મુખ્યપ્રધાન ફડણવીસે યોગેશ કદમને ‘ક્લીનચીટ’ આપી; સચિન ઘાયવળના શસ્ત્ર લાઇસન્સ બાબત કહ્યું…

પુણે: પુણેનો કુખ્યાત ગેંગસ્ટર નિલેશ ઘાયવળ લંડન ભાગી ગયા પછી, તેના ભાઈ સચિન ઘાયવળને ગૃહ રાજ્ય પ્રધાનની સહી સાથે હથિયારોનું લાઈસન્સ આપવામાં આવ્યું હોવાનો વિપક્ષે આરોપ લગાવ્યો હતો. પુણે પોલીસ કમિશનરે ઉપરોક્ત શસ્ત્ર લાઇસન્સ નામંજૂર કર્યા પછી પણ ગૃહ રાજ્ય પ્રધાને શસ્ત્ર લાઇસન્સ મંજૂર કર્યું હોવાથી વિપક્ષે યોગેશ કદમના રાજીનામાની માંગ કરી હતી. વિપક્ષે એવો પણ આરોપ લગાવ્યો હતો કે મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હંમેશા યોગેશ કદમને ટેકો આપે છે. હવે, મુખ્યપ્રધાને આ મામલે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે.
નાસિકની મુલાકાત દરમિયાન મુખ્યપ્રધાનને મીડિયા સાથે વાતચીત દરમિયાન સચિન ઘાયવળને આપવામાં આવેલા હથિયાર લાઇસન્સ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આ પ્રશ્નનો જવાબ આપતાં મુખ્ય પ્રધાને કહ્યું કે ગૃહ રાજ્યપ્રધાને આ બાબતે સુનાવણી યોજી હતી, પરંતુ પોલીસ કમિશનરે આ બાબત ધ્યાન પર લાવી હતી, તેથી લાઇસન્સ આપવામાં આવ્યું નહોતું. જો લાઇસન્સ આપવામાં આવ્યું હોત, તો આવા આરોપ વાજબી હોત. પરંતુ લાઇસન્સ આપવામાં આવ્યું નથી.”
આ પણ વાંચો: દેવેન્દ્ર ફડણવીસે કેમ કહ્યું કે ભારતના Gen-Z નેપાળ જેવું નહીં કરે
આ મુદ્દે યોગેશ કદમે પોતે પણ એક્સ પર એક પોસ્ટ શેર કરી અને પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. “શિક્ષક અને ઉદ્યોગપતિ સચિન ઘાયવળ દ્વારા દાખલ કરાયેલા શસ્ત્ર લાઇસન્સ અપીલ કેસમાં, પોલીસ વિભાગ તરફથી મળેલા અહેવાલ મુજબ, સુનાવણીના દિવસ સુધી તેમની સામે કોઈ કેસ પેન્ડિંગ નહોતો. ઉપલબ્ધ દસ્તાવેજો અને નામદાર કોર્ટ દ્વારા નિર્દોષ ઠરાવવાના આદેશની સમીક્ષા કર્યા પછી, ઉપરોક્ત કેસમાં નિયમો અનુસાર જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે તેથી, અપીલમાં મારી પ્રક્રિયાગત કાર્યવાહીને હાલમાં ચર્ચા હેઠળના અન્ય મુદ્દા સાથે જોડવી સંપૂર્ણપણે ખોટી અને ગેરમાર્ગે દોરનારી છે,” તેમણે કહ્યું.
શિવસેના (ઠાકરે) ના નેતા ધારાસભ્ય અનિલ પરબે ગુરુવારે (9 ઓક્ટોબર) એક પ્રેસ કોન્ફરન્સમાં તેમના તાત્કાલિક રાજીનામાની અને જો ન આપે, તો તેમને હાંકી કાઢવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે, હત્યા અને ખંડણીના ગુનાહિત રેકોર્ડ ધરાવતા વ્યક્તિને હથિયારનું લાઇસન્સ આપવામાં આવ્યું છે. યોગેશ કદમને મુખ્યપ્રધાનનું પીઠબળ હોવાથી રાજ્યમાં મનસ્વીપણે વર્તી રહ્યા છે.