બીડમાં ગામના સરપંચની હત્યા: શરદ પવાર જૂથના નેતા, ચાર સાથીદાર વિરુદ્ધ ગુનો
![Killing of village sarpanch in Beed: Crime against Sharad Pawar group leader, four colleagues](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/Honour-Killing-1024x500-1-780x470.jpg)
છત્રપતિ સંભાજીનગર: બીડ જિલ્લામાં ગામના સરપંચ પર ગોળીબાર કર્યા બાદ દાતરડાથી હુમલો કરીને તેની હત્યા કરવા બદલ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ (એસપી)ના નેતા શશિકાંત ઉર્ફે બબન ગિટ્ટે અને તેના ચાર સાથીદાર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર પાર્લી તહેસીલના બેંક કોલોની વિસ્તારમાં શનિવારે આ ઘટના બની હતી. મરાલવાડી ગામના સરપંચ બાપુરાવ આંધળે અને જ્ઞાનબા ગિટ્ટે શનિવારે એક આરોપીના ઘરે ગયા હતા, જ્યાં આંધળે અને શશિકાંત વચ્ચે વિવાદ થયો હતો.
આ પણ વાંચો : આરબીડી પામોલિન અને સોયા ડિગમમાં નરમાઈ, વેપાર નિરસ
ઉશ્કેરાયેલા શશિકાંતે પોતાની પિસ્તોલ કાઢીને બાપુરાવ પર ગોળીબાર કર્યો હતો. ત્યાર બાદ તેના સાથીદાર રાજાભાઉ નેહરકરે આંધળે પર દાતરડાથી હુમલો કરી તેની હત્યા કરી હતી. જ્ઞાનબા ગિટ્ટે પર પર આરોપીઓએ ગોળીબાર કર્યા બાદ હુમલો કર્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ 302 (હત્યા), 307 (હત્યાનો પ્રયાસ) તેમ જ અન્ય કલમો તથા આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ નંદકુમાર ઠાકુરે જણાવ્યું હતું કે અમે પાંચ જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે, જેમાં એક જણ ઘાયલ છે. અન્ય ચાર આરોપીની શોધ ચલાવાઇ રહી છે. (પીટીઆઇ)