ગોખલે ફ્લાયઓવર બીજો તબક્કો ખુલ્લો મૂકવામાં વિલંબ, નાગરિકો ભોગવી રહ્યા છે હાડમારી

મુંબઇઃ અંધેરીમાં ગોખલે ફ્લાયઓવરને પૂર્ણ કરવાની અંતિમ તારીખ ફરી ચૂકી ગઈ છે. ગોખલે ફ્લાયઓવરના કામ માટે જરૂરી ગર્ડર મુંબઈમાં આવી ગયા છે. જોકે, આ ગર્ડર આવવામાં ઘણો જ વિલંબ થયો છે. ગર્ડરના કામમાં વિલંબના કારણે મુંબઈ મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહીની ચેતવણી આપતાં કોર્પોરેશનના એક્ઝિક્યુટીવ એન્જિનિયરને બદલવાનો નિર્ણય કર્યો છે.
ગોખલે બ્રિજ 1975માં બન્યોહતો. આ બ્રિજનો કેટલોક ભાગ 3 જુલાઈ, 2018ના રોજ તૂટી પડ્યો હતો, જેમાં બે જણના મોત થયા હતા. ત્યાર બાદ આ બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું,જે માટે 7 નવેમ્બર 2022થી બ્રિજને ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે ગોખલે બ્રિજનું ડિમોલિશન પ. રેલવે દ્વારા કરવામાં આવ્યું છે, કારણ કે એ રેલવે માર્ગ પરથઈ પસાર થતો પૂર્વ અને પશ્ચિમને જોડતો ફ્લાય ઓવર બ્રિજ છે. પુલનું પુનર્નિર્માણ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે.
હવે મહાનગર પાલિકાએ આ બ્રિજનો બીજો તબક્કો વાહનવ્યવહાર માટે ચાલુ કરવા માટે માર્ચ ૨૦૨૫થી મે, ૨૦૨૫ સુધીની ટાઇમ લાઇન આપી છે. આપણે આશા રાખીએ કે હવે આ સમયે પાલિકા ડેડલાઇન ના ચૂકી જાય અને ગોખલે પુલને સંપૂર્ણ રીતે વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવે.