અજિત પવાર જૂથને ફટકો, શરદ પવાર જૂથમાં એક વિધાનસભ્યની થઈ ‘ઘરવાપસી’?

મુંબઈ: મહાયુતિ (એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર)માં બેઠકોની વહેંચણીની માથાકૂટ ચાલી રહી છે અને અજિત પવાર જૂથની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ને ફક્ત ચારથી પાંચ બેઠક આપવામાં આવે તેવા અહેવાલો છે ત્યારે અજિત પવાર જૂથને એક મોટો ફટકો પડ્યો છે. અજિત પવાર જૂથના એક મોટા નેતા તેમ જ વિધાનસભ્ય ફરીથી શરદ પવાર જૂથમાં સામેલ થવાની તૈયારીમાં હોવાનું જાણવા મળ્યું છે.
અહમદનગરના પારનેર ક્ષેત્રના વિધાનસભ્ય નિલેશ લંકે એનસીપી બે જૂથમાં વહેંચાઇ ગઇ ત્યારે અજિત પવાર જૂથમાં સામેલ થયા હતા. જોકે, હવે તે ફરી ‘ઘરવાપસી’ કરીને શરદ પવાર જૂથમાં સામેલ થવાની તૈયારીમાં હોવાના અહેવાલ મળી રહ્યા છે.
આવા અહેવાલો વહેતા થયા બાદ શરદ પવારને નિલેશ લંકે વિશે પૂછવામાં આવ્યું હતું. જોકે, આ બાબતે પોતાને કોઇ જાણકારી ન હોવાનું જણાવતા શરદ પવારે કહ્યું હતું કે હું અટકળોની પ્રતિક્રિયા નથી આપતો. અમે બીજા પક્ષના નેતાઓના સંપર્કમાં રહેવાના વ્યવસાયમાં નથી, પરંતુ મને જાણ છે કે બીજી બાજુ(અજિત પવાર જૂથ) સહજ નથી.
નિલેશ લંકે 2019માં પારનેર વિધાનસભાની બેઠક ઉપરથી વિધાનસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. શરદ પવાર અને અજિત પવાર બંનેએ છેડો ફાડ્યો અને અજિત પવારની એનસીપીને ચૂંટણી પંચે ‘અસલી’ એનસીપી જાહેર કરી હતી.
આ દરમિયાન નિલેશ લંકે અજિત પવાર જૂથ સાથે જોડાયેલા રહ્યા હતા. જોકે, હવે તે શરદ પવાર જૂથમાં સામેલ થશે, તેવી પૂરેપૂરી શક્યતા જણાઇ રહી છે.