અમદાવાદ વિમાન દુર્ઘટના: સવારે પુત્રી સાથે વાત કરી, હવે તેના અને પરિવારના 2 સભ્યો વિશે કોઈ જાણકારી નથી: નાગપુરની વ્યક્તિની ફરિયાદ

નાગપુર: નાગપુર સ્થિત એક વ્યક્તિએ ગુરુવારે જણાવ્યું હતું કે, તેની પુત્રી, તેનો દોઢ વર્ષનો પુત્ર અને તેની સાસુ લંડન જતી દુર્ઘટનાગ્રસ્ત ફ્લાઇટમાં સવાર હતા જે બપોરે અમદાવાદ શહેરમાં ક્રેશ થઈ હતી.
એક સમાચાર સંસ્થાને મનીષ કામદારે જણાવ્યું હતું કે તેમણે સવારે અમદાવાદમાં રહેતી તેમની પુત્રી યેશા મોઢા સાથે વાત કરી હતી, પરંતુ વિમાન દુર્ઘટના પછી તેમને હવે તેના અને તેના પરિવારના બે સભ્યો વિશે કોઈ જાણકારી મળતી નથી.
કામદારે જણાવ્યું હતું કે તેમની પુત્રી યેશા ઉપરાંત, તેનો દોઢ વર્ષનો પુત્ર રૂદ્ર અને તેની સાસુ તે ફ્લાઇટમાં હતા.
‘મેં આજે સવારે 9 વાગ્યાની આસપાસ મારી દીકરી સાથે વાત કરી હતી, પરંતુ હવે, મારા પરિવાર અને મને મુસાફરોની સ્થિતિ વિશે કંઈ જાણકારી નથી,’ એમ તેમણે કહ્યું હતું.
આપણ વાંચો: પ્લેન ક્રેશ: મૃતદેહોની ઓળખ માટે DNA સેમ્પલ લેવા પરિજનો હોસ્પિટલ પહોંચ્યા
તેમણે કહ્યું હતું કે, એરલાઈન (એર ઈન્ડિયા) કે સરકાર તરફથી કોઈએ પણ અત્યાર સુધી તેમનો સંપર્ક કર્યો નથી.
‘હું રોડ માર્ગે અમદાવાદ જઈ રહ્યો છું.
મારા જમાઈ અમદાવાદ સિવિલ હોસ્પિટલની બહાર રાહ જોઈ રહ્યા છે અને તેમને આ લોકોની સ્થિતિ વિશે કોઈ જાણકારી નથી, પરંતુ તેમને અંદર જવા દેવામાં આવી રહ્યા નથી. ત્યાં લોકોને કહેવામાં આવી રહ્યું છે કે (ગુજરાત)ના મુખ્ય પ્રધાન હોસ્પિટલની મુલાકાત લેશે પછી જ તેમને પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે,’ એમ કામદારે કહ્યું હતું.
તેમના જણાવ્યા મુજબ તેમની પુત્રીના સસરા યુકેમાં રહેતા હતા અને તેનું એક મહિના પહેલા અમદાવાદમાં અવસાન થયું હતું અને પરિવાર બાવીસમી જૂને ત્યાં યોજાનારી તેમની પ્રાર્થના સભામાં હાજરી આપવા જઈ રહ્યો હતો.