 થી વધુ પોલીસ કર્મચારીઓએ ચાર-પાંચ પોલીસકર્મીઓની ટીમ બનાવીને 22 સ્થળોએ દરોડા પાડ્યા હતા, નાચન દ્વારા કરવામાં આવતી પ્રવૃતિઓમાં લોકો સક્રિય થયા હોવાની ચોક્કસ માહિતીના આધારે દરોડા શરૂ કરવામાં આવ્યા હતા. સંબંધિત જગ્યાઓમાં સર્ચ માટે કોર્ટમાંથી વોરંટ મેળવવામાં આવ્યા હતા.”

સૂત્રોએ જણાવ્યું હતું કે જેમના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા તેમાંથી કેટલાક સાઉદી અરેબિયામાં હજ માટે ગયા છે.

હસીબ મુલ્લાનાઘરે દરોડા:

અધિકારીઓના જણાવ્યા મુજબ રવિવારે મોડી રાત્રે શરૂ થયેલા દરોડા સોમવાર બપોર સુધી ચલાયા હતાં. સાકીબ નાચન ઉપરાંત, તેના નજીકના સંબંધીઓ આકીબ સાકીબ નાચન, અબ્દુલ લતીફ કાસકર, કૈફ નાચન અને શાજીલ નાચનના પરિસરમાં પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ATS એ હસીબ મુલ્લાના નિવાસસ્થાનની પણ તપાસ કરી હતી.

એજન્સીએ લગભગ 24 શખ્સોને અટકાયતમાં લીધા હતાં, જેમાં નાચન અને તેની 7 સંબંધીઓનો પણ સમાવેશ થાય છે. કેટલાકના ઘરોમાંથી તલવારો અને છરીઓ મળી આવી હતી, કેટલાક પર આતંકવાદ સાથે જોડાયેલા હોવાની શંકા છે. નાચનના પરિવારના સભ્યો પર ભડકાઉ ભાષણ આપવાના પણ આરોપ છે.

ગામનું નામ બદલીને ‘અલ શામ’ રાખવામાં આવ્યું:

NIA ને જાણવા મળ્યું હતું કે નાચન અને અન્ય ધરપકડ કરાયેલા આરોપીઓએ બોરીવલી-પડઘા ગામને ‘મુક્ત ક્ષેત્ર’ જાહેર કર્યું હતું અને મુસ્લિમ યુવાનોને આ ગામમાં સ્થળાંતર કરવા માટે પ્રેરિત કરી રહ્યા હતા. એક અહેવાલમાં કરવામાં આવેલા દાવા મુજબ આરોપીઓએ બોરીવલી-પડઘા વિસ્તારનું નામ બદલીને “અલ શામ” (લેવન્ટ અથવા ગ્રેટર સીરિયા માટે વપરાતો અરબી શબ્દ) રાખવામાં આવ્યું હતું.

નવો કયદો લાગુ કરાયો:

NIA ની તપાસમાં જાણવા મળ્યું હતું કે ISIS મહારાષ્ટ્ર મોડ્યુલના તમામ સભ્યો આરોપીઓ પડઘા-બોરીવલીથી કામ કરતા હતાં, જ્યાં તેમણે સમગ્ર ભારતમાં આતંક અને હિંસા ફેલાવવાનું કાવતરું ઘડ્યું હતું.

એજન્સીઓને શંકા છે કે શરિયત-એ-અલ શામના નામે કાયદો બનાવીને આ વિસ્તારમાં લાગુ કરવામાં આવ્યો હતો.

અહેવાલ મુજબ એજન્સીને એવી કેટલાક વાંધાજન વિડીયો મળી આવ્યા છે, જેમાં આરોપીઓ ભાષણ આપી રહ્યા છે એક પડઘા વિસ્તાર ભારતનો ભાગ નથી. આ વીડિયો અને ઓડિયો ક્લિપ્સની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે.

મુખ્ય આરોપી નાચન પ્રતિબંધિત સંગઠનનો સ્વ-ઘોષિત નેતા હતો, તેણે સંગઠનમાં જોડાનારા લોકોને ‘બાયથ’ (ISISના ખલીફા પ્રત્યે વફાદારીની શપથ) અપાવતો હતો.

આપણ વાંચો:  સેંકડો રોકાણકારો સાથે 92 કરોડ રૂપિયાની છેતરપિંડી: ગુજરાતી વેપારીની ધરપકડ…

મુંબઈ કેટલું સુરક્ષિત?

થાણેના પડઘામાંથી મળેલા દસ્તાવેજો અને માહિતીના આધારે એક વાત બહાર આવી છે કે આપણા જ દેશમાં રહીને અમુક અસામાજિક પ્રવૃત્તિઓ કરતા લોકો સ્થાનિક મુસ્લિમ યુવાનોની દિશાભૂલ કરવાની, તેમને ભારત વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરવા તરફ વાળવાની કોશિશ કરવામાં આવી રહી હતી. મુંબઈ મેટ્રોપોલિટનની ની આસપાસ નાયગામ, મીરારોડ, મુંબ્રા વિસ્તારોમાંથી પણ અગાઉ શંકાસ્પદ પ્રવૃત્તિઓ થતી હોવાનું બહાર આવ્યું છે. ત્યારે સવાલ એ છે કે દેશની આર્થિક રાજધાની મુંબઈ કેટલી સુરક્ષિત છે. મુંબઈ અને મેટ્રોપોલિટન રેલવે અને રોડના માર્ગથી જોડાયેલા છે. હવે મેટ્રો નેટવર્ક દ્વારા પણ તેને જોડવાની કોશિશ કરવામાં આવી રહી છે. થાણેથી મુંબઈ કે વિરારથી મુંબઈના વિવિધ પરામાં લાખો લોકો રોજ અવર-જવર કરે છે અને આટલી ભીડભાડવાળા શહેરમાં પોલીસ માટે ચુસ્ત બંદોબસ્ત રાખવો ખૂબ જ મોટો પડકાર છે ત્યારે પડઘાના કિસ્સા બાદ શહેર પર તોળાતા જોખમ સામે આંખ આડા કાન કરી શકાય તેમ નથી. મુંબઈ આંતરરાષ્ટ્રીય શહેર છે અને અહીંની ગીચતાને લીધે સુરક્ષામાં થતી નાની ચૂક પણ મોટા પરિણામો લાવી શકે છે. ગૃહ વિભાગ અને પોલીસ સાથે જનતાએ પણ વધારે સતર્ક રહેવાની જરૂર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button