Election: વિદર્ભ-મરાઠવાડની મુલાકાતમાં અમિત શાહે પદાધિકારીઓને આપ્યો ‘જીત’નો મંત્ર

મુંબઈ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ બે દિવસની મહારાષ્ટ્રની મુલાકાતે છે અને આજે તેમણે વિદર્ભ અને મરાઠવાડાના પદાધિકારીઓ સાથે વાતચીત કરી હતી તેમ જ વિધાનસભાની ચૂંટણી માટેની રણનીતિ સમજાવી હતી. મરાઠવાડાની 48 બેઠકમાંથી 30 બેઠક પર જીત હાંસલ કરવાની યોજના હોવાનું પણ આ દરમિયાન તેમણે કહ્યું હતું.
ચૂંટણીની રણનીતિ સમજાવતા શાહે પદાધિકારીઓને દરેક બૂથ પર 10 ટકા મત વધારવાનો પ્રયત્ન કરવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત દરેક રેલી ‘ભારત માતા કી જય’ના નારા સાથે શરૂ કરવાની તેમ જ રામ મંદિર નિર્માણનો પ્રચાર કરવાની વાત પણ તેમણે કહી હતી.
કાર્યકર્તાઓ અને નેતાઓ એકસાથે મળીને કામ કરે, બૂથ પર જઇ બૂથને મજબૂત બનાવે તેવી સૂચના તેમણે આપી હતી. અમિત શાહે કહ્યું હતું કે કાર્યકર્તાઓ જીત મેળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે એટલે કાર્યકર્તાઓનું ધ્યાન રાખવામાં આવે એ ખૂબ જ જરૂરી છે.
આપણ વાંચો: શિંદે-શાહની મીટીંગમાં રંધાઇ ખીર? શું થયું અમિત શાહ અને એકનાથ શિંદે વચ્ચેની બેઠકમાં…
ઉલ્લેખનીય છે કે અમિત શાહે બુધવારે નાશિક અને જળગાંવની મુલાકાત પણ લીધી હતી અને તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ દરમિયાન ભાજપના બધા જ સ્થાનિક વિધાનસભ્યો અને પ્રમુખ પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
અમિત શાહ પોતાના મહારાષ્ટ્ર પ્રવાસ દરમિયાન આખા ઉત્તર મહારાષ્ટ્ર, ખાનદેશ, ધુળે, નંદુરબાર સહિતના વિસ્તારોની મુલાકાત લેશે અને કાર્યકર્તાઓ તેમ જ પદાધિકારીઓને મળીને વિધાનસભાની ચૂંટણી માટેની રણનીતિ સમજાવશે તેમ જ જરૂરી સૂચનાઓ આપશે.
વિધાનસભાની ચૂંટણી પૂર્વે અમિત શાહનો મહારાષ્ટ્ર પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવી રહ્યો છે અને વિધાનસભા ચૂંટણીમાં જીત મળે તેની ખાતરી કરવા માટે અમિત શાહ પદાધિકારીઓને પૂરી તાકાત લગાવવાનું આહ્વાન કરી રહ્યા છે.