ચાકુ હુલાવી યુવકની હત્યા: બે પકડાયા…

લાતુર: લાતુર જિલ્લામાં રસ્તા પર થયેલા વિવાદમાં ચાકુ હુલાવી 24 વર્ષના યુવકની કથિત હત્યા કરવામાં આવતાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. ઈન્સ્પેક્ટર સંતોષ પાટીલે જણાવ્યું હતું કે ઘટના રવિવારની રાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર ચોક ખાતે બની હતી. આરોપી અનિકેત ઉર્ફે ગણેશ ગાયકવાડ અને ભીમા સૂર્યવંશીએ બુદ્ધ નગરમાં રહેતા પ્રજ્વલ મસ્કે પર જીવલેણ હુમલો કર્યો હતો.
ગંભીર રીતે ઘવાયેલા મસ્કેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
ઘટના બની તે સમયે કૉંગ્રેસના વિધાનસભ્ય અમિત દેશમુખ ત્યાંથી પસાર થયા હતા. રૅલીમાંથી પાછા ફરી રહેલા દેશમુખની નજર સામે મસ્કે પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો.
દેશમુખે સોશ્યલ મીડિયા પોસ્ટમાં કહ્યું હતું કે ઘટના જોઈ તેમણે વાહન ઊભું રખાવ્યું હતું, પરંતુ હુમલાખોરો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક જખમી યુવકને હૉસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરાવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
‘શાંત અને સાંસ્કૃતિક શહેર તરીકે ઓળખાતા લાતુરમાં ધોળેદહાડે થયેલી આ હત્યા પોલીસ તંત્રની નિષ્ફળતા દર્શાવે છે,’ એવું વિધાનસભ્યએ તેમની પોસ્ટમાં લખ્યું હતું. (પીટીઆઈ)



