સ્વચ્છતા કામદારોના મૃત્યુ કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા ઓડિટમાં મહારાષ્ટ્રના સત્તાવાળાઓની ટીકા

મુંબઈ: મુંબઈ, પુણે, પરભણી, સાતારા અને શિરુરમાં કેન્દ્ર સરકાર દ્વારા કમિશન કરાયેલ સામાજિક ઓડિટમાં મહારાષ્ટ્રમાં સ્વચ્છતા કામદારોના રક્ષણમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની ‘ગંભીર નિષ્ફળતાઓ’નો પર્દાફાશ થયો છે, જેમાંથી 18 લોકો 2021 અને 2024ની વચ્ચે મૃત્યુ પામ્યા હતા.
કેન્દ્રીય ગ્રામ્ય વિકાસ મંત્રાલયના નિર્દેશો પર સ્થાપિત એકમ, મહારાષ્ટ્ર સ્ટેટ સોસાયટી ફોર સોશિયલ ઓડિટ એન્ડ ટ્રાન્સપરન્સી’ દ્વારા રજૂ કરાયેલ ‘સેનેટરી કામદારોના મૃત્યુ પરના સામાજિક ઓડિટ રિપોર્ટ 2021-24’માં, નાગરી સ્થાનિક સંસ્થાઓ (યુએલબી)ની ઔપચારિક રીતે કામદારોની નોંધણી કરવામાં નિષ્ફળ રહેવા બદલ પણ ટીકા કરવામાં આવી હતી, જેના કારણે તેઓ કાનૂની રક્ષણ અથવા કલ્યાણ યોજનાઓની પહોંચથી વંચિત રહ્યા હતા.
આપણ વાંચો: બીજી ઓકટોબરે સ્વચ્છતા દિન માટે જિલ્લા-તાલુકાઓને સરકાર આપશે લાખેણાં ઈનામ. છો ને તૈયાર ?
ઓડિટમાં જણાવાયું છે કે સર્વે કરાયેલા પાંચેય સ્થળોએ સલામતી પ્રોટોકોલ, રક્ષણાત્મક સાધનો અને કટોકટીમાં પ્રતિસાદ આપવા માટેની પદ્ધતિઓનો મોટાભાગે અભાવ જોવા મળ્યો હતો, જોકે મેન્યુઅલ સ્કેવેન્જર્સ અને તેમના પુનર્વસન (પીઈએમએસઆર) અધિનિયમ 2013 હેઠળ નાગરી સ્થાનિક સંસ્થાઓની આ સ્પષ્ટ કાનૂની જવાબદારી હતી.
‘પરભણી, મુંબઈ અને અન્ય જિલ્લાઓમાં, કામદારોને મૂળભૂત સલામતી સાધનો વિના ગટર અને સેપ્ટિક ટાંકી સાફ કરવાની ફરજ પાડવામાં આવી હતી. કાર્યસ્થળો પર કોઈ પ્રાથમિક સારવાર કીટ અથવા કટોકટીમાં બચાવ માટેનાં સાધનો મળ્યા નથી. ઝેરી વાયુઓ શ્ર્વાસમાં લેવાથી ઘણા મૃત્યુ થયા હતા. આ પીઈએમએસઆર કાયદાની કલમ-7નું ઉલ્લંઘન છે, જે જોખમી મેન્યુઅલ સફાઈને પ્રતિબંધિત કરે છે,’ એમ તેમાં જણાવાયું છે.
ઓડિટમાં સેનિટરી કામદારો માટે ફરજિયાત તાલીમનો સંપૂર્ણ અભાવ, કાર્ય પહેલાં સલામતી તાલીમ અથવા જોખમ મૂલ્યાંકનનો અભાવ દર્શાવવામાં આવ્યો હતો.
લોણી કાલભોર અને મુંબઈમાં, કામદારો મૃત્યુ પામ્યા કારણ કે તેઓ કામમાં સામેલ જોખમોથી અજાણ હતા, એમ ઓડિટ રિપોર્ટમાં જણાવાયું છે, જેમાં સેનિટરી કામદારોને ઓફર કરાયેલા વળતર પેકેજની પણ ચર્ચા કરવામાં આવી હતી, જેમણે કાં તો પોતાનો જીવ ગુમાવ્યો હતો અથવા પંગુતા સહિત કાયમી ઇજાઓ સહન કરી હતી.
‘ઘણા કિસ્સાઓમાં મૃતક કામદારોના પરિવારોને વળતર આપવામાં વિલંબ થયો હતો અથવા દુરુપયોગ થયો હતો. એક જીવિત કામદારને કાયમી આંખનું નુકસાન થયું હતું અને તેનું દસ્તાવેજીકૃત કરવામાં ન આવ્યું હતું, જેને કારણે તેને સહાય મળી શકી નહોતી. મુંબઈમાં, વળતરની રકમ અંગે પરિવારોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાનું કહેવાય છે,’ એમ અહેવાલમાં ભારપૂર્વક જણાવાયું છે.
