એઆઈએમઆઈએમની રેલી પર હુમલો, પોલીસ પર ઇંડાં ફેંક્યાં: 60 વિરુદ્ધ ગુનો

છત્રપતિ સંભાજીનગર: એઆઇએમઆઇએમની રેલીમાં હાજર રહેલા લોકો પર હુમલો કરવા તેમ જ પોલીસ કર્મચારીઓ પર ઇંડાં ફેંકવા પ્રકરણે પોલીસે 60 જણ વિરુદ્ધ ગેરકાયદે એકઠા થવા અને દંગલનો ગુનો દાખલ કર્યો હતો.
છત્રપતિ સંભાજીનગરના જિન્સી વિસ્તારમાં ભૂતપૂર્વ સાંસદ ઇમ્તિયાઝ જલીલ આગામી પાલિકાની ચૂંટણીને લઇ તેમના પક્ષના ઉમેદવારો માટે બુધવારે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે હરીફ ઉમેદવારને ટેકો આપતું જૂથ અને એઆઇએમઆઇએમનું જૂથ સામસામે આવી ગયા હતા. હરીફ જૂથના અમુક લોકોએ ઇમ્તિયાઝ જલીલની કાર પર હુમલાનો પ્રયાસ કર્યો હતો.
આપણ વાચો: થાણે જેલમાં આરોપીએ પોલીસ અધિકારી પર હુમલો કરી સીસીટીવી કૅમેરા તોડ્યા
દરમિયાન પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે બળનો ઉપયોગ કર્યો હતો અને લોકોને ત્યાંથી જતા રહેવાની અપીલ કરી હતી. જોકે કેટલાક લોકોએ પોલીસ કર્મચારીઓ પર ઇંડાં ફેંક્યાં હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પ્રકરણે જિન્સી પોલીસ સ્ટેશનમાં 60 જણ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મહારાષ્ટ્ર પોલીસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આમાંથી 13 લોકોને ઓળખી કાઢવામાં આવ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઇ)



