મહારાષ્ટ્ર: સ્થાનિક ચૂંટણી પહેલાં રાજકીય ગઠબંધનોમાં થશે ઉથલ-પાથલ

મુંબઈ: મહારાષ્ટ્રમાં આગામી સમયમાં મહાનગરપાલિકા, જિલ્લા પરિષદ, પંચાયત સમિતિ અને નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલા મહારાષ્ટ્રમાં રાજકીય સમીકરણો બદલાવાના એંધાણ જોવા મળી રહ્યા છે. શરદ પવારે મુંબઈમાં પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું કે તેઓ ભાજપ સિવાય અન્ય કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન માટે તૈયાર છે. આ નિવેદનથી મહાવિકાસ અઘાડી અને મહાયુતિ ગઠબંધનોના ભવિષ્ય પર સવાલો ઉભા થયા છે. શરદ પવારના આ નિવેદનથી રાજ્યના રાજકારણમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે, જે ચૂંટણી પહેલાં રાજકીય દળોની રણનીતિને પણ પ્રભાવિત કરી શકે છે.
રાજકીય ગઠબંધનોની ગતિવિધિ
શરદ પવારે સ્પષ્ટ કર્યું કે તેઓ ભાજપ સિવાયના કોઈ પણ પક્ષ, જેમાં અજિત પવારનું એનસીપી જૂથ કે એકનાથ શિંદેની શિવસેના સામેલ હોઈ શકે, સાથે ગઠબંધન કરવા ઈચ્છુક છે. મુંબઈમાં સામાન્ય રીતે શિવસેના અને કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળે છે, પરંતુ શિવસેના હવે બે જૂથોમાં વહેંચાયેલી છે. ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ) સાથે જોડાણ કરી શકે છે, જે તેમના જૂથને મજબૂત બનાવશે. જ્યારે ઠાકરે બંધુઓ એક થાય તો મહાવિકાસ અઘાડીમાં ફાટ પડવાની શક્યતાઓ પણ સેવાય રહી છે.
શરદ-અજિતનું ગઠબંધન?
શરદ પવારનું નિવેદન અજિત પવારના એનસીપી જૂથ સાથે ગઠબંધનની સંભાવના દર્શાવે છે, જોકે તેની શક્યતા ઓછી છે. આવું થશે તો મહાયુતિ ગઠબંધનમાં પણ ખળભળાટ મચી શકે છે. શરદ પવારનો બીજો વિકલ્પ નાના પ્રાદેશિક દળો સાથે જોડાણનો છે. મુંબઈમાં એનસીપીની પકડ નબળી હોવાથી, શરદ પવાર એકલા ચૂંટણી લડવાનું ટાળશે. બીજી તરફ, ઇન્ડિયા ગઠબંધન પણ નબળું પડી રહ્યું છે, જેની અસર મહાવિકાસ અઘાડી પર પડી શકે છે.
આપણ વાંચો: ભાજપે 2024ના વિધાનસભા ચૂંટણીના ઢંઢેરામાં ક્યારેય કૃષિ લોનમાફીનું વચન આપ્યું જ નથી: ભાજપના પ્રધાન
મહાયુતિની સ્થિતિ અને ભવિષ્ય
મહાયુતિ ગઠબંધન વિધાનસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન બાદ મજબૂત સ્થિતિમાં છે. ભાજપના નેતૃત્વમાં ચાલતુ આ ગઠબંધન સ્થાનિક ચૂંટણીમાં પણ એકસાથે લડવાની શક્યતા ધરાવે છે. એકનાથ શિંદે અને અજિત પવારને ગઠબંધન છોડવાથી નુકસાન થશે, આથી તેઓ સાથે રહેવાનું પસંદ કરી શકે છે. બીજી તરફ, મહાવિકાસ અઘાડીના દળો અલગ-અલગ ચૂંટણી લડી શકે છે, જેમાં શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે સ્થાનિક દળો સાથે જોડાણ કરી પોતાની સ્થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરશે.