ધરપકડ વહોરી લઈશું: બચ્ચુ કડુ

નાગપુર: નાગપુર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ ખાલી કરવાના હાઇકોર્ટના નિર્દેશ પછી પ્રહાર જનશક્તિ પાર્ટીના નેતા બચ્ચુ કડુએ બુધવારે કહ્યું હતું કે વિરોધ કરી રહેલા ખેડૂતો આદેશનું પાલન કરશે અને જેલમાં પણ જશે, સરકારે જેલમાં જરૂરી વ્યવસ્થા કરવી જોઈએ.
બચ્ચુ કડુએ સાંજે કહ્યું હતું કે તેઓ પોલીસ અને કોર્ટની કાર્યવાહીનો સામનો કરીને ધરપકડ વહોરી લેશે, ભલે હાઇકોર્ટ દ્વારા નક્કી કરાયેલ સાંજે છ વાગ્યાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોય. ખેડૂત નેતા અને ભૂતપૂર્વ સાંસદ રાજુ શેટ્ટી પણ આંદોલનમાં સહભાગી થયા હતા.
બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 પર ‘20 કિમી’ લાંબા ટ્રાફિક જામની જાતે જ નોંધ લીધી હતી, અને ‘મહા એલ્ગાર મોરચો’ કરી રહેલા કડુ અને તેમના સમર્થકોને સાંજે છ વાગ્યા સુધીમાં હાઇવે અને અન્ય રસ્તાઓ પરથી ખસી જવાનો નિર્દેશ આપ્યો હતો.
સભા પહેલાં બોલતા કડુએ કહ્યું કે તેઓ હાઇકોર્ટના આદેશનો અનાદર કરશે નહીં, પરંતુ વહીવટીતંત્રે તેમના માટે જેલમાં જગ્યાની વ્યવસ્થા કરવી જોઈએ.



