ફડણવીસે ‘ધરતી આબા જનજાતી ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ શરૂ કર્યું, વડા પ્રધાનને યોજના માટે અભિનંદન આપ્યા

પાલઘર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે પાલઘરમાં ‘પ્રધાનમંત્રી ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ની શરૂઆત કરી હતી. જેનો ઉદ્દેશ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) સહિત આધુનિક કૌશલ્ય તાલીમ પૂરી પાડવાનો છે, જેથી આદિવાસી યુવાનોને ઉભરતી તકો માટે તૈયાર કરી શકાય.
એક કાર્યક્રમમાં મુખ્ય પ્રધાને સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ આપી હતી અને રાજ્યના 32 જિલ્લાઓની આદિવાસી વસ્તીને લક્ષ્ય બનાવતી અનેક વિકાસ યોજનાઓની જાહેરાત કરી, જેમાં પાલઘર જિલ્લાના 635 ગામોનો સમાવેશ થાય છે.
આ કાર્યક્રમમાં, ઉદ્યોગ-સંબંધી તાલીમ કાર્યક્રમો માટેની યોજનાના ભાગ રૂપે અનેક કંપનીઓ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. ‘સિમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા સાથે મળીને કુલ 57 કંપનીઓએ કૌશલ્ય તાલીમ માટે ભાગીદારી કરી છે, જેમાં ખાસ કરીને એઆઈ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અમે ભવિષ્ય માટે તૈયાર રહેવાના છીએ.
કેટલાક લોકોની માનસિકતા એવી છે કે તેઓ તાલીમ વિના રોજગાર શોધે છે. તે સફળ થશે નહીં. પહેલા દિવસથી અમે એઆઈ અને અન્ય મહત્વપૂર્ણ કૌશલ્યોમાં તાલીમ આપવાનું શરૂ કર્યું છે કારણ કે નોકરીઓ માટે તેની જરૂર પડશે,’ એમ તેમણે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ક્રેન ઓપરેટર તાલીમ, જે ભારતમાં તેના પ્રકારની પ્રથમ છે, તે જિલ્લામાં મેગા વાઢવાણ બંદરના સંદર્ભમાં શરૂ કરવામાં આવશે જેથી ધરતી પુત્રો પરિણામી રોજગાર તેજીના પ્રાથમિક લાભાર્થી બને.
તેમણે પુનરોચ્ચાર કર્યો હતો કે અહીં દહાણુમાં મેગા બંદર 10 લાખ રોજગારની તકો ઉભી કરશે, જેમાં પ્રદેશના રહેવાસીઓને પ્રાથમિકતા આપવામાં આવશે.
‘પ્રધાનમંત્રી ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન’ને સ્વતંત્રતા પછી આદિવાસીઓ માટેનો સૌથી મોટો કાર્યક્રમ ગણાવતા, ફડણવીસે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓને લાંબા સમયથી વિલંબિત માન્યતા આપવા અને તેમનો વારસો દરેક ગામ સુધી પહોંચે તે સુનિશ્ર્ચિત કરવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી.
તેમણે અધિકારીઓને 15 ઓગસ્ટ સુધીમાં તમામ પડતર વન અધિકાર કાયદાના કેસોનો ઉકેલ લાવવા અને ‘કાતકરી’ આદિવાસી સમુદાયના બાળકોને ‘આશ્રમ’ શાળાઓમાં પ્રવેશ આપવા જણાવ્યું હતું.
આ પ્રસંગે ફડણવીસે મહારાષ્ટ્ર વાંસ મિશનનો પણ પ્રારંભ કરાવ્યો હતો.