મહારાષ્ટ્રના અહલ્યાનગરમાં બાપે ચાર સંતાનને કૂવામાં ફેંકી પોતે પણ ઝંપલાવ્યું…

મુંબઈઃ પારિવારિક ઝગડાનો એક ખૂબ જ કરૂણ અંજામ મહારાષ્ટ્રના અહલ્યાનગર જિલ્લામાં આવ્યો છે. અહીંના ચિખલી કોરેગાંવમાં રહેતા અરૂણ કાલે નામના 35 વર્ષીય પિતાએ પોતાના ચાર સંતાનને કૂવામાં ફેંકી પોતે પણ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના બની છે.
હાલમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને તમામ પાંચ મૃતદેહને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ઘટનાની મળતી વિગતો અનુસાર અરૂણનો શનિવારે તેની પત્ની સાથે ઝગડો થયો હતો. ઝગડા બાદ અરૂણે આશ્રમશાળામાં ભણતા તેના ચાર સંતાનોને બાઈક પર લીધા અને તે શિરડીથી 10 કિલોમીટર દૂર આવેલા કોરાહલે ગાંવના ખેતરમાં ગયો હતો.
અહીંના કૂવામાં તેણે પોતાની એક દીકરી અને ત્રણ દીકરાને ફેંકી દીધા અને પછી પોતે પણ કૂવામાં પડી ગયો હતો. પાંચેયના મૃત્યુ થઈ ગયા છે.અહીં સવાલ એ પણ છે કે 35 વર્ષની ઉંમરે ચાર સંતાનની જવાબદારી પતિ-પત્ની માટે અઘરી જ સાબિત થવાની.
આ સાથે જો આર્થિક ભીડ હોય તો જીવન દુર્ભર થઈ જાય છે અને તે માટે જ વર્ષોથી સરકારે હમ દો હમારે દોનું સૂત્ર રાખ્યું છે, જેથી નાનો પરિવાર સુખેથી રહી શકે.
આ પણ વાંચો…મહારાષ્ટ્રમાં ભારે વરસાદઃ બાલાપુરના પ્રાચીન કિલ્લાની દીવાલ ધરાશાયી, વીડિયો વાયરલ…