આચાર્ય દેવવ્રતે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે સંસ્કૃતમાં શપથ લીધા, સૌને થયું આશ્ચર્ય
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને પાઠવી શુભેચ્છાઓ

મુંબઈઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. મુંબઈમાં રાજભવનના દરબાર હોલમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં મુંબઈ હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખરે આચાર્ય દેવવ્રતને રાજ્યપાલ પદના શપથ લેવડાવ્યા. રાજ્યપાલએ સંસ્કૃત ભાષામાં શપથ ગ્રહણ કરતા ઉપસ્થિત સૌ કોઈમાં સુખદ આશ્ચર્ય ફેલાયું હતું.
નૌસેના તરફથી વિશેષ સન્માન આપવામાં આવ્યું
શપથ ગ્રહણ બાદ મુખ્ય ન્યાયાધીશ, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રાજ્યપાલને પુષ્પગુચ્છ આપીને અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે રાજ્યપાલને ભારતીય નૌસેના તરફથી વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું.
સંસ્કૃત ભાષામાં શપથ ગ્રહણ કરી પદભાર સંભાળ્યો
શપથ ગ્રહણ સમારોહની શરુઆતમાં રાષ્ટ્રગાન અને રાજ્યગાન સંપન્ન થયા બાદ મહારાષ્ટ્રના મુખ્ય સચિવ રાજેશ કુમાર દ્વારા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ દ્વારા આચાર્ય દેવવ્રતજીને રાજ્યપાલ તરીકે નિયુક્તી અંગે બહાર પડાયેલી અધિસૂચનાનું પઠન કરવામાં આવ્યું. બાદમાં રાજ્યપાલએ સંસ્કૃત ભાષામાં શપથ ગ્રહણ કરી પદભાર સંભાળ્યો હતો. ત્યાર બાદ ફરીથી રાષ્ટ્રગાન અને રાજ્યગાન સાથે શપથવિધિ પૂર્ણ થઈ હતી.
મહારાષ્ટ્રના રાજ્યપાલ પદનો વધારાનો કાર્યભાર સોંપ્યો
મહારાષ્ટ્રના પૂર્વ રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણન ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પર ચૂંટાયા હોવાના કારણે આ પદ ખાલી પડ્યું હતુ. જે અનુસંધાને રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મહારાષ્ટ્રના રાજ્યપાલ પદનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે.
આ શપથગ્રહણ સમારોહમાં લેડી ગર્વનર દર્શના દેવી સહિત પરિવારના સભ્યો, વિધાન પરિષદના અધ્યક્ષ પ્રો. રામ શિંદે, વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર, વિધાન પરિષદના ઉપાધ્યક્ષ ડૉ. નીલમ ગોરે તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.