‘શું જયંત પાટિલ તમારી પાર્ટીમાં જોડાશે?’, અજિત પવારનો રમૂજી જવાબ

પુણે: રાજકીય વર્તુળોમાં શનિવારે એવી ચર્ચા હતી કે એનસીપી(એસપી)ના પ્રદેશ પ્રમુખ જયંત પાટીલે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. જોકે જીતેન્દ્ર આવ્હાડે આ અહેવાલોને રદિયો આપ્યો હતો. પરંતુ ઘણા નેતાઓએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. એવું પણ કહેવાય છે કે શશિકાંત શિંદેનું નામ ક્ધફર્મ થઈ ગયું છે.
શશિકાંત શિંદેએ પોતે ચેનલોને જવાબ આપતા કહ્યું હતું કે તેઓ આ પદની રેસમાં છે. ત્યારબાદ, હવે નાયબ મુખ્ય પ્રધાન અને એક સમયે જયંત પાટીલના સાથી રહેલા અજિત પવારે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.
આપણ વાંચો: પાલિકાના ઠરાવ દ્વારા દારૂના લાઇસન્સ રદ કરવાની કોઈ જોગવાઈ નથી: અજિત પવારે વિધાનસભાને જણાવ્યું…
અજિત પવાર રવિવારે પુણે જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યો અને સમસ્યાઓની સમીક્ષા કરવા આવ્યા હતા. આ સમયે તેમને જયંત પાટીલના રાજીનામા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, તેમના પક્ષમાં તેમણે શું કરવું જોઈએ, એ તેમનો અંગત વિષય છે.
શું જયંત પાટીલ તમારી સાથે આવશે? એવો સવાલ કરવામાં આવતાં અજિત પવારે કહ્યું હતું કે, જયંત પાટિલ એક વરિષ્ઠ નેતા છે. અમે ઘણા વર્ષો સાથે કામ કર્યું છે. જયંત પાટિલ, દિલીપ વળસે-પાટિલ, આર. આર. પાટીલ, અમે બધા 90ના દાયકાના બેચના છીએ.
અમે હવે વિધાનસભ્ય તરીકે અમારા આઠમા કાર્યકાળમાં છીએ. અમે ઘણા વર્ષો સાથે કામ કર્યું હોવાથી અમારો સંબંધ છે, પરંતુ એ વાત જાણીતી છે કે તેમની અને મારી રાજકીય ભૂમિકાઓ અલગ છે.
આપણ વાંચો: અજિત પવારે રજૂ કરી 57,509 કરોડ રૂપિયાની પૂરક માગણીઓ
અજીત પવારે વધુમાં કહ્યું હતું કે, અમને તેમના રાજીનામાનું કારણ ખબર નથી અને અમને પૂછવાનો અધિકાર પણ નથી. જો અમે આવતા અઠવાડિયે સત્રમાં તેમને મળીશ, તો હું તેમને પૂછીશ. તેઓ છથી સાત વર્ષથી પ્રદેશ પ્રમુખ છે. તેથી, તેઓ અન્ય લોકોને તક આપીને રાષ્ટ્રીય સ્તરે જવાની ઈચ્છા ધરાવતા હોય એવું શક્ય છે.
શનિવારે દેવેન્દ્ર ફડણવીસને પણ જયંત પાટિલના રાજીનામા અંગે એક સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે, આ તેમની પાર્ટીનો આંતરિક મુદ્દો છે. રાજીનામું આપનારાઓને શુભેચ્છાઓ અને નવા પ્રદેશ પ્રમુખ બનનારાઓને શુભેચ્છાઓ. સારા કાર્ય માટે બધાને શુભેચ્છાઓ.
દરમિયાન, જયંત પાટીલના રાજીનામાના સમાચાર ફેલાતાં જ, એનસીપી (અજિત પવાર)ના વિધાનસભ્ય સંગ્રામ જગતાપે એક ચોંકાવનારું નિવેદન આપતાં કહ્યું હતું કે, જયંત પાટીલ ઘણા વર્ષોથી પાર્ટીમાં અસ્વસ્થ હોવાનું કહેવાય છે. આજે તેમના રાજીનામાની ચર્ચા થઈ રહી છે. જો તેઓ અજિત પવારના નેતૃત્વમાં અમારી પાર્ટીમાં જોડાશે, તો અમારા જેવા કાર્યકરો તેમનું સ્વાગત કરશે.