ટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

સરકારી હોસ્પિટલમાં 24 લોકોના મોત પર રાજકારણ શરૂ

રાહુલ, પ્રિયંકા અને શરદ પવારે ભાજપ સરકારને જવાબદાર ગણાવી

નાંદેડઃ થાણેની સરકારી હૉસ્પિટલમાં એક દિવસમાં 18 લોકોના મૃત્યુ થયા હતા એ ઘટનાની યાદ હજી તાજી જ છે, ત્યાં મહારાષ્ટ્રના નાંદેડમાં સરકારી સરકારી હૉસ્પિટલમાં દવાને અભાવે 12 નવજાત બાળક સહિત 24 જણના મૃત્યુ થયા હોવાની ચોંકાવનારી માહિતી આવી છે અને આ મુદ્દે રાજકારણ પણ શરૂ થઇ ગયું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મહારાષ્ટ્રની એક સરકારી હોસ્પિટલમાં 12 બાળકો સહિત 24 લોકોના મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો અને તેના માટે ભારતીય જનતા પાર્ટી (BJP) સરકારને જવાબદાર ગણાવી છે.

રાહુલ ગાંધીએ ગાંધીએ કહ્યું હતું કે, ‘મહારાષ્ટ્રના નાંદેડની સરકારી હોસ્પિટલમાં દવાઓની અછતને કારણે 12 નવજાત શિશુઓ સહિત 24 લોકોના મોતના સમાચાર અત્યંત દુઃખદ છે. હું તમામ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ભાજપ સરકાર તેના પ્રચાર પાછળ હજારો કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ બાળકોની દવાઓ માટે પૈસા નથી. ભાજપની નજરમાં ગરીબોના જીવની કોઈ કિંમત નથી.

પ્રિયંકા વાડ્રાએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં દવાઓની અછતને કારણે 12 બાળકો સહિત 24 દર્દીઓના મોતના દુઃખદ સમાચાર મળ્યા છે. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે અને પીડિત પરિવારોને વળતર આપવામાં આવે.

આ ઘટનાની નિંદા કરતા એનસીપીના શરદ પવારે લખ્યું- “નાંદેડની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 લોકોનાં મોત થયાં.” આ ઘટનામાં 12 નવજાત બાળકોએ પણ જીવ ગુમાવ્યો હતો. આ એક ચોંકાવનારી ઘટના છે. આવી જ કમનસીબ ઘટના થાણેની કાલવા હોસ્પિટલમાં બની હતી અને હવે આ ઘટનાને ગંભીરતાથી ન લેવાને કારણે નાંદેડમાં 24 લોકોના મોત થયા છે. આ સરકારની નિષ્ફળતા છે. શરદ પવારે સરકારને દર્દીઓના જીવનની ચિંતા કરવા અને શક્ય તેટલું જલ્દી નક્કર પગલાં લેવા વિનંતી કરી હતી.

સરકાર પર પ્રહાર કરતા શિવસેના (UBT)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, “આને મૃત્યુ ન કહો, રાજ્ય સરકારની બેદરકારીને કારણે આ ગેરબંધારણીય હત્યા છે.” રાજ્ય સરકાર વિવિધ કાર્યક્રમો અને વિદેશ પ્રવાસના આયોજનમાં વ્યસ્ત છે. તેઓ ભૂલી ગયા છે કે તેમનું કામ રાજ્યની સેવા કરવાનું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button