અબુ આઝમી દેશદ્રોહી: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મહારાષ્ટ્ર સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીને દેશદ્રોહી ગણાવ્યા હતા અને 17મી સદીના મોગલ શાસક ઔરંગઝેબને સારા વહીવટકર્તા ગણાવવા બદલ તેમની ઝાટકણી કાઢતાં માફી માગે એવી માગણી કરી હતી.
મુંબઈમાં વિધાન ભવન સંકુલમાં પત્રકારોને સંબોધતાં એકનાથ શિંદેએ અબુ આઝામીની ટિપ્પણીનો જવાબ આપ્યો હતો. અબુ આઝમીએ કહ્યું હતું કે ઔરંગઝેબ એક સારો વહીવટકર્તા હતો.
તેમણે આ નિવેદન માટે માફી માગવી જોઈએ કેમ કે છત્રપતિ સંભાજી મહારાજ દેશભક્ત અને ખરા રાષ્ટ્રભક્ત હતા… ઔરંગઝેબના વહીવટીતંત્રને સારું કહેવું એ ગંભીર ગુનો છે. આને માટે અબુ આઝમીએ માફી માગવી જોઈએ. તેમણે એક દેશભક્તના વિરોધમાં નિવેદન કર્યું છે. આથી તેમને દેશદ્રોહી ગણવા જોઈએ.
અબુ આઝમીના નિવેદનને ‘પાપ’ ગણાવતાં શિંદેએ કહ્યું હતું કે આ અત્યંત નિંદાત્મક છે. છત્રપતિ સંભાજી મહારાજને 40 દિવસ સુધી ટોર્ચર કરનારા ઔરંગઝેબને સારી વ્યક્તિ કહેવી એ પાપ છે. અબુ આઝમીએ માફી માગવી જોઈએ અને મુખ્ય પ્રધાને પણ આ બાબતને ગંભીરતાથી લીધી છે. તેમની સામે દેશદ્રોહનો ગુનો નોંધાઈ શકે છે.