આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના આ પ્રધાનની કારને અકસ્માત નડ્યોઃ આપ્યું આ નિવેદન…

મુંબઈ: મહારાષ્ટ્રના જમીન-પાણી સંવર્ધન ખાતાના પ્રધાન સંજય રાઠોડની કાર એક પીક-અપ વેન સાથે અથડાઇ હોવાની ઘટના શુક્રવારે બની હતી. જોકે, આ ઘટનામાં રાઠોડને કોઇ ઇજા થઇ નહોતી. આ ઘટનામાં પીક-અપ વેનનો ડ્રાઇવર જખમી થયો હોવાની માહિતી પોલીસ અધિકારી પાસેથી મળી હતી.

પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ આ ઘટના અરની પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવતા કોપરા ગામના દિગ્રસ નજીક બપોરે આશરે બે વાગ્યે બની હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રની મુલાકાતે છે ત્યારે તેમના આગમનની તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ વાશીમ જિલ્લાથી યવતમાળ આવી રહ્યા હતા એ વખતે રાઠોડની કારને અકસ્માત નડ્યો હતો. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે યવતમાળ જિલ્લાની મુલાકાતે આવવાના છે. રાઠોડ યવતમાળ જિલ્લાનાં પાલક પ્રધાન પણ છે. તેમણે જ ઇજાગ્રસ્ત થયેલા ડ્રાઇવરને હૉસ્પિટલ પહોંચાડ્યા હોવાની માહિતી પણ અધિકારીએ આપી હતી.

આ ઘટના બાદ એક પત્રકાર પરિષદમાં પણ રાઠોડે પોતાને થયેલા અકસ્માતની માહિતી આપી હતી. જોકે, તેમના કાફલાને નડેલા અકસ્માતની ઘટનામાં તે જે કારમાં બેઠા હતા તે કારને કોઇ નુકસાન ન થયું હોવાનું તેમણે આ દરમિયાન જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button