ટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં હિન્દી ફરજિયાત કરવા સામે ફડણવીસ સરકારનો ‘યુ-ટર્ન’, GR રદ કરાયો

રાજ્યમાં જોરદાર વિરોધ અને ઠાકરે બંધુઓના એક થવાને કારણે સરકારે હિન્દી ભાષાના ફરજિયાત જીઆર રદ કરવાની ફરજ પડી

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: શાળાઓમાં પહેલાથી પાંચમા ધોરણમાં હિન્દીને ત્રીજી ભાષા તરીકે ફરજિયાત કરવાના મુદ્દે ફાટી નીકળેલા વિરોધને પગલે આખરે ફડણવીસ સરકારને નમતું જોખવું પડયું છે. રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પ્રાથમિક શાળામાં ત્રિભાષા પદ્ધતિ લાગુ કરવાના મુદ્દે બહાર પાડેલા બંને ગવર્નમેન્ટ ઓર્ડર (જીઆર)ને આજે રદ કરવાની ફરજ પડી હતી.

રાજ્યમાં ત્રિભાષી સૂત્ર લાગુ કરવું કે નહીં તે માટે ડૉ. નરેન્દ્ર જાધવની અધ્યક્ષતામાં એક સમિતિ નીમવામાં આવવાની છે અને તેનો અહેવાલ આવ્યા બાદ આ બાબતે નિર્ણય લેવામાં આવશે એવી જાહેરાત આજે મુંબઈમાં એક પત્રકાર પરિષદમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરી હતી.

ઠાકરેબંધુએ એક થઈને સરકારના આ નિર્ણય સામે વિરોધ

પ્રાથમિક શાળામાં ત્રીજી ભાષા તરીકે હિન્દી ફરજિયાત કરવાના રાજ્ય સરકારના નિર્ણય સામે સામાન્ય નાગરિકોની સાથે જ રાજ્કીય સ્તરે પણ તેનો જબરદસ્ત વિરોધ જાગ્યો હતો. ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બંને પિતરાઈભાઈઓ આ મુદ્દે એક થઈને રાજ્ય સરકારના આ નિર્ણય સામે વિરોધ પણ દર્શાવ્યો હતો.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં હિન્દીનો નહીં, કડકાઈનો વિરોધ છેઃ ઉદ્ધવ ઠાકરે…

ઉતાવળે મુખ્ય પ્રધાન હિન્દી ભાષાના જીઆરની કરી જાહેરાત

ચોતરફથી વિરોધ થવાની સાથે ઓછામાં પાછું સોમવારથી રાજ્યનું ચોમાસું અધિવેશન શરૂ થવાનું હોવાથી વિરોધપક્ષોને એક મુદ્દો મળી જશે અને અધિવેશન ગજાવી મૂકશે એવો ડર પણ હોવાને કારણે રાજ્ય સરકારને ઝુકવું પડ્યું હોવાનું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે અને તેથી જ રવિવારે ઉતાવળે મુખ્ય પ્રધાને હિન્દી ભાષાને લગતા જીઆર રદ કરવાની જાહેરાત કરવી પડી હોવાનું માનવામાં આવે છે.

વિરોધપક્ષે અમારી સાથે ચર્ચા કરે જવાબ અમે સક્ષમ છીએ

આજે પત્રકાર પરિષદમાં મુખ્ય પ્રધાન ફડણવીસે કહ્યું હતું કે અમે ભાગી છૂટનારા નથી. વિરોધપક્ષે અમારી સાથે ચર્ચા કરવી અમે તેમને જવાબ આપવા સક્ષમ છીએ. અમારી માટે મરાઠી ભાષા મહત્ત્વની છે. વિદ્યાર્થી કેન્દ્રીત અમારી નીતિ હશે. અમે આ મુદ્દા પર કોઈ રાજકારણ કરવા માગતા નથી. ડૉ. નરેન્દ્ર જાધવ સમિતિ દ્વારા આ અગાઉની સમિતિ માશેલકર અહેવાલનો અભ્યાસ કરવામાં આવશે. એ સાથે જ સહુ કોઈનો મત પણ સમિતિ જાણશે અને ત્યારબાદ જ રાજ્ય સરકાર તેમનો નિર્ણય સ્વીકારશે એવું પણ ફડણવીસે કહ્યું હતું.

આ પણ વાંચો: હિન્દી વિષય પર વિપક્ષ રાજકારણ કરે છે: ભાજપનો દાવો…

છોકરાઓને ઍકેડમિક બૅક ઑફ ક્રેડિટ અનુસાર માર્ક મળશે નહીં

મરાઠી ભાષાની અને મરાઠીઓની તરફેણ કરતા મુખ્ય પ્રધાન ફડણવીસે કહ્યું હતું કે રાજ્યમાં ત્રિભાષા સૂત્ર લાગુ નહીં કર્યું તો આપણા છોકરાઓને ઍકેડમિક બૅક ઑફ ક્રેડિટ અનુસાર માર્ક મળશે નહીં અને તેમાં છોકરાઓ પાછળ પડી જશે. તેની સામે અન્ય ભાષાના વિદ્યાર્થીઓને માર્ક મળશે. એટલે કે ગુજરાતી, અંગ્રેજી પહેલી ભાષા હશે તેમને વધુ ફાયદો થશે.

હાલ બંને સરકારી જીઆર રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

ફડણવીસે વધુમાં કહ્યું હતું કે સ્કૂલમાં કયા ધોરણથી હિન્દીને લાગુ કરવી? કે પછી પસંદગી માટેનો વિકલ્પ આપવો? તે બાબતે મંત્રીમંડળમાં ચર્ચા કરવામાં આવી હતી અને ત્યારબાદ ડૉ. નરેન્દ્ર જાધવ સમિતિના નેતૃત્વમાં એક સમિતિની સ્થાપના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેમાં અન્ય સભ્યો પણ હશે. આ સમિતિના આધારે ત્રિભાષા સૂત્ર લાગુ કરવામાં આવશે. તેથી હાલ બંને સરકારી જીઆર રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો: શાળાઓમાં હિન્દી ભાજપ-આરએસએસનો એજન્ડા: સપકાળ…

ઉદ્ધવ ઠાકરે સીએમ હતા ત્યારે માશેલકર સમિતિનો અહેવાલ સ્વીકાર્યો હતો

આ દરમ્યાન શિવસેના (યુબીટી) નેતા ઉદ્ધવ ઠાકરેના હિન્દી ભાષાને ફરજિયાત લાગુ કરવાને મુદ્દે વિરોધ કરવા બાબતે ફડણવીસે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે જયારે રાજ્યના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે માશેલકર સમિતિના અહેવાલનો સ્વીકાર કર્યો હતો. તે અહેવાલને મંત્રીમંડળે સ્વીકાર્યો હતો અને હવે તેઓ આ મુદ્દે રાજકારણ કરી રહ્યા છે.

2020માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અપનાવી હોવાના દાવાને કોંગ્રેસ ફગાવ્યો

મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણય પછી કોંગ્રેસનાં સાંસદ વર્ષા ગાયકવાડે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર મોટો આરોપ મૂક્યો હતો. વર્ષા ગાયકવાડે કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર હંમેશાં મરાઠી વિરોધી એજન્ડા વિરુદ્ધના જનતાના વિરોધને દબાવવા અને હિન્દી લાગુ કરવા માટે જુઠ્ઠું અભિયાન ચલાવે છે. 2020માં મહાવિકાસ આઘાડી (એમવીએ)ની સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને અપનાવી હોવાના દાવાને પણ ફગાવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button