આપણ વાંચો: અન્યોને ગુલામીમાં ધકેલીને સ્વચ્છતા હાંસલ કરી શકાતી નથી: હાઇકોર્ટ
કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયને સુપરત કરાયેલા આ અહેવાલમાં મહારાષ્ટ્રમાં ચાર વર્ષમાં 18 સફાઈ કામદારોના દુ:ખદ મૃત્યુ પર પ્રકાશ પાડે છે અને વ્યવસ્થિત નિષ્ફળતાઓ પર ભાર મૂકે છે જે તેમના જીવનને જોખમમાં મૂકે છે.
સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે મહારાષ્ટ્રમાં સફાઈ કામદારોના સામાજિક ઓડિટનું આ કાર્ય હાથ ધરવા નિર્દેશ આપ્યો હતો.
મંત્રાલય અને સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર, આ સામાજિક ઓડિટમાં આ મૃત્યુની આસપાસના સંજોગો, સલામતી પ્રોટોકોલ અને નોકરીદાતાઓ અને શહેરી સ્થાનિક સંસ્થાઓની જવાબદારીના સ્તરની ચકાસણી કરવામાં આવી હતી.
આ તારણો રક્ષણાત્મક પગલાં, કાનૂની પાલન અને પુનર્વસન પ્રયાસોમાં સ્પષ્ટ ખામીઓ દર્શાવે છે, જે સુધારાની તાત્કાલિક જરૂરિયાતને પ્રકાશિત કરે છે.
આ અહેવાલમાં કોન્ટ્રાક્ટરો દ્વારા બેદરકારી અને સ્થાનિક અધિકારીઓ દ્વારા નબળી દેખરેખ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
‘મુંબઈ અને રાંજણગાંવ (પુણે જિલ્લો)માં સ્વચ્છતા કાર્ય ખાનગી કોન્ટ્રાક્ટરોને આઉટસોર્સ કરવામાં આવ્યું હતું, જેઓ સલામતીના પગલાં પૂરા પાડવામાં નિષ્ફળ ગયા હતા. મ્યુનિસિપલ અધિકારીઓએ ઘણા કિસ્સાઓમાં કરારની શરતો લાગુ કરી ન હતી અથવા કાનૂની કાર્યવાહી સુનિશ્ર્ચિત કરી ન હતી,’ એમ અહેવાલમાં જણાવાયું છે.
ઓડિટમાં વધુમાં નિર્દેશ કરવામાં આવ્યો છે કે, પરભણી, મુંબઈ અને પુણેમાં સ્વચ્છતા કામદારોને સ્થાનિક સંસ્થાઓ હેઠળ કરાર અથવા નોંધણી વિના અનૌપચારિક રીતે રોજગાર આપવામાં આવ્યો હતો.
આનાથી તેમને કાનૂની અધિકારો, લાભો અથવા અકસ્માતોના કિસ્સામાં સહાય મળી શકી નહોતી, એમ તેમાં ઉમેર્યું હતું.
અહેવાલમાં તાત્કાલિક સુધારાઓ માટે હાકલ કરવામાં આવી હતી, જેમાં યાંત્રિક ગટર સફાઈ, સલામતી કાયદાઓનો કડક અમલ, નિયમિત તબીબી તપાસ તેમજ સામાજિક સુરક્ષા લાભોનો સમાવેશ થાય છે.
આપણ વાંચો: સ્વચ્છતાની મોટી વાતો કરતા તમામે આ નાનકડાં ગામ પાસેથી શિખવું રહ્યું
તેઓ ભલામણ કરે છે કે સ્વચ્છતા કાર્યને ઔપચારિક રોજગાર તરીકે માન્યતા આપવામાં આવે અને કામદારોને સરકારી કલ્યાણ યોજનાઓ સાથે જોડવામાં આવે છે.
વિશ્ર્વ આરોગ્ય સંગઠનને ટાંકીને, અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ‘સ્વચ્છતા કામદારો અદ્રશ્ય, અપ્રમાણિત, ઉપેક્ષિત અને બહિષ્કૃત રહ્યા હતા, એવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો જેનાથી તેમને નબળા પાડતા ચેપ, ઇજાઓ, માનસિક તિરસ્કાર અને મૃત્યુનો પણ સામનો કરવો પડ્યો હતો.’
સામાજિક ઓડિટ રિપોર્ટમાં તારણ કાઢવામાં આવ્યું છે કે 18 મૃત્યુ એકલ-દોકલ ઘટનાઓ નહોતી પરંતુ પ્રણાલીગત નિષ્ફળતા દર્શાવે છે. ‘આમાંના ઘણા મૃત્યુ યોગ્ય સલામતી પગલાં, તાલીમ અને યાંત્રિક સફાઈ પ્રણાલીઓ દ્વારા અટકાવી શકાયા હોત,’ એમ પણ તેમાં જણાવાયું છે.
ઓડિટમાં રાજ્યને વળતરથી આગળ વધીને પરિવારો માટે રોજગાર, વ્યસન મુક્તિ માટે સમર્થન અને કામદારોના અધિકારો વિશે જાગૃતિ ઝુંબેશ સહિત સંપૂર્ણ પુનર્વસન પૂરું પાડવા વિનંતી કરવામાં આવી હતી.
તેમાં કહેવામાં આવ્યું છે કે આ મુદ્દો ફક્ત નીતિગત નિષ્ફળતા તરીકે જ નથી, પરંતુ માનવ અધિકારોની ઊંડી ચિંતા છે જેના માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.