મહારાષ્ટ્ર સરકારના જુદી જુદી કંપનીઓ સાથે ૮૦,૯૬૨ કરોડ રૂપિયાના એમઓયુ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારના ઉદ્યોગ વિભાગે નવ કંપનીઓ સાથે ૮૦,૯૬૨ કરોડ રૂપિયાના સામંજસ્ય કરાર કર્યા હતા. આ કરારને કારણે રાજ્યમાં ૪૦,૦૦૦ વધુ રોજગાર નિર્મિત થશે એવો દાવો રાજ્ય સરકારે કર્યો છે.
ગોરેગામમાં એઆઈઆઈએફએ આયોજિત સ્ટીલ મહાકુંભ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર સરકારના ઉદ્યોગ વિભાગે નવ કંપનીઓ સાથે મેમોરેન્ડ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કર્યા હતા. રાજ્યના ગઢચિરોલી, ચંદ્રપુર, નાગપુર, વર્ધા, રાયગઢ, છત્રપતિ સંભાજીનગર, સતારા જેવા જિલ્લામાં આ પ્રોજેક્ટ ઊભા કરવામાં આવવાના છે.
ગઢચિરોલીમાં બે કંપનીના સંયુક્ત પ્રોેજેક્ટને કારણે લગભગ ૫,૫૦૦ રોજગાર ઉપલબ્ધ થવાના છે. આ રાજ્યમાં ૫,૧૩૫ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવવાનું છે. છત્રપતિ સંભાજી નગરમાં ખાનગી કંપની દ્વારા ૫,૪૪૦ કરોડનું રોકાણ કરીને ક્રિટીકલી એડવાન્સ લિથિયમ બેટરી મટિરિયલ અને કાર્બન કૉમ્પ્લેક્સ ઊભો કરવામાં આવવાનો છે, તેને કારણે ૫,૦૦૦ રોજગાર ઉપલબ્ધ થવાની શક્યતા છે. વર્ધામાં ૨૫,૦૦૦ કરોડનું રોકાણ કરીને સ્ટીલ પ્રોજેક્ટ ઊભો કરવામાં આવવાનો છે, તેનાથી ૧૨,૦૦૦ રોજગાર નિર્માણ થશે. રાયગઢમાં ૪૧,૫૮૦ કરોડનો સ્ટેનલેસ સ્ટીલ પ્લાન્ટ ઊભો કરીને ૧૫,૫૦૦ રોજગાર નિર્માણ થશે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર સરકારે 33,000 કરોડના એમઓયુ કર્યાઃ 33,000 લોકોને રોજગાર મળવાનો દાવો
એ સિવાય ચંદ્રપુર, સતારા અને નાગપુરમાં આયર્ન, ઓટોમોટિવ સ્ટીલ પાર્ટસ અને આઈએસપી પ્રોજેક્ટ ઊભા કરાશે. ચંદ્રપુરમાં ૮૫૦ કરોડના સ્પંજ પ્રોજેક્ટમાં રોકાણ કરીને ૧,૫૦૦ રોજગાર નિર્માણ થશે. વાઈમાં ૧૦૦ કરોડ રૂપિયાનું ઓટોમોટિવ સ્ટીલ પાર્ટમાં રોકાણ કરીને ૧,૨૦૦ રોજગાર નિર્માણ કરવામાં આવશે. મૂલમાં સ્પંજ નિર્માણ માટે ૧,૪૮૨ કરોડ રૂપિયાનું રોકાણ કરીને ૫૦૦ રોજગારનું નિર્માણ કરાશે. એ સાથે જ નાગપુરમાં આઈએસપી પ્રોજેક્ટ માટે ૧,૩૭૫ કરોડ રૂપિયાનું રોકાણ કરીને ૬૦૦ લોકોને રોજગાર મળશે.