જયંત પાટીલની પ્રધાન ઉદય સામંત સાથે એક અઠવાડિયામાં બીજી મુલાકાત
દોઢ કલાક સુધી ચાલેલી વાતચીતમાં શું ચર્ચા થઈ તેની સ્પષ્ટતા નહીં, રાજકીય ઉથલપાથલ થવાના એંધાણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-એસપી)ના પ્રદેશ પ્રમુખ જયંત પાટીલ શિવસેનાના નેતા અને રાજ્યના ઉદ્યોગ પ્રધાન ઉદય સામંતને મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે જયંત પાટીલ અને ઉદય સામંત વચ્ચે લગભગ દોઢ કલાક સુધી ચર્ચા થઈ હતી. બંને નેતાઓ મુંબઈના નરીમાન પોઈન્ટ સ્થિત એક્સપ્રેસ ટાવરમાં મળ્યા હતા. દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે બે દિવસ પહેલાં પણ બંને વચ્ચે મુલાકાત થઈ હતી.
એવું માનવામાં આવી રહ્યું છે કે શિવસેનાના મુખ્ય નેતા અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના ઈશારે આ મુલાકાત થઈ હતી. આ બેઠકમાં કઈ રાજકીય ચર્ચા થઈ તેની માહિતી હજુ ખાનગી રાખવામાં આવી છે. દરમિયાન, વિવિધ મુદ્દાઓ પર હાલના ગરમ રાજકીય વાતાવરણમાં આ બંને નેતાઓની મુલાકાતને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બેઠકમાં ખરેખર શું ચર્ચા થઈ તેની વિગતો હજુ સુધી પ્રકાશમાં આવી નથી.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર સ્પેશિયલ પબ્લિક સિક્યુરિટી બિલ પર પેનલને વિક્રમી 12,000 સૂચનો મળ્યા: જયંત પાટીલ…
જયંત પાટીલ બાવનકુળેને પણ મળ્યા હતા
એવી પણ માહિતી મળી છે કે ગયા મહિને જયંત પાટીલ મુંબઈમાં ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળેને મળ્યા હતા. છેલ્લા એક મહિનામાં આ બે મહત્ત્વપૂર્ણ નેતાઓ વચ્ચેની આ બીજી મુલાકાત હતી. તેઓ મોડી રાત્રે મુંબઈમાં મળ્યા હતા. આ કારણે રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ હતી.
એક તરફ, બંને એનસીપીના વિલીનીકરણની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે બીજી તરફ મહાયુતિમાં સામેલ એક મહત્વપૂર્ણ પક્ષના વડા અને એનસીપીના શરદ પવાર જૂથના પ્રદેશ વડાની મુલાકાતે ચર્ચાઓને વેગ આપ્યો છે.
જયંત પાટીલે પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરવા અપીલ કરી હતી
જયંત પાટીલે એનસીપી (એસપી)ના પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત થવાની માગણી કરી હતી. તેમણે પાર્ટીની વર્ષગાંઠના કાર્યક્રમમાં વરિષ્ઠ નેતા શરદ પવાર સમક્ષ જાહેરમાં આ માગણી કરી હતી. આ માગણી પર પ્રતિક્રિયા આપતા શરદ પવારે કહ્યું હતું કે, ‘હું મારા મુખ્ય સાથીદારો સાથે આ માગણી પર ચર્ચા કરીશ.’
સૌથી મોટો મુદ્દો એ છે કે બંને એનસીપીનું વિલીનીકરણ થાય તો જયંત પાટીલને માટે પાર્ટીમાં કોઈ મહત્ત્વનું સ્થાન રહેશે નહીં, આવી સ્થિતિમાં તેઓ પોતાની આગામી દિશા માટે યોજના ઘડી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.