મહારાષ્ટ્ર કોંગ્રેસનો ફડણવીસને પડકાર: ‘બાંગ્લાદેશી અને રોહિંગ્યાઓનો ડેટા જાહેર કરો’

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં ગેરકાયદે સ્થળાંતર કરનારાઓની મહત્તમ સંખ્યા ઓળખાઈ ગઈ છે. આ મુદ્દે તેમને ઘેરતાં મહારાષ્ટ્ર કોંગ્રેસે આજે મુખ્ય પ્રધાનને બાંગ્લાદેશી નાગરિકો અને રોહિંગ્યાઓનો ડેટા જાહેર કરવાનો પડકાર ફેંક્યો હતો. જો સરકારે ખરેખર મોટા ભાગના લોકોની ઓળખ કરી લીધી હોય તો તેણે આંકડા જાહેર કરવા જોઈએ, એમ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે એક નિવેદનમાં જણાવ્યું હતું.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી માટે શાસક મહાયુતિના મેનિફેસ્ટોનું અનાવરણ કરતા ફડણવીસે કહ્યું હતું કે, અમે મુંબઈને બાંગ્લાદેશીઓ અને રોહિંગ્યાઓથી મુક્ત કરીશું. આઈઆઈટીની મદદથી, અમે બાંગ્લાદેશી સ્થળાંતર કરનારાઓને ઓળખવા માટે એક એઆઈ સાધન વિકસાવીશું.
સાવંતે ફડણવીસ પર વધુ પ્રહાર કરતા તેમને “સપનાના સોદાગર” ગણાવ્યા, જે વર્તમાનની કઠોર વાસ્તવિકતાઓને અવગણીને સોનેરી ભવિષ્ય દર્શાવે છે. મુખ્યપ્રધાનના ઇન્ટરવ્યુ મોટાભાગે ભવિષ્યની યોજનાઓ પર કેન્દ્રિત છે, જેમાં ભૂતકાળના વચનોના ભાવિ વિશે બહુ ઓછી સમજૂતી આપવામાં આવી છે, સાવંતે દાવો કર્યો.
સાવંતે કહ્યું કે પૂર્વીય ફ્રીવે 2017માં થાણે સાથે જોડવાનો હતો, જ્યારે મુંબઈ તે જ વર્ષે પૂરમુક્ત થવાનું વચન આપવામાં આવ્યું હતું. બંને વચનો અધૂરા રહ્યા છે. મુખ્ય પ્રધાન દ્વારા જાહેર કરાયેલી સમયમર્યાદા ભાગ્યે જ પૂર્ણ થાય છે. લોકપ્રિય વાક્ય ‘તારીખ પે તારીખ’ સરકારની કામગીરીનું પ્રતીક બની ગયું હોય તેવું લાગે છે.
2019થી, રાજ્ય સરકારે મહારાષ્ટ્રને 1 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા માટે અનેક સમયમર્યાદા જાહેર કરી છે, પરંતુ લક્ષ્ય પ્રાપ્ત થવાથી હજુ પણ દૂર છે, એમ તેમણે જણાવ્યું હતું. કોંગ્રેસના નેતાએ મુંબઈ મેટ્રોપોલિટન ક્ષેત્રમાં પ્રસ્તાવિત એલિવેટેડ રોડ પ્રોજેક્ટ્સની સ્થિતિ પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો.



