જય ગુજરાત બોલવા પર એકનાથ શિંદેનો ખુલાસો

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં જય ગુજરાતનો નારો લગાવવા બદલ વિપક્ષોની ટીકાનો ભોગ બની રહેલા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સમગ્ર પ્રકરણે ખુલાસો કરતાં કહ્યું હતું કે પુણેમાં જે કાર્યક્રમ હતો તેમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ હાજર હતા, જેઓ પેઢીઓથી મહારાષ્ટ્રમાં વસેલા છે. તેમણે પુણેના વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે આથી તેમને સન્માન આપવા માટે હું જય ગુજરાત બોલ્યો હતો, પરંતુ તે પહેલાં હું જય હિંદ અને જય મહારાષ્ટ્ર બોલ્યો હતો.
તેમણે કહ્યું હતું કે જયરાજ સ્પોર્ટસ એન્ડ ક્ધવેન્શન સેન્ટરના ઉદ્ઘાટનમાં મોટી સંખ્યામાં ગુજરાતી સમાજ હાજર હતો, જેઓ કેટલીક પેઢીઓથી મહારાષ્ટ્રમાં જ રહે છે. અહીં રહેનારા ગુજરાતી સમાજે પેઢીઓથી મહારાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપ્યું છે. તેમણે ઊભા કરેલા પ્રોજેક્ટનો રાજ્યની સામાન્ય જનતાને ફાયદો થવાનો છે. મરાઠી અમારો શ્ર્વાસ છે. હિન્દુત્વ અમારો આત્મા છે.
આ પણ વાંચો: અમિત શાહની હાજરીમાં એકનાથ શિંદે બોલ્યા જય ગુજરાત…
અમારી ટીકા કરનારાઓએ પહેલાં અરીસો જોવાની આવશ્યકતા છે. ‘જિન કે ઘર શીશે કે હોતે હૈ, વો દુસરોં કે ઘરોં પર પથ્થર ફેંકા નહીં કરતે’ (જેમના ઘર કાચના બનેલા હોય તેમણે બીજાના ઘરો પર પથ્થરો ફેંકવા જોઈએ નહીં)
તેમણે ઉદ્ધવ ઠાકરેનો એક વીડિયો દેખાડ્યો હતો જેમાં ઉદ્ધવ ઠાકરે જય હિંદ, જય મહારાષ્ટ્ર અને જય ગુજરાત બોલી રહ્યા છે. તેમણે 2019ની વિધાનસભા ચૂંટણી પહેલાંનો આદિત્ય ઠાકરેનું પ્રચાર બેનર દેખાડ્યું હતું, જેના પર કેમ છો વરલી (ગુજરાતીમાં) લખેલું હતું. આ દેખાડીને તેમણે સવાલ કર્યો હતો કે આ શું છે?