મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં વાઘનો આતંક: 3 દિવસમાં 5 મહિલાના ભયાનક મોત

ચંદ્રપુરઃ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના જંગલોમાં વાઘની ગર્જનાએ ઘણા ગામડાના રહેવાસીઓમાં ગભરાટ ફેલાવી દીધો છે. વાઘના હુમલામાં માત્ર ત્રણ દિવસમાં પાંચ મહિલાઓના મોત થયા છે.

આ બધી મહિલાઓ ગામની નજીકના જંગલમાં તેંદુ (બીડી બનાવવામાં કામ આવનારા પત્તા)ના પાન લેવા ગઈ હતી. તેંદુના પાન તોડવાનું મોસમી કામ હવે ગ્રામજનો માટે મોતનું કારણ બની ગયું છે, જેમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 17 લોકોનાં મોત થયા છે.

દસમી મેના બનેલી આ ઘટનામાં 65 વર્ષીય કાંતા બુધાજી ચૌધરી, 28 વર્ષીય શુભાંગી મનોજ ચૌધરી (સાસુ-વહુ) અને 50 વર્ષીય રેખા શાલિક શેંડે મૃત્યુ પામી હતી. આ બધી મહિલાઓ મેંઢા-માલ ગામની રહેવાસી હતી.

આપણ વાંચો: મુંબઈ-થાણે બાદ છત્રપતિ સંભાજીનગરમાં વાઘની ગર્જના

આ પછી, 11 મેના રોજ બનેલી ઘટનામાં, મૂલ તાલુકાના મહાદવાડી ગામના રહેવાસી 65 વર્ષીય વિમલા બુઢા ડોંડેનું દુઃખદ અવસાન થયું હતું. 12 મેના મૂલ તાલુકાના ભાદુરાણા ગામના રહેવાસી ૨૮ વર્ષીય ભૂમિકા દીપક ભેંડારેનું મોત થયું હતું.

મેંઢા-માલ ગામના ચૌધરી પરિવાર પર તો દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે, મનોજ ચૌધરીની પત્ની અને માતાનું વાઘના હુમલામાં મૃત્યુ થયું છે. ઘરમાં ફક્ત બે સ્ત્રીઓ હતી.

બંને સ્ત્રીઓના મૃત્યુ પછી, ઘરમાં બે નાના બાળકો – 10 વર્ષનો શોહમ અને 8 વર્ષનો આરાધ્યા અને પિતા મનોજ ચૌધરી બચ્યા છે. મનોજના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે. આ આખો પરિવાર શોકમાં ડૂબેલો છે અને મનોજને હવે તેના બંને બાળકોના ઉછેરની ચિંતા છે. મનોજ પોતે મજૂરી કરે છે અને તેની પત્ની અને માતાના મોતથી ખુબ દુઃખી છે.

આપણ વાંચો: ટ્રાવેલ પ્લસ : કાન્હા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના સહુથી ખૂબસૂરત જંગલમાં વાઘના બારણે ટકોરા!

ગામડાઓમાં ઉનાળામાં તેંદુના પાન તોડવાનું આજીવિકાનું મુખ્ય સાધન છે. પરંતુ આ આજીવિકાનું સાધન હવે લોકો માટે જીવનું જોખમ બની ગયું છે. સતત બનતી આવી ઘટનાઓથી ગ્રામજનો ડરી ગયા છે. ગામલોકોનું કહેવું છે કે દર વર્ષે ઉનાળામાં તેઓ તેંદુના પાન એકઠા કરીને રોજગાર મેળવે છે, પરંતુ હવે વાઘના હુમલાથી તેમના જીવ જોખમમાં મુકાઈ ગયા છે.

આ ગંભીર ઘટના પછી, વન વિભાગે ખુંખાર વાઘણ પર સતત નજર રાખવા માટે 34 ટ્રેપ કેમેરા અને 8 લાઈવ કેમેરા લગાવ્યા હતા. આખરે 12 મેના રોજ, વાઘણની ભાળ મળતા આખરે બેભાન કરીને તેને પાંજરામાં પૂરવામાં આવી . વન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાઘણનું એક બચ્ચું છે જેની શોધ ચાલુ છે.

આ જિલ્લામાં તાડોબા ટાઇગર રિઝર્વ છે, જે વાઘ માટે પ્રખ્યાત છે. તાડોબા અને સમગ્ર જિલ્લામાં લગભગ 220 વાઘ હોવાનું જાણવા મળ્યું છે, અને વર્ષ 2025માં અત્યાર સુધીમાં 17 લોકો વાઘનો શિકાર બન્યા છે. સમગ્ર મહારાષ્ટ્રમાં ચંદ્રપુર જિલ્લામાં સૌથી વધુ વાઘ છે. આવી સ્થિતિમાં, વાઘ માટે જંગલ નાનું પડી રહ્યું છે અને તેમનો માણસો સાથેનો સંઘર્ષ વધી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button