બીડમાં રોકેલાં નાણાં પાછાં ન મળતાં હતાશ ખેડૂતે કો-ઓપરેટિવ સોસાયટીની બહાર કરી આત્મહત્યા

છત્રપતિ સંભાજીનગર: બીડ જિલ્લામાં કો-ઓપરેટિવ સોસાયટી ફિકસ્ડ ડિપોઝિટ (એફડી) પાછી કરવામાં નિષ્ફળ જતાં હતાશ થયેલા 46 વર્ષના ખેડૂતે સોસાયટીની ઓફિસ સામે ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હોવાની ઘટના બુધવારે બની હતી.
ગેવરાઇ પોલીસે આ પ્રકરણે છત્રપતિ મલ્ટિસ્ટેટ કો-ઓપરેટિવ સોસાયટીના ભૂતપૂર્વ ચેરમેન સંતોષ ભંડારી વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો ગુનો દાખલ કર્યો હતો. સોસાયટીની બ્રાન્ચ ઓફિસ સામે વહેલી સવારે ખેડૂત લોખંડના સળિયા સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી હોઇ હજી સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આપણ વાંચો: વિરારમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે ઘરમાં ગળાફાંસો ખાધો
મૃતકની ઓળખ સુરેશ જાધવ (46) તરીકે થઇ હતી, જે ગેવરાઇ તહેસીલના ખાલેગાંવનો રહેવાસી હતો. જાધવની પુત્રીના જણાવ્યા અનુસાર મારા અને મારા ભાઇના ભવિષ્યના શૈક્ષણિક ખર્ચ માટે પૈસા ભેગા કરવા પિતાએ કૌટુંબિક જમીન વેચી હતી.
જાધવની પત્નીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે જાધવે 2020માં કો-ઓપરેટિવ સોસાયટીમાં ફિકસ્ડ ડિપોઝિટમાં 11.50 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. જાધવ છેલ્લાં બે વર્ષથી પોતાના પૈસા પાછા મેળવવા માટે વિનંતી કરી રહ્યો હતો, કારણ કે તેને પોતાના સંતાનોના કોલેજ શિક્ષણ માટે પૈસાની જરૂર હતી.
છ મહિના અગાઉ જાધવ ઝેર ભરેલી બોટલ લઇને સોસાયટીની બ્રાન્ચ ઓફિસમાં ગયો હતો અને પૈસા પાછા ન આપે તો પોતાનું જીવન સમાપ્ત કરી દેવાની ધમકી આપી હતી, એમ પણ ફરિયાદમાં જણાવાયું હતું.
આપણ વાંચો: થાણેમાં વૃદ્ધાએ ગળાફાંસો ખાધો: પુત્ર-પુત્રવધૂ પર લગાવ્યો સતામણીનો આરોપ
તત્કાલીન ચેરમેને 2.5 લાખ રૂપિયા પાછા આપ્યા હતા અને બાકીની રકમ બે મહિનામાં ચૂકવી દેવાની ખાતરી આપી હતી, પણ બાદમાં કોઇ ચુકવણી કરાઇ નહોતી.
મંગળવારે જાધવ તેની પત્ની અને સંતાનો સાથે સોસાયટીની ગેવરાઇ બ્રાન્ચમાં ગયો હતો. જોકે બ્રાન્ચ મેનેજરે તેમની સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કર્યું હતું. ઉપરાંત પૈસા પાછા આપ્યા વિના તેમને ઓફિસમાંથી કાઢી મૂક્યા હતા.
‘મારા પિતા મને અને મારા ભાઇને ભણાવવા માગતા હતા. કો-ઓપરેટિવ સોસાયટીમાં રોકાણ કરવા તેમણે 3.5 એકર જમીન વેચી દીધી હતી. જોકે અમને પૈસા પાછા ન મળ્યા અને અમે પિતા પણ ખોયા,’ એમ ડોક્ટર બનવાની ઇચ્છા ધરાવતી જાધવની પુત્રી સાક્ષીએ કહ્યું હતું.
‘મેં સ્થાનિક કોલેજમાં 12મું ધોરણ પૂર્ણ કર્યું અને નીટની તૈયારી માટે રજા લીધી છે. મેં આ વર્ષે 222 ગુણ મેળવ્યા છે અને બીએચએમએસ કોર્સ માટે પ્લાનિંગ કરી રહી છું. મારા કાઉન્સેલિંગ રાઉન્ડ શરૂ થવાના છે. મારો ભાઇ શુભમ (18) જેઇઇની તૈયારી કરી રહ્યો છે,’ એમ પણ સાક્ષીએ જણાવ્યું હતું. (પીટીઆઇ)